- પૂરપાર જતી બસ પલ્ટી ખાડામાં ખાબકતા સર્જાઈ ગમખ્વાર દુર્ઘટના
- પાકિસ્તાનમાં બિસ્માર રસ્તાઓ હોવાથી અકસ્માત થવા સામાન્ય બાબત
- સ્થાનિકોએ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા
પાડોશી દેશમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતમાં ગોઝારો અકસ્માત થયો છે. એક પૂરપાટ જતી પ્રવાસી બસ પલટીને ખાડામાં ખાબકી હતી. જેથી બાળકો, મહિલાઓ સહિત 28 લોકોનાં મોત થયા હતા. મળતી માહિતી અનુસાર બસ તુર્બતથી બલૂચિસ્તાનની રાજધાની કવેટા જઈ રહી હતી. વાશુક શહેર પાસે બસ ખાડામાં ખાબકી હતી. રિપોર્ટ પ્રમાણે વધુ સ્પીડ હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનો ખુલાસો થયો છે. જો કે અકસ્માત બાદ ઘટનાસ્થળો લોકોનું ટોળું એકઠું થયું હતું. બસમાં ફસાયેલા લોકોને સ્થાનિકો બહાર કાઢયા હતા.
પ્રવાસી બસનું ટાયર ફાટતા અકસ્માત
મળતી માહિતી અનુસાર, આ પ્રવાસી બસનું ટાયર ફાટવાથી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 28 લોકોનાં મોત થયા છે અને આશરે 22 લોકો ઈજાગ્રસ્ત છે. ઘાયલોને સારવાર માટે નજીકની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના અંગેની જાણકારી મળ્યા બાદ મૃતકોના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે ઘટનાસ્થળે જઈ અકસ્માતમાં ભોગ બનેલા લોકોનું રૅસ્ક્યૂ કર્યું હતું.
પાકિસ્તાનમાં બિસ્માર રસ્તાઓ પર અકસ્માત થવો સામાન્ય
પાકિસ્તાનમાં માર્ગ અકસ્માત સામાન્ય ઘટના છે. અહીં પરિવહનના નિયમો અને સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં નથી આવતું. આ અગાઉ પંજાબના ખુશાબ જિલ્લામાં 18 મેના રોજ એક ટ્રક ખીણમાં ખાબકતા એક જ પરિવારના 13 લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અગાઉ ત્રીજી મેના રોજ ગિલગિત બાલ્ટિસ્તાનમાં એક પ્રવાસી બસ એક સાંકડા રસ્તેથી પલટીને ખાડામાં ખાબકી હતી જેમાં 20 લોકોનાં મોત થયા હતા, આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા હતા.


