- મા સતીનાં બાવન રૂપ પૈકીના મા અંબા સતીના હૃદયરૂપ હોઈ મુખ્ય રૂપે છે, તેથી અંબાજી શક્તિપીઠ મુખ્ય છે
આરાસુરવાળી, ગબ્બરના ગોખવાળી, અરવલ્લીના ડુંગરમાં બિરાજમાન, આદ્યશક્તિ મા અંબાજીનું પાવનધામ એકાવન શક્તિપીઠોમાં મુખ્ય છે. મા અંબાના માહાત્મ્યનું વર્ણન કરવામાં શબ્દો પણ ઓછા પડે. આદ્યશક્તિની આરતીના બીજા પદના શબ્દો `શિવશક્તિ જાણું’ આપણને સૂચવે છે કે શિવ અને શક્તિનાં બે રૂપો અહીં સમાયેલાં છે. શિવજીનાં પત્ની મા સતીનાં બાવન રૂપ પૈકીના મા અંબા સતીના હૃદયરૂપ હોઈ મુખ્ય રૂપે છે, તેથી અંબાજી શક્તિપીઠ મુખ્ય છે. જગવિખ્યાત અંબાજી યાત્રાધામ ઘણું જ પ્રાચીન અને એક પવિત્ર ભૂમિ છે. પોષ માસની સુદ પૂનમનો દિવસ મા અંબિકાનો પ્રાગટ્ય દિવસ છે. અહીં હજારો-લાખ્ખોની સંખ્યામાં ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે આવે છે અને માનાં ગુણગાન ગાઈને ધન્ય બને છે.
મા અંબાનું પ્રાગટ્ય એક રહસ્યપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે. ડુંગરાળ પ્રદેશમાં કેટલાંય વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે અહીંયાં રહેતા ભલાભોળા લોકો, પશુધન અને પ્રાણીઓ દુષ્કાળથી અત્યંત પીડિત બની ગયાં હતાં અને ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગયાં હતાં. દુ:ખી થઈ ગયેલા લોકોને કોઇ જ ઉપાય સૂઝતો નહોતો. ત્યારે આ બધા લોકો ભેગા થયા અને શક્તિની દેવી મા અંબાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કરગરવા લાગ્યા અને કારમા દુષ્કાળમાંથી ઉગારવા અનેક વિનવણીઓ કરી. વિષમ પરિસ્થિતિમાં સપડાયેલા લોકોને ઉગારી લેવા કરેલી વિનંતી છેવટે કામ કરી ગઇ અને મા અંબા ભક્તોની વહારે આવ્યાં.
માએ કૃપા કરતાં જ એ સમયે પુષ્કળ પ્રમાણમાં શાકભાજી અને ધન-ધાન્ય ધરતી માતાની ગોદમાં ઉત્પન્ન થયાં. માની અમીદૃષ્ટિથી દુષ્કાળની પરિસ્થિતિ દૂર થતાં લોકોમાં મા પ્રત્યેના અહોભાવમાં અનેક ગણો વધારો થયો. જેથી પોષી પૂનમ પહેલાં પોષ સુદ આઠમથી પવિત્ર શાકંભરી નવરાત્રિનો પ્રારંભ થયો. આમ, પરંપરાગત માના પ્રાગટ્ય દિવસને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઊજવવામાં આવે છે. મા અંબાનો પ્રાગટ્ય દિવસ આવતાં જ અંબાજીના રહીશો તેમજ દેશ-વિદેશમાંથી આ દિવસે દૂરદૂરથી આવતા હજારો- લાખો ભાવિક ભક્તજનો ભાવવિભોર બની જાય છે. આ શુભ દિને અંબાજીના તમામ માર્ગોને ધજા-પતાકા અને લાઈટ ડેકોરેશનથી સુશોભિત કરાય છે. સુવર્ણ કળશ અને દૂધ જેવા આરસથી શોભતા મંદિર પરિસરને રંગબેરંગી ઝગારા મારતી રોશનીની હારમાળાથી શણગારવામાં આવે છે.
માના મંદિરનાં તમામ દ્વારને જાતજાતનાં અને ભાતભાતનાં ફૂલોથી આકર્ષક રીતે સજાવાય છે, માતાજીને સોનાના થાળમાં ડ્રાયફ્રૂટ, ફળો, વિવિધ શાકભાજી અને ભાવતાં ભોજનિયાં સહિત શુદ્ધ ઘીમાંથી બનાવેલી મીઠાઈનો અન્નકૂટ ધરાવાય છે. સવારે જ્યારે શણગારેલા રથમાં માતાજીની શાહી સવારી નગરજનોની પરિક્રમાએ નીકળે છે ત્યારે ભાવિકો `જય અંબે’ ` જય અંબે’ ના ગગનભેદી નાદોથી નાચી ઊઠે છે. માતાજીના રથ આગળ બેન્ડવાજાં અને ભજનમંડળીઓની સુરાવલી સાથે ગામના તમામ ભાવિકો પોતાના નોકરી અને વ્યવસાયમાં રજા રાખીને હોંશે હોંશે જોડાય છે. ભજનમંડળીઓ માનાં ગુણલાં ગાય છે ત્યારે સમગ્ર નગરમાં એક પવિત્ર અને સકારાત્મક માહોલ સર્જાય છે. માના ભક્તો પુષ્પોની વર્ષા કરીને માના પ્રાગટ્યની આનંદ અને ઉત્સાહથી વધામણી કરે છે. ફટાકડા અને રંગબેરંગી થતી આતશબાજી આકાશમાં અવનવા આકારનું નિર્માણ કરે છે. જેની અનુભૂતિ માટે તો આપણે પ્રાગટ્ય દિનની ઉજવણીમાં ભાગ લેવો પડે ત્યારે જ થાય. નગરના પથ અને આકાશમાં ગુલાલની છોળો એક અવિસ્મરણીય દૃશ્ય નિર્માણ કરે તેવું હોય છે.
