પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા આતંકવાદી હુમલામાં 6 સુરક્ષા જવાનોના મોત થયા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ આ હુમલાની જવાબદારી લીધી છે.
મિશ્તા ગામમાં એક ચેકપોસ્ટ પર હુમલો
પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓના એક જૂથે દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના મિશ્તા ગામમાં એક ચેકપોસ્ટ પર હુમલો કર્યો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આતંકવાદીઓને નિષ્કિય કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ કાર્યવાહી સામે આ હુમલો માનવામાં આવી રહ્યો છે.
મોડી રાત્રે સુરક્ષા ચોકીને નિશાન બનાવવામાં આવી
અધિકારીઓના જણાવ્યા અનુસાર મોડી રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. જેમાં 6 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને અન્ય 11 ઘાયલ થયા. દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શુક્રવારે જિલ્લાના આઝમ વારસાક વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 7 આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
સુરક્ષા દળોને નિશાન બનાવી રહી છે TTP
મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં TTP સક્રિય છે અને પાકિસ્તાની સુરક્ષા દળોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન સરકારનો આરોપ છે કે, અફઘાન પ્રશાસન તેમને આશ્રય આપે છે. જોકે, તાલિબાન આ આરોપોને ફગાવી રહ્યું છે.
તાલિબાનનું પુનરાગમન બાદ આતંકવાદી હુમલા વધ્યા
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું પુનરાગમન થયું છે ત્યારથી આ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા અને તણાવ વધ્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો 3 વર્ષ પહેલા 2021માં તાલિબાનની પુનરાગમન બાદથી સતત તંગ બની રહ્યા છે.


