વ્યસની યુવક સાથે દીકરીનું સગપણ નહીં..નહીં..અને નહીં જ
ઉમિયા માતાજી મંદિર સિદસર મહિલા સંગઠન સમિતિ અને તબીબોના સંયુક્ત ઉપક્રમે “કેન્સરથી ડરે તે મરે “કાર્યક્રમમાં લેવાયા વ્યસન મુક્ત કરવા,કરાવવાના સંકલ્પ
રક્ષાબંધન, જન્મદિને અને જવતલ બદલ વ્યસન છોડાવવાની ભેટ માંગવાની બહેનોને અપીલ
સમાજમાં દરેક ઘરમાં કોઈપણ વ્યક્તિને એક પણ વ્યસન ન હોય એ આદર્શ સમાજ છે. આજના સમયમાં આવા આદર્શ સમાજની કલ્પના કરવી મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. ઘરમાં જ્યારે વ્યસનનો માહોલ હોય તે આર્થિક સામાજિક દરેક પ્રકારે નુકસાન કરે છે. કોઈપણ વ્યસનનીઓનું વ્યસન છોડાવવું સહેલું નથી આમ છતાં આવા કઠિન કામ માટે પાટીદાર સમાજની બહેનોએ કમર કસી છે. શાશ્વત કેન્સર હોસ્પિટલ દ્વારા કેન્સર અવેરનેસ ના કાર્યક્રમમાં અનોખો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
ઉમિયા માતાજી મંદિર સિદસર મહિલા સંગઠન સમિતિ અને તબીબોના સંયુક્ત ઉપક્રમે “કેન્સરથી ડરે તે મરે “કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્સર માટે જવાબદાર એવા વ્યસન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચાહે સોપારી, તમાકુ કે ચુનો જેવું સામાન્ય વ્યસન હોય તો પણ ઘર અને સમાજ પર તેની નકારાત્મક અસર થાય છે. પોતાના પરિવાર સ્વજનો અને સંબંધીઓના ઘરમાં વ્યસન છોડાવવા માટે પાટીદાર બહેનો આગળ આવી હતી અને મક્કમ નિર્ણય કર્યો હતો કે ,જે યુવકો વ્યસન કરતા હશે તેની સાથે દીકરીનું સગપણ નહિ કરે અથવા તો આવા ઘરમાં દીકરી નહિ દેવાનો નિર્ણય કરાયો છે. આ માટે દીકરીની બાયોડેટામાં જ એવો ઉલ્લેખ કરવો કે વ્યસની છોકરાઓએ સંપર્ક કરવો નહીં. સમાજને નિર્વ્યસની બનાવવા માટે આ એક ઐતિહાસિક પગલું છે
શર્મિલાબેન બાંભણિયા જે ગ્રામ્ય લેવલના બાળકો માટે સ્કૂલ અને ડિફેન્સ એકેડેમી ચલાવે છે અનાથ બાળકોને ફ્રી શિક્ષણ આપે છે તેમજ સિનિયર અને જુનિયર કેજીનું શિક્ષણ પણ ફ્રીમાં આપે છે. સમાજ સુધારણામાં અગ્રેસર અને બહેનો ની પ્રગતિમાં મહત્વનો ફાળો આપનાર સરદારધામ સલાહ કેન્દ્રના અધ્યક્ષ શર્મિલાબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, વ્યસનને કારણે પરિવારને આર્થિક, સામાજિક નુકસાન તો થાય છે સાથોસાથ આરોગ્યને પણ અસર થાય છે. અત્યારે નાની ઉમરમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે નાની ઉમરમાં મોટી બીમારી આવે છે. વ્યસન પાછળ જે રકમ ખર્ચાય છે તે યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે અથવા તો વાપરવામાં આવે તો તેનાથી બચત પણ થાય છે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આ ઉપરાંત બહેનો પાસે સંકલ્પ પણ લેવડાવ્યા હતા કે, જો તેમના ભાઈ, પિતા વ્યસન કરતા હોય તો પોતાના જન્મદિવસ કે રક્ષાબંધન કે જવતલ બદલ ની તેઓનું વ્યસન મૂકી દેવા માટેની જ ભેટ માગો. આ કાર્યક્રમમાં ડો.ગૌતમ માકડિયા અને તેની ટીમે કેન્સર થવાના કારણો, તેની ગેરમાન્યતા અંગે બહેનોને માહિતગાર કર્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમમાં કેન્સરને લઈને ખોટી માન્યતા પણ દૂર કરવામાં આવી હતી.