ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્યાલય પણ ખંડેરમાં ફેરવાઈ ગયું. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.
પાકિસ્તાનની શાહબાઝ સરકારે ભારતીય હુમલામાં માર્યા ગયેલા દરેક નાગરિકના પરિવારને 1 કરોડ રૂપિયા (10 મિલિયન પાકિસ્તાની રૂપિયા) વળતર આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ આ હુમલાઓમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વડા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિયુક્ત આતંકવાદી મસૂદ અઝહરના 14 સંબંધીઓ માર્યા ગયા છે. આ પરિસ્થિતિમાં, એવી શક્યતા છે કે મસૂદ અઝહરને પાકિસ્તાન સરકાર તરફથી 14 કરોડ રૂપિયાનું વળતર મળી શકે છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ માર્યા ગયેલા લોકોમાં મસૂદ અઝહરની મોટી બહેન અને જિજાજી, ભત્રીજો અને ભાભી, એક ભાણી અને ઘણા બાળકોનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિમાં, જો મસૂદ અઝહર આ બધાનો કાયદેસર વારસદાર હોય, તો તેને પાકિસ્તાન સરકાર તરફથી મોટી રકમ મળવાની શક્યતા છે.
ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓનો કર્યો નાશ
ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાની પંજાબ પ્રાંતના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય સહિત અનેક આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આમાં, જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ, જેને ઉસ્માન-ઓ-અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સંપૂર્ણપણે નાશ પામી હતી. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે હુમલાઓ ચોક્કસ હતા અને ફક્ત આતંકવાદી સ્થળોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા.
શાહબાઝ સરકાર વિવિધ કેટેગરીઓમાં કરશે પૈસાનું વિતરણ
પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય તરફથી એક અખબારી યાદી મુજબ વડા પ્રધાન શાહબાઝ શરીફે તેને ‘મરકા-એ-હક’ ઓપરેશનનો એક ભાગ ગણાવ્યો છે અને માર્યા ગયેલા લોકો અને સુરક્ષા દળો માટે એક વ્યાપક વળતર યોજનાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ શાહબાઝ સરકારે વિવિધ કેટેગરીઓમાં વળતર નક્કી કર્યું છે.
- ભારતીય હુમલામાં માર્યા ગયેલા નાગરિકોના પરિવારોને 1 કરોડ રૂપિયા (10 મિલિયન પાકિસ્તાની રૂપિયા) મળશે.
- ઘાયલ નાગરિકોને 10-20 લાખ રૂપિયા આપવામાં આવશે.
- ભારતીય હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારોને રેન્કના આધારે 1 કરોડથી 1.8 કરોડ રૂપિયા (10-18 મિલિયન પાકિસ્તાની રૂપિયા)નું વળતર આપવામાં આવશે.
- 1.9 કરોડથી 4.2 કરોડ રૂપિયા સુધીની આવાસ સહાય પણ પૂરી પાડવામાં આવશે.
- મૃતક સૈનિકોના પરિવારોને સેવાનિવૃત્તિની તારીખ સુધી સંપૂર્ણ પગાર અને ભથ્થાં મળતા રહેશે.
- શહીદ થયેલા સૈનિકોના બાળકોને ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ મળશે.
- ભારતીય હુમલામાં માર્યા ગયેલા સૈનિકની એક પુત્રીને તેના લગ્ન માટે 10 લાખ રૂપિયા આપવામાં આવશે.
- ઘાયલ સૈનિકોને 20-50 લાખ રૂપિયા મળશે.
- ભારતીય હુમલાઓમાં નુકસાન પામેલા ઘરો અને મસ્જિદો સરકાર દ્વારા ફરીથી બનાવવામાં આવશે.
- પાકિસ્તાન સરકારે ભારતીય હવાઈ હુમલામાં નાશ પામેલા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવવાનું પણ વચન આપ્યું છે.
ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે સરકાર
પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે ‘શહીદોના બાળકોની સંભાળ રાખવી એ સરકારની જવાબદારી છે અને અમે આ જવાબદારી નિભાવીશું.’ તેમને કહ્યું કે ઘાયલોની સારવારનો તમામ ખર્ચ અમારી સરકાર ઉઠાવશે. પીએમ શાહબાઝ શરીફે એ પણ વચન આપ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ અને સન્માનમાં યોગદાન આપનાર કોઈપણ વ્યક્તિને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અને સન્માન આપવામાં આવશે.


