પાટણના રેલ્વે સ્ટેશન, લક્ષ્મી નિવાસ બંગલો પાસેથી કથા સ્થળ સુધી પોથીનું પૂજન કર્યા બાદ ભવ્યાતિભવ્ય પોથીયાત્રામાં ઘોડા ઉપર નાયકા દેવી , શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ તથા હવામાં ઉડતા દ્વારકાધીશ સહિત 28 જેટલા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર રહેશે. નવ જેટલી સ્કુલો અને મંદિરોના ટેબ્લો, નાશિક ઢોલ, લાઠીના દાવ, બે ડીજે પર લાઈવ ગાયક કલાકારો દ્વારા સંગીત, બે બેન્ડ પોથીયાત્રામાં જોડાશે. સાથે 108 યજમાનો ભાગવત ગ્રંથ માથે લઈને પોથીયાત્રામાં જોડાશે. 108 દીકરીઓ કળશ અને તુલસીના છોડ સાથે જોડાશે. રેલવે સ્ટેશનથી રંગીલા હનુમાન મંદિર સુધી વિવિધ સંસ્થાઓ સેવા કેમ્પ કરશે. બગીઓ પર કથાના મુખ્ય દાતા પરીવાર જનો સાથે જોડાશે. પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ તથા અન્ય સંતો પણ સાથે રહેશે. પાટણની વિવિધ સંસ્થાઓના આગેવાનો, સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો સહિત હજારો નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાશે. પોથીયાત્રા રંગીલા હનુમાન ખાતે પૂર્ણ થયા બાદ તમામ વાહનો દ્વારા ગૌશાળા પહોંચશે. જ્યાં સૌ ગોવ્રતી ભોજન પ્રસાદ કરી છુટા પડશે. હરીઓમ ગૌશાળા અનાવાડા તરફ્થી સૌને બપોરે બે વાગ્યે રેલવે સ્ટેશન પર આવવા માટે અપીલ કરાઇ છે.


