- પાકિસ્તાનના લાહોરમાં સ્કૂલવાન પર અંધાધૂંધ ફાયરિંગ
- ફાયરિંગની ઘટનામાં 2 બાળકોના મોત, 5 ગંભીર રીતે ઘાયલ
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
પાકિસ્તાનના લાહોરથી એક મોટી ઘટનાની માહિતી સામે આવી રહી છે. જ્યાં શૂટરોએ એક સ્કૂલ વાનને નિશાન બનાવી હતી. શૂટરોએ બાળકોની સ્કૂલ બસ પર ગોળીબાર કર્યો, જેમાં બે માસૂમ બાળકોના મોત થયા. આ ઘટનામાં વધુ 5 બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાંથી 2ની હાલત નાજુક છે.
પાકિસ્તાનના લાહોરમાં સ્કૂલવાન પર અંધાધૂંધ ફાયરિંગ
22 ઓગસ્ટે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અસામાજીક તત્વોએ એક સ્કૂલવાન પર હુમલો કર્યો હતો. શૂટરોએ સ્કૂલવાન પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બે માસુમ બાળકોના મોત થયા હતા. આ ઘટના લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર એટોક જિલ્લાના ઢેરી કોટ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાન બાળકોને તેમની શાળાએ મૂકવા જઈ રહી હતી ત્યારે અજાણ્યા શૂટરોએ તેના પર ગોળીબાર કર્યો હતો.
આ ઘટના અંગે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે હુમલામાં 5 થી 10 વર્ષની વયના સાત જેટલા બાળકો ઘાયલ થયા હતા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બે માસૂમ બાળકોના મોત થયા, જ્યારે અન્ય બે બાળકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઉપરાંત ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારી સરદાર ગ્યાસ ગુલે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની મદદથી શૂટરોની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે.
શું સ્કૂલ વાનના ડ્રાઈવરની કોઈ સાથે દુશ્મની?
હવે પોલીસ આ મામલાની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે કે આ કોઈ આતંકવાદ સંબંધિત ઘટના છે કે પછી સ્કૂલ વાનના ડ્રાઈવરની કોઈ સાથે દુશ્મની હતી. ગૃહ પ્રધાન મોહસિન નકવી અને પાકિસ્તાની પંજાબના મુખ્યપ્રધાન મરિયમ નવાઝે આ ઘટનાની નોંધ લીધી અને કહ્યું કે સ્કૂલ વાનને નિશાન બનાવવાના આ જઘન્ય અપરાધમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ પોલીસને શૂટરોની વહેલી તકે ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પાકિસ્તાન પંજાબના મહાનિરીક્ષક ડૉ. ઉસ્માન અનવરે પણ હુમલાની નોંધ લીધી અને રાવલપિંડી પ્રાદેશિક પોલીસ અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો. તેમણે એટોક ડીપીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચીને જવાબદાર લોકોની ધરપકડ કરવા સૂચના આપી હતી. પોલીસ ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી છે, તેનું નિરીક્ષણ કર્યું છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને માત્ર પંજાબના મુખ્યમંત્રી જ નહીં પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ સ્કૂલના બાળકો પર થયેલા હુમલાની નિંદા કરી છે.


