તંત્રએ ખાસ અધિકારીઓની ટીમ દોડાવી : ભેદી બિમારીથી લોકોમાં ફફડાટ
કચ્છના લખપત પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં ભેદી બીમારીના કારણે ૧૪ લોકોના મોત થતાં તંત્ર ચોંકી ઉઠયું છે. રાજય સરકારે ખાસ આરોગ્ય ટીમને લખપત પંથકમાં રવાના કરી છે. લોકોના ટપોટપ મોત થતાં કચ્છ પંથકમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. લોકોને તકેદારીના પગલા લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા હજુ સુધી કોઇ માર્ગદર્શિકા જાહેર થઇ નથી.
મળતી વિગતો મુજબ કચ્છના લખપત તાલુકાના ૬ ગામમાં છેલ્લા એક અઠવાડિયામાં ટપોટપ ૧૪ જણના મોતને પગલે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદ બાદ લખપત તા.ના ૬ ગામ બેખડો, મોરગરવાંઢ, મોરીવાંઢ, ભારાવાંઢ, વાલાવારી વાંઢ, સાન્ધ્રોવાંઢમાં તાવ સાથે શ્વસનતંત્રની બિમારી થતાં અત્યાર સુધી ૧૪ જણના મોત નિપજયા છે.
પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ માલધારી મુસ્લિમ સમુદાયના પશુપાલક પરિવારો આ ભેદી તાવનો ભોગ બન્યા છે. અખબારી અહેવાલો બાદ રાજય સરકાર જાગી છે અને ૨૫ ગાંધીનગર, રાજકોટ, ભુજની મેડિકલ કોલેજની ૨૫ ટીમ તપાસ માટે ઉતારી છે.
જોકે, મંકી પોક્સ જેવી સંભવિત બીમારીઓ માટે અખબારી યાદી પ્રસિદ્ધ કરતા આરોગ્ય તંત્રએ ૧૪ જણના મોતે સર્જેલા હાહાકાર અને ફફડાટ બાદ લોકોમાં ભય ન ફેલાય અને જાગૃતિ આવે એ અર્થે હજુ સુધી પ્રેસ કોન્ફ્રેન્સ યોજી નથી કે સત્તાવાર અખબારી યાદી બહાર પાડી નથી. કોંગ્રેસના જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કચ્છમાં ડોક્ટરોની ઘટ, આરોગ્યની તપાસ માટે સંસાધનનો અભાવ ગણાવી ૧૪ જણના મોત બદલ રાજય સરકારને જવાબદાર ઠેરવી છે. આ પૂર્વે આ વિસ્તારના જીલ્લા પંચાયત સદસ્ય મીનાબા જાડેજાએ તેમ જ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હુસેન સુમરાએ ભેદી તાવની તપાસ અંગે ન્યૂમોનિયા જેવી બીમારી ની શંકા વ્યક્ત કરી આરોગ્યતંત્ર ને ત્વરિત પગલાં ભરવા અપીલ કરી હતી.
જોકે, ૧૪ મોત બાદ પણ આરોગ્ય સચિવ કે આરોગ્ય મંત્રી કોઇ હજી સુધી મુલાકાતે પહોંચ્યા નથી. માત્ર અખબારી યાદી બહાર પડાઇ છે. પશુપાલક પરિવારો બીમારીનો ભોગ બન્યા હોઈ સરકારે પશુઓની તપાસ માટે પશુપાલન ની ટીમ ઉતારી છે. મોતનું કારણ સ્વાઈન ફલૂ છે? બર્ડ ફલૂ છે? ઈબોલા વાયરસ છે? હજી સુધી જાણી શકાયું નથી.