અગ્ર ગુજરાત, અયોધ્યા
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી યજમાનોને આમંત્રણો મોકલાયા છે તેમને કેટલાક નિયમોનું પાલન કરવા માટે જણાવાયું છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગીરીએ જણાવ્યું કે કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડ પાસેથી કેવા વ્રત નિયમોનું પાલન કરવાનું રહેશે તેની સલાહ માગવામાં આવી હતી. તે અનુસાર કોઈ દંપતિને મુખ્ય યજમાન તરીકે રાખીને તેમને 45 જેટલા નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવશે.
22 જાન્યુઆરીએ અભિજીત મૂહુર્તમાં 84 સેકન્ડ માટેનું મૂહુર્ત નીકળ્યું છે તે દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. યજમાન તરીકે એક દંપતિ રહેશે, જેમણે 15 જાન્યુઆરીથી ઉપવાસ, જપ, તપ, હવન, સ્નાન અને દાનની વિધિઓ કરવાની રહેશે. લાકડાની પથારીમાં સૂવાનું રહેશે અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહેશે. પાર્યશ્ચિત, ગોદાન, દશવિધ સ્નાન, પંચગવ્યપ્રાશન વગેરે વિધિઓ કરવામાં આવશે.
આ દિવસો દરમિયાન નિત્ય સ્નાન, પૂજા, અર્ચના, અધિષ્ઠાન ચાલશે. બહારનું ભોજન નહીં લેવાનું, પણ સાત્વિક ફળાવાર લેવાનો રહેશે. કોઈ વ્યસન રાખી શકાશે નહીં. શાંત ચિત્ત રાખવાનું અને કામ, ક્રોધ, મદ, મોહથી દૂર રહેવાનું રહેશે. સત્યવચન બોલવા, મુશ્કેલી હોય તો મોન રહેવું, કટુ વાણીથી દૂર રહેવું, સીવેલા નહીં, પણ સાદું સૂતરાઉ કપડું પુરુષે પહેરવાનું રહેશે. ગૃહિણી સાદા સીવેલા વસ્ર્તો ધારણ કરી શકે. શિયાળો હોવાથી ઉનની શાલ, કંબલ ધારણ કરી શકાય.
ફળાહાર કરવાનો રહેશે અને હૂંફાળું પાણી લેવાનું. રાત્રે પણ સાત્વિક અને સાદું ભોજન. હળદર, રાઇ, સરસવ, અડદ, મૂળા, લસણ, ડુંગળી, રિંગણા જેવા પદાર્થો ટાળવાના રહેશે.
દિવસે વામકુક્ષી નહીં કરવાની, રાત્રે પણ લાકડાની પથારી પર શયન, દિવસે આસાન પર બેસવાનું નહીં, દાઢ અને નખ કાપવાના નહીં વગેરે અનેક નિયમો યજમાન દંપતિએ પાળવાના રહેશે.
પ્રાણ પ્રતિષ્ઠા વખતે યજમાનોએ પાળવાના રહેશે કેટલાક નિયમો
