- પીઓકેમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ જનતાનું વિરોધ પ્રદર્શન
- 76 વર્ષથી પાકિસ્તાન માટે માથાનો દુખાવો બનેલા પીઓકેની સ્થિતિ સ્ફોટક
- પીઓકેના સ્થાનિકોમાં સસ્તી વીજળી, ઘઉંનો લોટ સસ્તો અને મોંઘવારીમાં રાહત મળે તેવી માંગ
પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પીઓકેની જનતા માર્ગો પર ઉતરી આવી છે. પીઓકેમાં ત્રણ દિવસથી સતત હિંસક પ્રદર્શન યથાવત્ છે. જો કે હાલ તો આ વિરોધની આગ સળગી રહી છે અને શાંત થવાના કોઈ એંધાણ નથી. પીઓકેમાં આઝાદીનો સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, હિંસક પ્રદર્શનોમાં એક પોલીસ અધિકારીનું મોત થઈ ગયું છે. 100 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પીઓકેમાં આ વિરોધ પ્રદર્શન જમ્મુ-કાશ્મીર જ્વોઈન્ટ એક્શ કમિટીના બેનર હેઠળ થઈ રહ્યું છે. મીરપુરના એસએસપી અનુસાર આ હિંસક વિરોધ પ્રદર્શનમાં એક એસઆઈનું ઘટનાસ્થળે મોત થયું છે.
પીઓકેમાં પાકિસ્તાનથી આઝાદી માટે આંદોલન ઉગ્ર બન્યું
પીઓકેની સ્થાનિક અવામી એક્શન કમિટીમાં મોટાભાગના વેપારીઓ છે. તેઓએ સસ્તો ઘઉંનો લોટ, સસ્તી વીજળી અને ધનિકોને મળતી સગવડોને સમાપ્ત કરે એવી માંગ કરી છે. મળતી માહિતી અનુસાર, પોલીસે અવામી એક્શન કમિટીના 70થી વધુ કાર્યકરોની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે.જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે તમામ રાજકીય અને સ્થાનિક પક્ષોને સંયમ રાખવા અને ચર્ચા કરી મુદ્દાને ઉકેલવા વિનંતી કરી છે.
પીઓકેની વર્તમાન સ્થિતિ શું છે?
આમ તો જોવા જઈએ તો પીઓકેમાં ઘણીવાર વિરોધ પ્રદર્શનો થતા રહેતા હોય છે. પરંતુ આ વખતે આ પ્રદર્શન હિંસામાં તબદિલ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે પીઓકેના જુદા-જુદા વિસ્તારમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. મીરપુરમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સર્વિસ બંધ થઈ છે.
પોતાની માંગણીઓને લઈ અવામી એક્શન કમિટીએ શુક્રવારે શટર ડાઉન અને ચક્કાજામની જાહેરાત કરી હતી. શનિવારે કમિટી કોટલીથી મુજફફરાબાદ સુધી માર્ચ કાઢી હતી. પરંતુ ત્યાં જેએએસીએ જણાવ્યું કે હિંસાથી એક્શન કમિટીને કાંઈ લેવા-દેવા નથી. જેએએસીએના પ્રવક્તાએ આરોપ લગાવતા પ્રદર્શનકારીઓમાં જાણી જોઈને હિંસાની ઉશ્કેરણી કરતા શખ્સોને સામેલ કર્યા જેથી તેઓનું શાંતિપૂર્ણ આંદોલન બદનામ થઈ શકે.
પીઓકેમાં હડતાળનો સોમવારે ચોથો દિવસ છે. પ્રદર્શનકારીઓએ સરકાર પર બહાનાબાજુ કરવાનો આરોપ મૂક્યો છે. પીઓકેમાં સ્થિતિ હજી પણ તણાવપૂર્ણ છે. જો કે હાલ વહીવટી તંત્રએ પીઓકેના તમામ જિલ્લામાં મેળાવડા, રેલીઓ અને જૂલુસ પર કડક પ્રતિબંધ મૂકી દીધો છે. કલમ-144 પણ લાગુ કરી દેવામાં આવી છે.
તો પછી પીઓકેમાં વિરોધ પ્રદર્શન શા માટે?
પીઓકેના સ્થાનિક નેતાઓએ પાકિસ્તાન સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. તેણે પીઓકેનું લશ્કરીકરણ કરવાનો પણ દાવો કર્યો છે. ગયા અઠવાડિયે, PoK કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ કહ્યું હતું કે લોકો મોંઘવારી, બેરોજગારી, ઘઉં અને લોટ પર સબસિડી સમાપ્ત કરવા, ટેક્સ અને વીજળી જેવા મુદ્દાઓ પર ગુસ્સમાં છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું કે પીઓકેના લોકોની માંગણીઓને કાયદા અનુસાર ઉકેલવામાં આવશે.
