- પાલનપુર પોલીસની કાર્યવાહી
- રાજ્ય સરકાર દુર્ઘટનાને લઈને ગંભીર
- પોલીસે ફરિયાદ અન્વયે કાર્યવાહી શરૂ કરી દીધી
પાલનપુર બ્રિજ દુર્ઘટના કેસમાં પોલીસે હવે કાર્યવાહીનો દોર ચાલુ કરી દીધો છે. મહત્વનું છે કે આ મામલે હવે રાજ્ય સરકાર પણ ગંભીર દેખાઈ રહી છે. જેની વાત મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પણ કરી હતી. આ મામલે પાલનપુર પૂર્વ પોલીસે 3 લોકોની અટકાયત કરી છે.
મહત્વનું છે કે બ્રિજ દુર્ઘટના કેસમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેના અન્વયે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ મામલે કલમ 304 અને 114 હેઠળ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પાલનપુર પૂર્વ પોલીસે 3 લોકોની અટકાયત કરી છે. પોલીસે સાઈટ એન્જિનિયરની અટકાયત કરી છે જેમાં સની મેવાડા,અલ્પેશ પરમાર અને નમન મેવાની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ ત્રણેય એન્જિનિયરો GPC કંપનીના એન્જિનિયર છે જેના પર આવો ફોલ્ટવાળો બ્રિજ બનાવવાનો આરોપ છે.
ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમે તપાસ કરી
પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તુટવાના કેસમાં ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમે તપાસ કરી છે. જેમાં મોડી રાત્રે ટીમોએ તપાસ હાથ ધરી હતી. બ્રિજ તુટવાના કારણો અંગે તપાસ કરી આર એન્ડ બી વિભાગની ટીમ રિપોર્ટ સરકારને સોંપશે. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પર નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાઈ થયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. આ સમગ્ર ઘટના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે અને તાપસનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. આ મામલે કેબિનેટમાં પણ ચર્ચા થઈ હતી.
સરકારે મુદ્દો ધ્યાને લીધો
સરકાર તરફથી વધુમાં કોઇ પણ કોન્ટ્રાક્ટરની ટેકનિકલ સ્ટેબિલિટી ન હોય તેને કામ અપાશે નહીં તે મુદ્દો પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. આ અગાઉ પાલનપુરના ધારાસભ્યએ નિવેદન આપતાં કહ્યું હતું કે, આ બહુ દુઃખદ ઘટના બની છે. કામગીરીને લઇ તપાસ કરવામાં આવશે. જો કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહીની રજૂઆત કરાશે. બ્રિજનું નિર્માણકામ કરતી જી.પી. ઇન્ફાસ્ટ્રકચર કંપનીના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
GPC ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટરનું નિવેદન
બ્રિજ બનાવનાર જી.પી.સી ઇન્ફ્રાના ડાયરેક્ટર જી.પી.ચૌધરીએ કહ્યું હતું કે, જે ઘટના બની તેનાથી ખુબ દુઃખી છું, આ ઘટના ગર્ડર લગાવ્યા બાદ કામગીરી ચાલુ હતી ત્યારે બની હતી. હાલ સરકાર આ ઘટનામાં તપાસ કરી રહી છે. જેમાં અમે સહકાર આપીશું પણ અમારા દ્વારા કામમાં કોઈ ખામી રખાઈ નથી. અમે તમામ પ્રકારની ગુણવત્તા જાળવીને ડિઝાઇન મુજબ કામગીરી કરી છે.