શક્તિની ઉત્પત્તિ અંગે પુરાણોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ પ્રજાપતિ દક્ષે `બૃહસ્તપતિસક’ નામના એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રણ આપ્યું ન હતું. જ્યારે પિતાને ત્યાં યજ્ઞ હોવાના સમાચાર દક્ષપુત્રી સતીદેવીને મળ્યા ત્યારે શિવજીનો વિરોધ હોવા છતાં તેઓ પહોંચી ગયાં. આ મહાયજ્ઞમાં શિવજીને આમંત્રણ ન હોવાથી અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળી સતી અત્યંત દુ:ખી થઇ ગયાં હતાં. જેથી તેમણે યજ્ઞકુંડમાં પડીને પોતાનો દેહ ત્યજી દીધો હતો. જેથી શિવજીએ સતી દેવીનો નિશ્ચેતન દેહ જોઈને તાંડવ આદર્યું અને સતી દેવીના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘૂમવા માંડ્યા. ત્યારે સમગ્ર સૃષ્ટિનો ધ્વંશ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનચક્ર દ્વારા સતી દેવીના નિશ્ચેતન દેહના ટુકડે ટુકડા કરી પૃથ્વી ઉપર ચારે બાજુએ વેરી દીધા. તેમના શરીરના ભાગ અને આભૂષણો 51 સ્થળોએ પડ્યાં હતાં. આ સ્થળોએ એક એક શક્તિપીઠ તથા એક એક ભૈરવ સ્વરૂપે ધારણ કરીને ત્યાં સ્થિર થયા હતા.
દેવી ભાગવત અનુસાર અગ્નિદેવની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નર જાતિથી મરી ન શકે તેવું વરદાન ન ધરાવતો હોઇ અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને તે સમયે એક તેજ પ્રગટ થયું. મા આદ્યશક્તિ પ્રગટ થયાં. આ દાનવનો સંહાર માતાજીએ કરતાં તેઓ મહિષાસુરમર્દિની કહેવાયાં.
અંબાજી મંદિરમાં મા આદ્યશક્તિની મૂર્તિ નહીં, પરંતુ યંત્રની પૂજા થાય છે. અંબાજીનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. મંદિરની સામેની બાજુમાં ચાચર ચોક છે, તેથી માતાજીને ચાચરના ચોકવાળી કહેવામાં આવે છે. આ ચાચર ચોકમાં યજ્ઞયાગાદિ કરવામાં આવે છે.
અહીં મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ વીસા યંત્રનું પૂજન થાય છે. વીસા યંત્રના શણગા2ને મુગટ તથા ચૂંદડી સાથે એ રીતે ગોઠવવામાં આવે છે કે સાવજ ઉપર આરૂઢ માતાજીની મૂર્તિ હોવાનો ભક્તોને ભાસ થાય છે. આ યંત્ર શુદ્ધ સોનામાંથી બનાવેલું છે. દરરોજ વિવિધ વાહનો જેવાં કે, સિંહ, વાઘ, હાથી, નંદી, ઐરાવત, ગરુડ વગેરે સાથે વિવિધ ઉત્સવ અનુસાર શણગાર કરવામાં આવે છે. ભારતવર્ષમાં માત્ર આ એક જ એવું મંદિર છે જ્યાં સાતેય દિવસ માતાજીની સવારી જોવા મળે છે. એક માન્યતા અનુસાર આ યંત્ર ઉજ્જૈન અને નેપાળની શક્તિપીઠના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાની લોકમાન્યતા છે.
અંબાજી શક્તિપીઠમાં મંત્ર-શાસ્ત્રોક્ત રીતે યંત્રપૂજન કરવામાં આવે છે. આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રસ્થાનમાં નજરથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધી માતાજીની પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષસમાન ગણાય છે. સિદ્ધપુર ગામના માનસ ગોત્રના બ્રાહ્મણો વર્ષોથી માતાજીની પૂજા-અર્ચના કરે છે. આવો, આપણે સૌ પણ મા અંબાના પ્રાગટ્યદિને માનાં ગુણલાં ગાઈને તથા માનું પૂજન-અર્ચન કરીને કૃતકૃત્ય થઈએ.