પવિત્ર પુરુષોત્તમ માસની વદ (કૃષ્ણ) પક્ષમાં આવતી અગિયારસ `પરમા’ એકાદશીના નામે ઓળખાય છે. આ અગિયારસ પવિત્ર હોઈ પાપને હરનારી તથા નર-નારીને ભોગ અને મોક્ષ આપનારી છે. યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે, હે કેશવ! અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી અગિયારસનું શું મહત્ત્વ હોય છે તે વ્રત કેવી રીતે કરવું તે પણ જણાવો. યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે, આ અગિયારસથી `પંચરાત્ર વ્રત’ (વદ અગિયારસથી અમાસ સુધી પાંચ દિવસનું વ્રત) કરવું, જે કરવાથી મનુષ્ય ભોગ-વૈભવ તથા મોક્ષની પ્રાપ્તિ કરી લે છે. અગિયારસના દિવસે સવારે વહેલા ઊઠી નિત્યકર્મથી પરવારીને શક્તિ પ્રમાણે પંચરાત્ર વ્રત કરવા માટે સંકલ્પ લઇને નિયમો પાળવા. એક સમય ભોજન કરવું, પાંચ દિવસ રોજ પાણી ભરેલો ઘડો બ્રાહ્મણને દાન કરવો, મંદિરમાં દીપદાન માટે ઘી અર્પણ કરવું, સૂર્યને અર્ધ્ય આપવો, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, ભગવાન શ્રી હરિની પૂજા-અર્ચના કરવી. જે મનુષ્યએ પરમા એકાદશીનું વ્રત કર્યું હોય તેણે પુષ્કર આદિ સર્વ તીર્થો, ગંગા આદિ નદીઓમાં સ્નાન તથા ગયા શ્રાદ્ધ કર્યું ગણાય.
દરિદ્રતાને દૂર કરશે પરમા એકાદશીનું વ્રત
જે કોઈ પણ મનુષ્ય આ પરમા એકાદશીનું વ્રત શ્રદ્ધાભક્તિ સહિત કરે છે તે વૈકુંઠની પ્રાપ્તિ કરી લે છે
કહેવાય છે કે,
મલિમ્લુચે પંચરાત્રં, પશ્ચાતાપ પાપહરકમ્ ।
પંચરાત્રે ચ પરમા, પદ્મિની પાપશોષણી ॥ 61 ॥
(શ્રી પુરુષોત્તમ માસ માહાત્મ્ય, અધ્યાય.37, શ્લોક નં.61)
પંચરાત્રમાં પણ પરમા એકાદશી સર્વ પાપોનો નાશ કરી પ્રાયશ્ચિત રૂપે શ્રી હરિનું પૂજન કરીને જે વ્યક્તિ ગાયોને ઘાસ નાખે છે તે સકલ પાપમાંથી મુક્ત થાય છે. આ પંચરાત્રમાં ભગવાનને પ્રિય એવી પરમા એકાદશીનું મહત્ત્વ સવિશેષ ગણાય છે. ચોર્યાસી લાખ યોનિઓના સંકટમાં ભ્રમણ કરનારો મનુષ્ય પણ આ એકાદશીના વ્રતના પુણ્યમાત્રથી સંસાર સાગરમાંથી મુક્ત થઇ જાય છે.
યેડય્યેવં ભુવિ મનુજા મલિમ્લુચસ્ય,
સુસ્નાતા: શુભવિધિના સમાચરન્તિ ।
તે ભુક્ત્વા દિવિ વિભવં સુરેન્દ્રંતુલ્યં,
ગચ્છેયુસ્તિભુવન વન્દિતસ્ય ગેહમ્ ॥ 68॥
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, હે યુધિષ્ઠિર! જે પણ કોઈ મનુષ્ય આ પરમા એકાદશીનું વ્રત શ્રદ્ધાભક્તિ સહિત કરે છે તે વૈકુંઠની પ્રાપ્તિ કરી લે છે તેમજ એ વ્યક્તિ ઉત્તમ ભોગ ભોગવીને સ્વર્ગના દેવ ઈન્દ્ર જેવો વૈભવ પામે છે અને છેવટે ત્રણે ભુવનોમાં તે વ્યક્તિ સન્માનને પાત્ર બને છે.
