- ODI વર્લ્ડ કપ 2023 થી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં હંગામો ચાલુ
- વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ બાબરે કેપ્ટનશીપ છોડી હતી
- બાબર આઝમ ફરી એકવાર બની શકે છે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન
ODI વર્લ્ડ કપ 2023 થી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં હંગામો ચાલી રહ્યો છે. વર્લ્ડ કપ બાદ બોર્ડમાં ઘણા ફેરફારો થયા હતા. આ સિવાય તત્કાલીન ટીમના કેપ્ટન બાબર આઝમે રાજીનામું આપી દીધું હતું. પરંતુ હવે રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબર આઝમ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બની શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષમાં બદલાવ
તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષપદે ફેરફાર કરવામાં આવ્યો હતો. મોહસિન નકવીને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેના પછી ફરી એકવાર ટીમની કેપ્ટનશીપમાં ફેરફાર થઈ શકે છે. વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ બાબરે કેપ્ટનશીપ છોડી દીધી અને ત્યારબાદ પાકિસ્તાન ટીમે વિભાજીત કેપ્ટનશીપ અપનાવી. શાન મસૂદને ટેસ્ટ અને શાહીન શાહ આફ્રિદીને T20 ઈન્ટરનેશનલ માટે ટીમની કમાન સોંપવામાં આવી હતી.
પાકિસ્તાન ટીમનું ફોર્મ ખરાબ
મસૂદ અને શાહીન બંને પોતપોતાની પ્રારંભિક સોંપણીઓમાં નિષ્ફળ ગયા. મસૂદની કપ્તાનીવાળી પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 3-0થી હારી ગઈ હતી. આ પછી, પાકિસ્તાનની ટીમે શાહીન આફ્રિદીની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડની ધરતી પર 5 T20 મેચોની શ્રેણી રમી હતી, જેમાં તેને 4-1થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
બાબર આઝમને ફરી મળશે ટીમની કમાન
હવે પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલા અહેવાલો અનુસાર બાબર આઝમ ફરી એકવાર કેપ્ટન પદ પર યુ-ટર્ન લઈ શકે છે. મસૂદ અને શાહીન પહેલા, બાબર ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનના નિયમિત કેપ્ટન હતા. બોર્ડના નવા અધ્યક્ષ ઘણા ફેરફારો કરવા માંગે છે, જેમાં ટીમની કેપ્ટનશીપ પણ સામેલ થઈ શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ખરેખર પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશિપમાં ફરી એકવાર ફેરફાર થાય છે કે નહીં. હાલ બાબર ટીમમાં ખેલાડી તરીકે રમી રહ્યો છે.


