- હું નાનું વિચારી ન શકું, ન હું નાના સપનાં દેખાડું છું
- જે કંઈ જોઈએ મોટું જોઈએ, જલદી જોઈએ : પીએમ
- આજનું ભારત પ્રગતિની દોડ સાથે કોઈ સમજૂતી ન કરી શકે
પીએમ મોદીએ સોમવારે ગુરુગ્રામમાં આયોજિત કાર્યક્રમમાં દેશભરમાં એક લાખ કરોડ રૂપિયાના ખર્ચવાળી 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે એકવીસમી સદીનું ભારત મોટા વિઝનનું ભારત છે, મોટા લક્ષ્યોનું ભારત છે. આજનું ભારત પ્રગતિની દોડ સાથે કોઈ સમજૂતી ન કરી શકે. હું નાનું વિચારી ન શકું, ન હું નાના સપનાં દેખાડું છું – જે કંઈ જોઈએ મોટું જોઈએ, જલદી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, પહેલાંની સરકારો નાનકડી કોઈ યોજના બનાવીને, નાનો શો કાર્યક્રમ કરીને પાંચ વરસ સુધી તેની ડુગડુગી વગાડતી હતી, જ્યારે ભાજપ સરકાર જે ઝડપે કામ કરે છે તેમાં શિલાન્યાસ અને લોકાર્પણ માટે દિવસ અને સમય ઓછા પડે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સ્પ્રેસવેના હરિયાણા ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનાથી ધોરીમાર્ગ 48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટમાં અમૃતસર ભટિંડા જામનગર કોરિડોરમાં 540 કિમીનો વધારો અને બેંગલુરુ રિંગ રોડના વિકાસનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કરેલા અન્ય મુખ્ય પ્રોજેક્ટ્સમાં 9.6 કિલોમીટરની લંબાઈ ધરાવતો છ લેનનો શહેરી વિસ્તાર રોડ -2 (યુઇઆર-2) – દિલ્હીમાં નાંગલોઈ-નજફ્ગઢ રોડથી સેક્ટર 24 દ્વારકા સેક્શન સુધી પેકેજ 3 સામેલ છે. ઉત્તર પ્રદેશમાં આશરે રૂ. 4,600 કરોડના ખર્ચે લખનઉ રિંગ રોડના ત્રણ પેકેજ વિકસાવવામાં આવ્યાં છે. આંધ્રપ્રદેશમાં આશરે રૂ. 2,950 કરોડના ખર્ચે એનએચ16નો આનંદપુરમ-પેંડૂર્તિ-અનકાપલ્લી સેક્શન વિકસાવવામાં આવ્યો છે. હિમાચલપ્રદેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 21નાં કિરાતપુરથી નેરચોક વિભાગ (2 પેકેજિસ)ની કિંમત આશરે રૂ. 3,400 કરોડ છે; કર્ણાટકમાં રૂ. 2,750 કરોડની કિંમતનો ડોબાસપેટ – હેસ્કોટ સેક્શન (બે પેકેજ) તેમ જ દેશભરના વિવિધ રાજ્યોમાં રૂ. 20,500 કરોડના મૂલ્યના 42 અન્ય પ્રોજેક્ટ્સ છે.
સાંજ ઢળ્યા પછી લોકો અહીં આવવાનું ટાળતા હતા
દ્વારકા એક્સ્પ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે સાંજ ઢળ્યા બાદ લોકો અહીં આવવાનું ટાળતા હતા. ટેક્સી ડ્રાઇવર પણ ના પાડી દેતા હતા. આ વિસ્તારને અસુરક્ષિત માનવામાં આવતો હતો. પણ આજે અહીં ઘણી મોટી કંપનીઓ આવીને પ્રોજેક્ટ નાખી રહી છે. આ વિસ્તાર એનસીઆરમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલા વિસ્તારોમાં સામેલ થઈ રહ્યો છે.
સ્વયં સહાયતા સમૂહોને અંદાજે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી
પીએમ મોદી સોમવારે દિલ્હી સ્થિત ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં સશક્ત નારી વિકસિત ભારત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં દેશના જુદાજુદા 10 ભાગોમાંથી નમો ડ્રોન દીદી સામેલ થઈ હતી. આ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાને નમો દીદીઓને 1,000 ડ્રોનનું વિતરણ કર્યું હતું. આ અવસરે વડાપ્રધાને દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની સહાયતાથી સફળ થયેલી લખપતિ દીદીઓનું સન્માન પણ કર્યું હતું. સ્વયં સહાયતા સમૂહોને અંદાજે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી હતી. સરકારની યોજના છે કે દેશમાં 15 હજાર સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન આપવામાં આવે.
મનોહરલાલજીની મોટરસાઇકલ પાછળ બેસતો હતો : વડાપ્રધાન
પીએમ મોદીએ કહ્યું કે, મનોહરલાલજી અને હું ખૂબ જૂના સાથી છીએ. તાડી પર સૂવાનો જમાનો હતો, ત્યારે પણ અમે સાથે કામ કરતા હતા. અને મનોહરલાલજી પાસે એક મોટરસાઇકલ હતી. તેઓ ચલાવતા હતા અને હું પાછળ બેસતો હતો. હું રોહતકથી નીકળતો અને ગુરુગ્રામ આવીને રોકાતો. અમારું હરિયાણાનું ભ્રમણ મોટરસાઇકલ પર થતું હતું. મને યાદ છે, તે વખતે ગુરુગ્રામમાં મોટરસાઇકલ પર આવતા હતા. રસ્તા સાંકડા હતા. એટલી બધી પરેશાની થતી.