પરમા અગિયારસની કથા
ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પરમા એકાદશીનું મહત્ત્વ સાંભળ્યા બાદ ધર્મરાય યુધિષ્ઠિરે ભગવાનને કહ્યું કે, હે પ્રભુ! આ પરમા એકાદશી સાથે જોડાયેલી કોઈ કથા હોય તો મને જણાવો. તે સંદર્ભે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે, સાંભળો ધર્મરાય – કાંપિલ્યનગરમાં સુમેધા નામનો એક ધાર્મિક બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ `પવિત્રા’ હતું. તે પતિવ્રતા પત્ની નામ પ્રમાણે તેના ગુણ હતા. એ બ્રાહ્મણ કોઇ કર્મને બંધનવશ ધનધાન્યથી રહિત હતો. તે ઘણા લોકો પાસે યાચના કરતો હતો છતાં કોઈ પણ તેને ભોજન, ધન, ભિક્ષા કે વસ્ત્ર, આભૂષણ આપતું નહીં. એક વાર, સુમેધા બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું કે, હે પ્રિયે! મને ધન મળતું નથી, કોઈ પણ મનુષ્ય મને ભિક્ષા આપતું નથી. તું બતાવ હું શું કરું? તેની પત્ની પવિત્રાએ કહ્યું, પૂર્વજન્મના ભાગ્યબળને લઇને આ જન્મમાં સુખ, દુઃખ અને ધન મળે છે. આપણે પૂર્વજન્મમાં દાન કર્યું નહીં હોય તેથી આ જન્મમાં આ દુઃખ ભોગવવું પડે જ છૂટકો. તમે ભગવાન પર ભરોસો રાખો. પ્રભુ અવશ્ય આપણું કલ્યાણ કરશે. આ વચન સાંભળી સુમેધા બ્રાહ્મણને સંતોષ થયો. એક સમયે મુનિશ્રેષ્ઠ કૌડિન્ય ઋષિ સુમેધા બ્રાહ્મણને ત્યાં પધાર્યા. સુમેધા બ્રાહ્મણે ઋષિનું સ્વાગત કરી ભોજન કરાવ્યું. ત્યારબાદ સુમેધા બ્રાહ્મણે ઋષિ આગળ પોતાની વ્યથા રજૂ કરી કે હું દરિદ્ર બ્રાહ્મણ છું. હે ઋષિવર! કોઈ એવો ઉપાય બતાવો કે મારું દારિદ્રય નાશ પામે. સુમેધા બ્રાહ્મણના પ્રશ્નના ઉત્તરમાં ઋષિએ કહ્યું કે –
પરમા નામવિખ્યાતા. વિષ્ણો સ્થિતસ્થિર અનુત્તમા ।
મલિમ્લુચે તુ યા કૃષ્ણા, મુક્તિ ભુક્તિ ફળપ્રદા ॥ 36 ॥
(શ્રી પુરુષોત્તમ માસ માહાત્મ્ય, અધ્યાય.37, શ્લોક નં.36)
હે સુમેધા બ્રાહ્મણ! પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અગિયારસને `પરમા’ એકાદશીના નામથી વિખ્યાત છે. પૂર્વ યક્ષપતિ ધનરાજ કુબેરે પણ આ વ્રત કર્યું હતું તેથી ભગવાન શંકરે તેના પર કૃપા કરીને ધનનો અધિપતિ (દેવતાઓનો કોશાધ્યક્ષ) બનાવ્યો હતો. તું ભક્તિ શ્રદ્ધા સહિત વિધિવત્ આ એકાદશીનું વ્રત કર જેનાથી તારી દરિદ્રતા નાશ પામશે. ત્યારબાદ સુમેધા બ્રાહ્મણે પત્ની સહિત પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અગિયારસનું વ્રત કર્યું જેના પ્રભાવથી તે ખૂબ જ ધનવાન થયો. આ વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખ ભોગવી અંતે તે વૈકુંઠ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, યુધિષ્ઠિર! દરિદ્રતાને દૂર કરનારી આ પરમા એકાદશી મને અતિ પ્રિય છે.
પરમા એકાદશીએ આટલું કરો
1. પરમા એકાદશીના દિવસે બ્રાહ્મણોને ત્રાંબાના પંચપાત્રનું દાન શ્રેષ્ઠ ગણાય.
2. અગિયારસના દિવસે કોઈ પણ મંદિરમાં દીપદાન અને ગાયના ઘીનું દાન કરવું.
3. શ્રી વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરીને શ્રી લક્ષ્મીનારાયણને 1008 તુલસીદલ ચઢાવવાં.
4. શ્રી સત્યનારાયણાષ્ટકમનો 12 વાર પાઠ કરવો.
5. શ્રી વિષ્ણુ પંજર મહાસ્તોત્રનો પાઠ કરવો.
6. સ્ફટિકની માળા પર ॥ ૐ મહાલક્ષ્મયૈ ચ વિદ્મહે, વિષ્ણુપત્ન્યૈય ધિમહી, તન્નો લક્ષ્મીઃ પ્રચોદયાત્ ॥ આ લક્ષ્મી ગાયત્રી મંત્રની 11 માળા કરવી.
7. દક્ષિણાવર્તી શંખ દ્વારા લક્ષ્મીનારાયણ પર ગુલાબજળનો અભિષેક કરવો.
8. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધનો પાઠ કરવો.
9. શ્રી યંત્રમ્ પર પંચામૃત અને ત્યારબાદ ગુલાબજળથી અભિષેક કરીને 21 વાર `શ્રી સુક્તમ્’નો પાઠ કરવો.
10. યથાશક્તિ ગાયોને ઘાસ ખવડાવવું.
11. ભગવાન શ્રી કૃષ્ણની રાધા સહિત પંચોપચારે પૂજા કરવી.