- દિલ્હીમાં કરાયું AI પર ગ્લોબલ પાર્ટનરશિપ સમિટનું આયોજન
- AI પર ગ્લોબલ પાર્ટનરશિપ સમિટમાં બોલ્યા વડાપ્રધાન
- AI વર્તમાન અને ભાવિ પેઢી બંનેને અસર કરી રહ્યું: પીએમ મોદી
દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે AIમાં ભારતના ટેકનોલોજીકલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. AI વર્તમાન અને ભાવિ પેઢી બંનેને અસર કરી રહ્યું છે. આપણે વધુ સાવધાની સાથે આગળ વધવાની જરૂર છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે મારુ માનવું છે કે દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાંથી ઘણા સૂચનો અને વિચારો બહાર આવશે, જે આપણી મદદ કરશે. તેમણે એમ પણ કહ્યું કે અમે વિશ્વને AI થી ઉદ્ભવતા સંભવિત જોખમો અને પડકારોથી બચાવીશું.
ભારત AIના નૈતિક ઉપયોગ માટે પ્રતિબદ્ધ: પીએમ મોદી
સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં આપણે AI માં નવાચારની ભાવના જોઈ રહ્યા છીએ. હાલમાં, AI ટેલેન્ટ અને તેને લગતા નવા વિચારોમાં આપણો દેશ મુખ્ય ખેલાડી છે. ભારતના યુવાનો તકનીકી નિષ્ણાત અને સંશોધકો બનવાની તકો શોધી રહ્યા છે. અમારો વિકાસનો એક જ મંત્ર છે – સૌનો સાથ, સૌનો વિકાસ. અમે ‘AI ફોર ઓલ’ને કેન્દ્રમાં રાખીને સરકારી નીતિઓ અને કાર્યક્રમ તૈયાર કર્યા છે. અમારો પ્રયાસ છે કે AIનો ભરપૂર ઉપયોગ કરીને સામાજિક વિકાસ અને સમાવેશી વિકાસ પર કામ કરવાનો છે. ભારત એઆઈના નૈતિક ઉપયોગ માટે પણ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
એગ્રીકલ્ચર ચેક પોર્ટલમાં આપણે AI નો ઉપયોગ કર્યો: PM મોદી
સમિટમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે અમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તાજેતરમાં અમે AI સાથે સંબંધિત એક લોન્ચ કર્યું છે. કૃષિમાં એઆઈ ચેક પોર્ટલ, જે ખેડૂતોને તેમની અરજીની સ્થિતિ તપાસવા, ચુકવણીની વિગતો મેળવવા અને સરકારી યોજનાઓ વિશે સરળતાથી માહિતગાર રહેવાની સુવિધા આપે છે.
તમામ ક્ષેત્રોમાં AIને પ્રોત્સાહન આપવા પર ભાર: PM મોદી
ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે અમે કૃષિ, સ્વાસ્થ્ય સેવા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં AIના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારતમાં AI મિશન શરૂ કરવા તૈયાર છીએ. અમારું નેશનલ AI પોર્ટલ આ AI પહેલોને સમર્થન અને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે AIની વિકાસ યાત્રા જેટલી વધુ સમાવેશી હશે, સમાજ તેટલા સારા પરિણામો પ્રાપ્ત કરશે. છેલ્લા દાયકાઓમાં ટેકનોલોજીની પહોંચમાં અસમાનતા હતી, હવે આપણે તેનાથી બચવું પડશે. જ્યારે ટેક્નોલોજી લોકશાહી મૂલ્યો સાથે સંકલિત થાય છે, ત્યારે તે સર્વસમાવેશકતા માટે ગુણક તરીકે કાર્ય કરે છે.