તે જ સમયે, પાકિસ્તાનના નાણાં પ્રધાન અબ્દુલ મજીદ ખાને દાવો કર્યો છે કે એક્શન કમિટીની માંગણીઓ સ્વીકારવામાં આવી હતી અને સમજૂતી પણ થઈ હતી. કરાર હેઠળ, સરકારે લોટ અને વીજળીના ટેરિફ પર સબસિડીના દરોને 2022 ના સ્તરે લઈ જવા માટે સંમત થયા હતા. પરંતુ બાદમાં એક્શન કમિટીએ આ કરારમાંથી પીછેહઠ કરી હતી. પીઓકેમાં વીજળીનો મુદ્દો ઘણા વર્ષોથી ગરમ છે. ફેબ્રુઆરીમાં જ પીઓકેમાં આને લઈને મોટું પ્રદર્શન થયું હતું. પીઓકેમાં રહેતા લોકોનો દાવો છે કે પૈસાદાર અને શક્તિશાળી લોકોને 24 કલાક વીજળી મળે છે, જ્યારે ગરીબ લોકોને 18-20 કલાક વીજળી મળે છે. અહીંના કાર્યકર્તાઓ દાવો કરે છે કે કલાકોમાં ઘટાડો કરવા છતાં, વ્યક્તિએ ભારે વીજળી બિલ ચૂકવવું પડે છે.
પીઓકે કેવું છે?
પીઓકે વાસ્તવમાં બે વિસ્તારમાં વહેંચાયેલું છે. પ્રથમ જેને પાકિસ્તાન આઝાદ કાશ્મીર કહે છે. અને બીજું ગિલગિત-બાલ્ટિસ્તાન આઝાદ કાશ્મીરનો હિસ્સો ભારતના કાશ્મીર સાથે જોડાયેલો છે. જ્યારે ગિલગિત બાલ્ટિસ્તાન કાશ્મીરના સૌથી ઉત્તર ભાગમાં લદ્દાખની સરહદે આવું છે. આ સમગ્ર વિસ્તાર 90,972 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. આઝાદ જમ્મુ-કાશ્મીર 13,297 અને ગિલગિત-બાલ્ટિસ્તાન 72,495 વર્ગ કિલોમીટરમાં છે.
રણનીતિને લીધે પીઓકે ખૂબ મહત્ત્વનું છે. આની સરહદ ઘણા દેશોથી લાગે છે. પશ્ચિમમાં આની સીમા પાકિસ્તાનના પંજાબ પ્રાંત અને ખૈબર પખ્તૂનખ્વાહ. ઉત્તર-પશ્ચિમમાં અફઘાનિસ્તાનના વખાં કોરિડોર, ઉત્તરમાં ચીન અને પૂર્વમાં ભારતના જમ્મુ-કાશ્મીર સાથે સરહદ જોડાયેલી છે.
વર્ષ-1949માં સ્વતંત્ર જમ્મુ-કાશ્મીરના નેતાઓ અને પાકિસ્તાન સરકાર વચ્ચે એક કરાર થયો હતો. આને કરાચી કરાર કહેવાય છે. આ કરાર હેઠળ આઝાદ જમ્મુના નેતાઓને ગિલગિત-બાલ્ટિસ્તાન પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યું હતું. હવે આજની સ્થિતિ એવી છે કે પાકિસ્તાને કાશ્મીરના જેટલા વિસ્તાર પર કબ્જો કર્યો છે તે ખૂબ પછાત છે. આ જ કારણ છે કે આઝાદ કાશ્મીર અને ગિલગિત-બાલ્ટિસ્તાનના લોકો સ્વતંત્રતાની માંગ કરે છે.
પાકિસ્તાને કઈ રીતે પીઓકે પચાવી પાડયું
ભારતને મળેલી સ્વતંત્રતાના કેટલાક મહિનાઓ પછી 22 ઑક્ટોબર 1947ના દિવસે પાકિસ્તાનમાં હજારો કબાયલીથી ભરેલી સેંકડો ટ્રક કાશ્મીરમાં ઘુસી આવી અને એમનો હેતુ હતો કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાનો. આ એ કબાયલીઓ હતા જેને પાકિસ્તાનની સરકાર અને સૈન્યનો ટેકો મળેલો હતો.
27 ઑક્ટોબર 1947ના દિવસે મહારાજા હરિસિંહે ભારતની સાથે વિલયના દસ્તાવેજ પર સહી કરી. એના બીજા જ દિવસે ભારતીય સૈન્યના ધાડેધાડા કાશ્મીરમાં ઉતરી પડયા હતા અને ધીમે-ધીમે ભારતીય સેનાએ પાકિસ્તાની કબાયલીઓને પાછળ ધકેલી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ત્યારે ગવર્નર જનરલ માઉન્ટબેટની સલાહ પર જવાહરલાલ નહેરુ આ મુદ્દાને એક જાન્યુઆરી 1948ના દિવસે યુનોમાં લઈ ગયા હતા. એ વર્ષ કાશ્મીરને લઈ યુનોમાં ચાર ઠરાવ આવ્યા હતા.
યુનોમાં જ્યાં સુધી આ બધું થઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાનીઓએ કાશ્મીરમાં મોટાપાયે ગેરકાયદે કબ્જો કરી લીધો હતો. યુનોની મધ્યસ્થતાથી બંને દેશ વચ્ચે સિઝફાયર થયું પરંતુ એવું નક્કી થયું કે ભારત પાસે જે કાશ્મીર હતું એટલું ભારતની પાસે જ રહેશે અને જેટલો હિસ્સો પાકિસ્તાને પચાવી પાડયો છે તે તેની પાસે ચાલ્યો જશે. આને જ પીઓકે કહેવામાં આવે છે.


