પાકિસ્તાનમાં ગયા મહિને ધરપકડ કરાયેલા જનરલ ફૈઝ હમીદ વિરુદ્ધ કોર્ટ માર્શલ શરૂ કરવામાં આવ્યું છે. ફૈઝ હમીદ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે.
ફૈઝ હમીદ વિરુદ્ધ પુરાવા મળ્યા
ફૈઝ હમીદને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના માનવામાં આવી રહ્યા છે. ફૈઝ હમીદની 12 ઓગસ્ટે હાઉસિંગ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટરે કહ્યું છે કે, ફૈઝ વિરુદ્ધ તપાસમાં મજબૂત પુરાવા મળ્યા છે, જે પછી કોર્ટ માર્શલ શરૂ કરવામાં આવ્યું છે.
ઈમરાન ખાન પર ચાલશે લશ્કરી કેસ?
ફૈઝ હમીદની ધરપકડ અને કોર્ટ માર્શલની શરૂઆતને લઈને વિશ્લેષકોનું માનવું છે કે, હવે ઈમરાન ખાન વિરુદ્ધ લશ્કરી કેસ દાખલ થઈ શકે છે. પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાત આયેશા સિદ્દીકાએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, ‘આ ધરપકડનો હેતુ ફૈઝ હમીદ પર આવી માહિતી મેળવવા માટે દબાણ લાવવાનો છે જેથી 9 મેના રોજ થયેલી હિંસામાં ઇમરાન ખાન વિરુદ્ધ આરોપો લગાવી શકાય.’
‘સેનાનો કોઈ રાજકીય એજન્ડા નથી’
જો કે, ISPRના ડાયરેક્ટર જનરલ (DG) લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાની સેનાનો કોઈ રાજકીય એજન્ડા નથી. કારણ કે આપણે આપણી જાત પ્રત્યે જવાબદાર છીએ. તેમણે વધુમાં કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદે આર્મી એક્ટની ઘણી કલમોનું ઉલ્લંઘન કર્યું છે. અહેમદ શરીફે આરોપ લગાવ્યો છે કે, ISIના ભૂતપૂર્વ અધિકારીએ કેટલાક રાજકીય તત્વોના ઈશારે અંગત લાભ માટે કાયદાકીય અને બંધારણીય મર્યાદા ઓળંગી છે.
એક વર્ષથી જેલમાં છે ઈમરાન ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન લગભગ એક વર્ષથી જેલમાં છે. ઈમરાન ખાન પર કથિત રીતે હિંસા ભડકાવવાના આરોપમાં સિવિલ કોર્ટમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, ગયા મહિને તેમના સહાયક લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની ધરપકડ બાદ તેમના પર રાજદ્રોહ અને વિદ્રોહથી વધુ ગંભીર આરોપો લાગી શકે છે. સાથે જ 9 મેની હિંસા અંગે ઈમરાન વિરુદ્ધ લશ્કરી કેસ દાખલ કરવામાં મદદ મળી શકે છે.
સરકારે 9 મેની હિંસાને વિદ્રોહ ગણાવ્યો હતો
ગયા વર્ષે 9 મેના રોજ ઇમરાન ખાનના સમર્થકોએ તેમની ધરપકડનો વિરોધ કર્યો હતો જે દરમિયાન ઘણી હિંસા થઈ હતી. પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સેનાની ઓફિસો અને આર્મી ઓફિસરોના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. શાહબાઝ સરકારે તેને સેના સામે વિદ્રોહ ગણાવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાની સેના અને શાહબાઝ સરકાર આ હિંસા માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવવા માંગે છે.


