- મલાણા પાટીયાથી જગાણા સુધી મંજૂર થયેલા 23 કિલોમીટરના રીંગરોડમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો
- પાલનપુરમાં 23 કિલોમીટરનો રિંગ રોડ મંજૂર થયો
- ખેડૂતોની માગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી
પાલનપુરના મલાણા પાટીયાથી જગાણા સુધી મંજૂર થયેલા 23 કિલોમીટરના રીંગરોડમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. રીંગ રોડ માટે ખેડૂતોને જમીન આપવાની ના નથી, પરંતુ જે પ્રકારે જરૂરિયાત કરતાં વધુ જમીન એકવાયર કરી રહ્યા છે તેને લઈને ખેડૂતોઓ વિરોધ નોંધાવ્યો છે, જેને લઈને મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થયા છે અને કલેકટરને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે જરૂરિયાત મુજબની જમીન ખેડૂતો પાસેથી લેવાય તેનો વાંધો નથી પણ જો વધારાની જમીન લેવાશે તો ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે.
જાહેરનામું બહાર પાડીને મલાણાથી જગાણા સુધી આવતી ખેડૂતોની જમીન લેવાનો નિર્ણય કર્યો
જિલ્લા મથક પાલનપુરમાં મલાણાથી જગાણા સુધી 23 કિલોમીટરનો રિંગ રોડ મંજૂર થયો છે, ત્યારે એરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આ રિંગ રોડને મંજૂરી આપવામાં આવી છે, જોકે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને મલાણાથી જગાણા સુધી આવતી ખેડૂતોની જમીનમાંથી 70થી 100 મીટર સુધી જમીન એકવાયર કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ખેડૂતો કચેરી ખાતે એક્ઠા થયા છે અને કલેક્ટરને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે.
ખેડૂતોની માગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી
જેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે કારણ કે જે રિંગ રોડના માટે 30 મીટર જેટલી જમીનની જરૂરિયાત છે અને તંત્ર વધુ જમીન લઈ રહ્યું છે, જે મામલે આજે ખેડૂતોએ એકઠા થઈ અને મોટી સંખ્યામાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી કે જરૂરિયાત મુજબની જમીન ખેડૂત પાસેથી લેવામાં આવે, કારણ કે જરૂરિયાત કરતા વધુ જમીન લેવાશે તો ખેડૂતોના ઘર પણ તેમાં જાય અને તેમના કુવા પણ આ જમીનમાં કપાઈ જાય તેમ છે, જો કે ખેડૂતો રિંગ રોડનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ જરૂરિયાત પ્રમાણેની જમીન તેમની પાસેથી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને આ માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ખેડૂતો આંદોલનના માર્ગે જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.


