- સંસદમાંથી પહેલા જ ત્રણ ક્રિમિનલ લૉ બિલને મળી મંજૂરી
- આજે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ત્રણેય બિલ સત્તાવાર કાયદા બન્યા
- જાણો નવા સુધારા બાદ ત્રણેય કાયદાઓમાં શું ફેરફાર થશે
અંગ્રેજોના જમાનામાં બનેલા ત્રણ કાયદા હવે ખતમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રણે નવા ક્રિમિનલ લૉ બિલને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરીની સાથે જ આ ત્રણ બિલો ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ કાયદાનું રૂપ લઈ ચૂક્યા છે.
આ પહેલા ત્રણેય બિલ સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યા હતા. આ બિલોને ઐતિહાસિક ગણાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે આ કાયદાઓ સાથે નાગરિકોના અધિકારોને સર્વોપરી રાખવામાં આવશે અને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે.
રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ આ ત્રણ બિલ કાયદા બની ગયા છે. આ બિલ કાયદા બનતાની સાથે જ, 1860 માં બનેલી IPC હવે ભારતીય ન્યાય સંહિતા તરીકે ઓળખાશે, 1898માં બનેલી CRPC કાયદો હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા તરીકે ઓળખાશે અને 1872ના ભારતીય પુરાવા એક્ટ હવેથી ભારતીય પુરાવા સંહિતા તરીકે ઓળખવામાં આવશે.
શેમાં શું ફેરફાર થશે?
IPC:
કયું કૃત્ય ગુનો છે અને તેની શું સજા થશે? તે IPC દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે તેને ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવશે. IPCમાં 511 સેક્શન હતા, જ્યારે BNSમાં 358 સેક્શન હશે. 21 નવા ગુના ઉમેરાયા છે. 41 ગુનામાં કેદની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. 82 ગુનામાં દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. 25 ગુનામાં જરૂરી ઓછામાં ઓછી સજા ઉમેરવામાં આવી છે. 6 ગુનામાં સામુદાયિક સેવાના દંડની જોગવાઈ રહશે અને 19 કલમો નાબૂદ કરવામાં આવી છે.
CrPC:
ધરપકડ, તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયા અંગે CrPCમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. CrPCમાં 484 વિભાગો હતા. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં 531 કલમો હશે. 177 કલમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે 9 નવી કલમો ઉમેરવામાં આવી છે અને 14 કલમો નાબૂદ કરવામાં આવ્યા છે.
ઈન્ડિયન એવિડન્સ એક્ટઃ
કેસના તથ્યો કેવી રીતે સાબિત થશે, નિવેદનો કેવી રીતે રેકોર્ડ કરવામાં આવશે, આ બધી બાબતો અંગેનો ઉલ્લેખ ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં કરવામાં આવ્યો છે. અગાઉ તેમાં 167 વિભાગ હતા. ભારતીય પુરાવા સંહિતામાં 170 વિભાગો હશે. 24 કલમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 નવી કલમો ઉમેરવામાં આવી છે. જ્યારે 6 ધારાઓ ખતમ કરવામાં આવી છે.


