પાકિસ્તાની ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કહેવામાં આવ્યું છે કે, દિગ્ગજ અભિનેત્રી આયશા ખાનનું નિધન થયું છે. અભિનેત્રી પોતાના ઘરેથી મૃત હાલતમાં મળી આવી હતી. તેના મૃત્યુના 7 દિવસ બાદ અભિનેત્રીનો મૃતદેહ તેના કરાચી સ્થિત ઘરમાંથી મળી આવ્યો હતો. અભિનેત્રીના પડોશીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
અઠવાડિયા પહેલા અભિનેત્રીનું થયું નિધન
અભિનેત્રીના ઘરમાંથી દુર્ગંધ આવતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અભિનેત્રીના ફ્લેટ પર પહોંચી હતી. જ્યાં તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસ અને ફોરેન્સિક ટીમોએ ખુલાસો કર્યો છે કે અભિનેત્રીનું મૃત્યુ લગભગ એક અઠવાડિયા પહેલા થયું હતું. હાલમાં અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો છે.
પાકિસ્તાની પ્રખ્યાત અભિનેત્રી હતી આયેશા ખાન
આયેશા ખાનનો જન્મ વર્ષ 1948 માં થયો હતો. અભિનેત્રીએ 76 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. આયેશા પાકિસ્તાની અભિનેત્રી ખાલિદા રિયાસતની મોટી બહેન હતી. અહેવાલો અનુસાર, આયેશા ખાન છેલ્લા ઘણા વર્ષોથી અભિનયથી દૂર હતી અને પોતાના ઘરમાં એકલી રહેતી હતી. અભિનેત્રીને બાળકો છે પરંતુ તેઓ વિદેશમાં રહે છે. હાલમાં પોલીસ તેમના આવવાની રાહ જોઈ રહી છે.
આયેશા ખાન છેલ્લા ચાર દાયકાથી પોતાના અભિનય દ્વારા લોકોનું મનોરંજન કરી રહી છે. તેમણે ટેલિવિઝન નાટકો, ટેલિફિલ્મો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે 2020 ના ટીવી શો ‘સોટેલી મમતા’ માં સ્ક્રીન પર જોવા મળી હતી.