પાકિસ્તાનમાં બુધવારે રાત્રે 9.58 વાગ્યે (ભારતીય સમય મુજબ) ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી પણ ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે.
પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા સામાન્ય કરતાં વધુ
આ તીવ્રતાના ભૂકંપને કારણે હળવાથી મધ્યમ સ્તરના ઝટકા અનુભવી શકાય છે. પાકિસ્તાન ત્રણ મુખ્ય ટેક્ટોનિક પ્લેટોના સંગમ પર સ્થિત છે: અરબી, યુરો-એશિયન અને ભારતીય પ્લેટો. આ ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિ દેશને પાંચ મુખ્ય ભૂકંપીય ઝોનમાં વિભાજીત કરે છે, જેના કારણે પાકિસ્તાન વારંવાર ભૂકંપ માટે સંવેદનશીલ બને છે. ભારતીય અને યુરેશિયન પ્લેટો વચ્ચેના અથડામણને કારણે ભૂકંપના ઝટકા સામાન્ય કરતાં વધુ છે. આ કારણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં સમયાંતરે ભૂકંપના આંચકા આવતા રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં ઘણી વખત તીવ્ર તીવ્રતાના ભૂકંપ આવ્યા છે, જેના કારણે ભારે નુકસાન થયું છે.
લોકોને ખોટી અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ
ભલે આ વખતે ભૂકંપનો ઝટકો વધારે તીવ્ર ન હતો પણ તે ચોક્કસપણે એક ચેતવણી છે. નિષ્ણાતો માને છે કે વારંવાર આવતા હળવા આંચકા મોટા ભૂકંપનો સંકેત હોય શકે છે. આવી સ્થિતિમાં, સમયસર ભૂકંપ પ્રતિરોધક માળખા તૈયાર કરવા અને લોકોને જાગૃત કરવા અત્યંત મહત્વપૂર્ણ બની ગયા છે. હાલમાં, સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રાહત ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. લોકોને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે. ખાસ કરીને શાળાઓ, હોસ્પિટલો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ભૂકંપની તૈયારી અંગે ઝડપી સમીક્ષા કરવામાં આવી રહી છે. NCSએ તેના નેટવર્ક દ્વારા આગળની કોઈપણ હિલચાલ પર દેખરેખ પણ વધુ તીવ્ર બનાવી છે.