- સતત બીજા દિવસે ટ્રક ચાલકોની હડતાલ, ઠેર ઠેર પ્રદર્શન કરી કાયદાના વિરોધમાં આવેદનપત્રો અપાયા
- યાર્ડમાં ટ્રક-ટેમ્પો લાવવાની મનાઈ
- શાકભાજીના ઢગલા થઈ જતાં ભાવમાં 50થી 60 ટકાનો ઘટાડો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા આવતીકાલથી પાર્સલ બુકિંગ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં પરિવહન ખોરવાઈ જવાની ભીતિ છે. જ્યારે રાજકોટમાં તેમજ અન્ય શહેરોના યાર્ડમાં ટ્રક-ટેમ્પો લાવવાની મનાઈ ફરમાવાતા આગામી બે-ત્રણ દિવસમાં આવશ્યક ચીજવસ્તુ જેવી કે શાકભાજી, પેટ્રોલ-ડીઝલની અછતની રામાયણ થવાના અણસાર મળી રહ્યા છે. જુનાગઢ જિલ્લામાં ટ્રક હડતાલની ખાસ અસર જોવા મળી નથી. રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ, મગફળી અને સૂકા મરચાની આવક બંધ થઈ છે.
ટ્રક ચાલકોની હડતાલને પગલે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં અસરો જોવા મળી રહી છે. બંને જિલ્લામાં હજારો ટ્રકોના પૈડાં થંભી જતા શાકભાજી સહિતનો માલ અન્ય શહેરોમાં મોકલી શકાતો નથી. પરિણામે હોલસેલ માર્કેટોમાં શાકભાજીના ઢગલા થવા લાગ્યા છે અને ભાવમાં 50 થી 60 ટકાનો ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હડતાલ લાંબો સમય ચાલશે તો સ્થાનિક ખેડૂતોએ પકવેલ શાકભાજી બહાર જઈ શકશે નહીં અને શાકભાજીના ભાવ તળિયે આવવાની દહેશત રહેલી છે. મંગળવારે ભિલોડામાં ટ્રક ચાલકોએ સરકારના માર્ગ અકસ્માતના કાયદાનો ઉગ્ર વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો. સાબરકાંઠા ટ્રક ડ્રાઈવર એસોસિયેશન દ્વારા મંગળવારે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતુ. 4 જાન્યુઆરીના રોજ ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ બંધને સમર્થન જાહેર કર્યું હતું. મંગળવારે ટ્રકોની હડતાલની સાબરકાંઠામાં નહીવત અસરો જણાઈ હતી. તાપી જિલ્લા સેવા સદન ખાતે મંગળવારે મોટી સંખ્યામાં હાજર રહેલા વાહનચાલકોએ નવા કાયદાને રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદન દ્વારા રજૂઆત કરી હતી. તાપી જિલ્લાના જુદાજુદા તાલુકાના ટ્રક, ટેમ્પોચાલકોએ નવા કાયદાને કાળો કાયદો ગણાવીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. જો કાયદો તાત્કાલિક અસરથી રદ ન થાય તો તાપી જિલ્લાના ડ્રાઇવરો દ્વારા હડતાળ કરી, રસ્તા રોકો સહિતના જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.ટ્રક ડ્રાઇવરોની હડતાળના પગલે મધ્ય ગુજરાતની 115 ક્વોરીમાં ઉત્પાદન ઠપ થયું છે. હજારો શ્રામિકોને રોજગારી બે દિવસથી બંધ રહી છે. જો હડતાળ લાંબી ચાલે તો બાંધકામ ઉદ્યોગને અસર પડશે તેમ જણાવાય છે. બે દિવસમાં સરકારને ડયૂટી પેટે જ રૂ. 3 કરોડનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. વડોદરા ગ્રેઇન મર્ચન્ટ્સ એસો.ના પ્રમુખે જણાવ્યું હતું કે, હાલમાં કોઇ જ અસર અનાજ-કરિયાણાના પુરવઠા ઉપર પડી નથી. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી ચોખાનો પુરવઠો આવે છે. જોકે હાલમાં પુરવઠો પુરતા પ્રમાણમાં બજારમાં ઉપલબ્ધ છે. એક સપ્તાહ સુધી હડતાળ ચાલે તો જ તેની અસર પડી શકે તેમ છે. સિહોરના ટાવરચોક સામે ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરતા ટ્રાફિકજામ થયો હતો. તંત્ર દોડતુ થઈ ગયું હતું.


