ભરૂચ અને ગોધરામાં પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ બે ઉમેદવારના મોત
તબિયત લથડયા બાદ સારવારમાં ખસેડાતા દમ તોડયો : ખાખીના જંગમાં જીંદગી હારી જતાં યુવાનો : પરિવારમાં શોક છવાયો
અગ્ર ગુજરાત, ભરૂચ
રાજયમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. તા.૨૧મીથી રાજયના ૧૫ જેટલા ગ્રાઉન્ડમાં રનીંગની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરંતુ આ ખાખીનો જંગ કેટલાક યુવાનો માટે અંતિમ બની ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગઇકાલે ભરૂચમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનની તબિયત લથડતાં મોત નિપજયું હતું. જયારે આજે ગોધરામાં પોલીસ ભરતીના ગ્રાઉન્ડમાં આવેલા યુવાનનું મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસમાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું લઈને આવેલા છોટાઉદેપુરના વધુ એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી જીવલેણ સાબિત થઈ છે. પંચમહાલના ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-5 ના મેદાનમાં વહેલી સવારે દોડતી વખતે શ્વાસ ચડતા 27 વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. હૃદયદ્રાવક વાત એ છે કે, આ સમગ્ર ઘટના તેના પિતાની નજર સામે જ બની, જેઓ પોતાના દીકરાને પ્રોત્સાહન આપવા માટે ત્યાં હાજર હતા.
આ દુઃખદ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હતું અને તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો. શુક્રવારે વહેલી સવારે ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ પર આયોજિત રનિંગ ટેસ્ટ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડતા જમીન પર ઢળી પડ્યો હતો.
દીકરાને મેદાન પર પડતો જોઈને તેને પ્રોત્સાહિત કરવા આવેલા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્ટાફ અને અન્ય લોકો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા. જશપાલસિંહને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પિતાની આંખો સામે જ પુત્રનું મોત થતાં તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા, અને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ઘટનાની જાણ થતાં ગોધરા એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભરૂચમાં પણ પોલીસ ભરતીની દોડ દરમિયાન એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોની તબીબી તપાસ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે મૂળ કચ્છના વતની 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. રવિરાજે ઉત્સાહપૂર્વક નિર્ધારિત દોડ પૂર્ણ કરી હતી. જોકે, દોડ પૂરી થતાની સાથે જ તેમને ગભરામણ થવા લાગી હતી અને તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.
મેદાન પર હાજર તબીબી ટીમ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી રવિરાજને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં રવિરાજને બચાવી શકાયા નહોતા અને સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.
યુવાનના આકસ્મિક અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ખાખી વર્દી પહેરી દેશસેવા કરવાની ઈચ્છા રાખનાર રવિરાજનું મોત થતાં સાથી ઉમેદવારોમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. ઘટના બાદ બી ડિવિઝન પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી અકસ્માત મોતનો ગુનો નોધી તબીબો દ્વારા પેનલ પીએમ કરાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યાર બાદ યુવકના મૃતદેહને તેના વતન ખાતે લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટનાએ ફરી એકવાર પોલીસ ભરતીમાં જોડાતા ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને મેદાન પરની તબીબી સુવિધાઓ અંગે ચર્ચા જગાવી છે.
આ ઘટનાની સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રવિરાજ પોલીસ પરિવારમાંથી જ આવતા હતા. રવિરાજના પિતા મહેન્દ્રસિંહ વડોદરા એસઆરપી (SRP) ગ્રુપમાં એએસઆઈ (ASI) તરીકે ફરજ બજાવી રહ્યા છે. રવિરાજ છેલ્લા ઘણા સમયથી પીએસઆઈ (PSI) બનવાની તનતોડ મહેનત કરી રહ્યા હતા. ગયા વર્ષે પણ તેમણે આ જ ગ્રાઉન્ડ પર પરીક્ષા આપી હતી પરંતુ સફળ થયા ન હતા. હિંમત હાર્યા વગર, આ વર્ષે ફરીથી તૈયારી સાથે તેઓ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ વિધિની વક્રતાએ તેમને ખાખી પહેરતા અટકાવી દીધા.


