- સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર ઉઠી રહ્યા છે અનેક સવાલો
- લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યા બાદ આતંકીઓની નજરમાં આવ્યા હતા
- અનેક વાર સુરક્ષા માંગવા છતાં સુરક્ષા કેમ ન આપવામાં આવી?
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના તુરંત બાદ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ હત્યા કેસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાન તરફથી તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. આ અંગે તેણે રાજસ્થાન પોલીસને પત્ર લખીને સુરક્ષા આપવા વિનંતી પણ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યા બાદ થી જ તે પાકિસ્તાની આતંકવાદીઓની નજરે ચઢી ગયા હતા.
ગોગામેડીએ શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો
મળતી માહિતી મુજબ, 15 ઓગસ્ટ 2018ના રોજ સુખદેવ સિંહ ગોગામેડીએ કરણી સેનાના લોકો સાથે મળીને જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો હતો. ત્યારબાદથી જ તેમને ધમકીઓ મળી રહી હતી. કરણી સેનાના એક નેતા સુરેન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાણે સુખદેવ સિંહ દાદાને પાકિસ્તાન તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. તેમણે શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ઝંડો ફરકાવ્યો હતો. ત્યારબાદથી જ તેઓ પાકિસ્તાની આતંકવાદીઓના નિશાને હતા. તેઓ હિન્દુ હૃદય સમ્રાટ બની ચૂક્યા હતા. ગત વર્ષે કરણી સેનાના તમામ પદાધિકારીઓએ એક પત્રકાર પરિષદ કરીને દાદા માટે પોલીસ સુરક્ષા મેળવવા માટે વિનંતી કરી હતી. અમે ગેહલોત સરકારને તેમના માટે પૂરતી સુરક્ષાની માંગ કરી હતી.
સુરક્ષાની માંગ કરતો વિડીયો આવ્યો સામે
સુખદેવ સિંહ ગોગામેડીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ ધમકીઓ અને સુરક્ષા અંગે વાત કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં તેઓ કહી રહ્યો છે કે, “મેં ફરિયાદ કર્યા બાદ પણ પ્રશાસનનું વલણ ઢીલું છે.” પોલીસ અને પ્રશાસનને ફરિયાદ કર્યાને ત્રણ દિવસ વીતી ગયા છે. પરંતુ તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી. હજુ સુધી તેઓ એ વાતની પુષ્ટિ કરી શક્યા નથી કે મને પાકિસ્તાન તરફથી ધમકીભર્યા કોલ આવી રહ્યા છે કે કોઈ ઇન્ટરનેટ દ્વારા ફેક કોલ કરી રહ્યું છે. મને ભારતના નંબર પરથી પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.” આ રીતે, ગોગામેડીના શબ્દો પરથી સમજી શકાય છે કે તે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત હતા. જો સમયસર તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી હોત તો તેમનો જીવ બચી શક્યો હોત.
પાકિસ્તાન, ખાલિસ્તાન અને હિન્દુસ્તાની ગેંગસ્ટર્સનું કનેક્શન
ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ કેનેડા અને અમેરિકાથી ઓપરેટ થઈ રહી છે. તેના જિગરી દોસ્ત ગોલ્ડી બ્રાર અને નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ અને વિદેશમાં બેઠેલા ઘણા સાગરીતો ભારતમાં ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે. આ ગેંગના ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે ઊંડા સંબંધો છે. તેઓ તેમને કેનેડામાં માત્ર સુરક્ષા જ નથી આપતા, પરંતુ જરૂર પડ્યે તેમને ભારતમાંથી પલાયન કરવા માટે પણ મદદ કરે છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઘણા સાગરિતો નકલી પાસપોર્ટ દ્વારા ભારતથી કેનેડા, દુબઈ કે અમેરિકા ગયા છે. ખાલિસ્તાની નેતાઓએ તેમને મદદ કરી છે. ખાલિસ્તાનીઓ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી વચ્ચેના સંબંધો પણ જાણીતા છે. એવામાં, એવું પણ શક્ય છે કે પાકિસ્તાની અને ખાલિસ્તાનીઓએ આ ગેંગ દ્વારા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરાવી હોય. આમ પણ, આ હત્યાની જવાબદારી લેનાર ગેંગસ્ટર રોહિત ગોદારા દુબઈમાં બેઠો છે.
NIAને સોંપવામાં આવી શકે છે તપાસ
સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ, ગોગામેડી હત્યા કેસની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે. ટૂંક સમયમાં NIAની ચાર સભ્યોની ટીમ તપાસ માટે જયપુર પહોંચી શકે છે. શરૂઆતમાં NIAના અધિકારીઓ રાજસ્થાન પોલીસ દ્વારા રચાયેલી SITને તપાસમાં સહયોગ કરશે. ત્યારબાદ, જરૂરિયાત મુજબ આ કેસ પોતાના હાથમાં લઈ શકે છે. ભાજપના નેતા રાજેન્દ્ર રાઠોડે NIA દ્વારા તપાસ માટે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે આ કોઈ હત્યાકાંડ નથી પરંતુ વર્તમાન સરકારના મોઢા પર તમાચો છે. સામાજિક કાર્યકરની હત્યા સરકારના માથે કલંક સમાન છે. અનેક વખત માંગવા છતાં સુરક્ષા કેમ આપવામાં આવી નહિ? આ કેસની તપાસ સ્થાનિક પોલીસ નહીં કરી શકે, એટલે આ કેસ NIAને સોંપવો જોઈએ. છેલ્લા 5 વર્ષમાં અનેક હત્યાઓ થઈ છે, જે આયોજનબદ્ધ રીતે ગેંગસ્ટર્સ દ્વારા કરવામાં આવી હતી. અનેક ધારાસભ્યોને પણ ધમકીઓ આપવામાં આવી છે.
રાજસ્થાન પોલીસે કરી SITની રચના, દિનેશ એનએમ કરશે લીડ
રાજસ્થાન પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસની તપાસ માટે SITની રચના કરી છે. એડીજી ક્રાઈમ દિનેશ એનએમની આગેવાની હેઠળની SIT આ કેસની તપાસ કરશે. આ હત્યાકાંડ આચારીને ફરાર થયેલા બંને આરોપીઓની ઓળખ રાજસ્થાનના જયપુરના રહેવાસી રોહિત રાઠોડ અને હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી નીતિન ફૌજી તરીકે થઈ છે. FIR નોંધાતાની સાથે જ બંને આરોપીઓ પર 5-5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. ડીજીપીએ કહ્યું કે પોલીસ સંપૂર્ણ તત્પરતાથી હત્યારાઓની શોધ શરૂ કરી રહી છે. ત્રીજા આરોપીનું ઘટના દરમિયાન જ ગોળી વાગવાથી મોત થયું હતું.


