પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૯ પ્રજાતિઓનાં કુલ ૫૯૫ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે
નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૦૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૯ પ્રજાતિઓનાં કુલ ૫૯૫ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધેલ છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેનશ્રી સોનલબેન સેલારા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે.
સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.
તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવેલ છે.
નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવેલ છે અને બારી –દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે.
જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવેલ છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક ઘર, લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવેલ છે. જેની અંદર લાકડાનો છોલ્લ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રીડીંગમાં પણ ઉપયોગ કરે છે.
આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો કરવમાં આવેલ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન તથા સયાજીબાગ ઝૂ, વડોદરા વચ્ચે વન્યપ્રાણી-૫ક્ષી વિનિમય:
સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી તથા ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન તથા સયાજીબાગ ઝૂ, વડોદરાને વન્યપ્રાણી વિનિમય કરવા મંજુરી અપાતા રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા સયાજીબાગ ઝૂ, વડોદરાને સફેદ વાઘ જોડી-૦૧ (નર તથા માદા) તથા હોગ ડિઅર નર-૦૨ આ૫વામાં આવેલ. જયારે સયાજીબાગ ઝૂ, વડોદરા દ્વારા રાજકોટ ઝૂને એમેઝોન પેરોટ-૦૪, બ્લુ એન્ડ ગોલ્ડ મકાવ-૦૨, ઇકલેકટસ પેરોટ-૦૨, બ્લેક શ્વાન-૦૨ રીંગ નેક્ડ ફિઝન્ટ-૦૨ તથા હોગ ડિઅર નર-૦૨ આ૫વામાં આવેલ છે.


