- ચીન પ્રવાસે ગયેલા મુઈઝઝૂએ ચીનને વધુ પર્યટકો મોકલવા આજીજી કરી
- માલદીવના વિપક્ષી નેતાની રાષ્ટ્રપતિને હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા ભલામણ
- ભારત સાથે સારા સંબંધો માલદીવ માટે અનિવાર્ય
માલદીવ સરકારે મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનારા ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા એ પછી પણ રાજકીય તોફાન શમવાનું નામ નથી લઈ રહ્યું. બીજી તરફ ભારતે પણ માલદીવના હાઇ કમિશનરને બોલાવી સખત શબ્દોમાં ઠપકા સાથે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે સમગ્ર વિવાદને પગલે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝઝૂની સરકાર ઘરઆંગણે પણ ભીંસમાં મુકાઈ છે. માલદીવની સંસદમાં વિપક્ષી નેતા અલી અઝીમે રાષ્ટ્રપતિ મુઇઝઝૂને હટાવવાની માગ કરી છે અને તે માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ભલામણ કરી છે. માલદીવની ધ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા અલી અઝીમે દેશના સૌથી મોટા વિપક્ષ એમડીપી સમક્ષ માગ કરી છે કે તે મોઇઝઝૂ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે. ચીન પ્રવાસે ગયેલા મુઈઝઝૂએ ચીનને વધુ પર્યટકો મોકલવા આજીજી કરી હતી.
ભારત સાથે સારા સંબંધો માલદીવ માટે અનિવાર્ય
ભારતીય સૈન્યની તહેનાતી ખતમ કરવાના ફરમાન અને હાઇડ્રોલોજી એગ્રીમેન્ટ રોકીને માલદીવે ‘ઇન્ડિયા આઉટ’ની પોલિસી પર ચાલવાનું વલણ દાખવ્યું છે. સંકટ સમયે ભારત જ તેની મદદે આવતું રહ્યું છે. આ વ્યવહારિકતા મુઇઝઝૂને જલદી સમજાશે તેમ જાણકારોનું માનવું છે. ભારતીય સહેલાણીઓએ જે રીતે માલદીવના બુકિંગ ધડાધડ કેન્સલ કરાવવાનું શરૂ કર્યું છે તેના પગલે માલદીવનું ટૂરિઝમ સેક્ટર ચિંતામાં છે.
ભારત અમારું 911 કૉલ : માલદીવના પૂર્વ સંરક્ષણ પ્રધાન
માલદીવનાં પૂર્વ સંરક્ષણ પ્રધાન મારિયા અહેમદ દીદીએ શાસક પક્ષની ટીકા કરતા કહ્યું કે ભારત એક એવું મિત્ર રહ્યું છે કે જેને માલદીવ સંકટ સમયે સૌથી પહેલા યાદ કરે છે. ભારત માલદીવ માટે 911 કૉલ જેવું છે.


