- પોરબંદરના માધવપુર પાસે આવેલી મઘુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું
- ઘેડ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં 10 ઈંચ જેટલો વરસાદ
- નદીના પાણી ઘેડ વિસ્તારના ખેતરોમાં ફરી વળ્યા
પોરબંદરના માધવપુર પાસે આવેલી મઘુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. માધવપુર અને ઘેડ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસતા મઘુવંતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અને સિઝનનો પ્રથમ વરસાદ સર્વત્ર વરસતા મઘુવંતી નદીમાં ઘોડાપૂર ઉમટ્યુ છે.
પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતો ચિંતામાં
ઘોડાપુર આવતા મઘુવંતીના નદીના પાણી ઘેડ વિસ્તારના ખેતરોમાં ફરી વળ્યા છે અને ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો છે. મઘુવંતી નદીનું હજારો લાખો ગેલન પાણી શિવલિંગને સ્પર્શ કરીને દરિયામાં વહી રહ્યું છે, જો આ પાણીનો સંગ્રહ કરવામાં આવે તો માધવપુર અને ઘેડ વિસ્તારમાં ખેતરોના તડ મીઠા થાય અને લોકોને આખું વરસ પીવાનું મેળવવા માટે વલખા ના મારવા પડે.
રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં મેઘ જમાવટ યથાવત રહેશે. જેમાં રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તેમાં 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. અત્યાર સુધી કુલ 7 ટકા વરસાદ નોંધાયો છે. આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ પ્રમાણે હજી આવનારા 5 દિવસો સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. આવનારા દિવસોમાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ તેનું જોર થોડું ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગ પ્રમાણે આવનારા પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત હજી એકાદ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે.


