- માઈ ભક્તો માટે અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક મિષ્ટાન ભોજન અપાશે
- અંબાજી ખાતે મહાશક્તિ યજ્ઞ, જ્યોતયાત્રા, અન્નકૂટ મહોત્સવ સહિતના કાર્યક્રમ યોજાશે
- દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે
શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ પૂનમ એટલે આદ્યશક્તિ મા જગદંબાના પ્રાગટય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આવતીકાલે પોષી પૂનમ છે જે અંતર્ગત આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા રપ જાન્યુઆરીને ગુરુવારે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે. જેમાં 51 થી વધારે યજમાનોની નોંધણી થયેલ છે. આ પ્રસંગે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા જ્યોત યાત્રા યોજી ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે. ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:30 કલાકે શક્તિ દ્વારથી હાથી ઉપર મા અંબાની શોભાયાત્રા સમગ્ર અંબાજી નગરમાં ફરશે. જેમાં 30 કરતા વધુ વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથેની શોભાયાત્રા નગર યાત્રા કરશે. આ શોભાયાત્રામાં 2,100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ અને ચાચર ચોકમાં બુંદીના પ્રસાદનું વિતરણ તેમજ શાકોત્સવ શાકભાજીનો અન્નકૂટ કરવામાં આવશે.


