- 3 રાજ્યોમાં ભાજપની જીતથી કોંગ્રેસ ચોંકી
- 2024માં ભાજપ તરફી લહેર હોવાનો કર્યો સ્વીકાર
- પી.ચિદમ્બરમે ભાજપની કુશળતા અને તાકાતના કર્યા વખાણ
ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જોરદાર જીતથી કોંગ્રેસ ચોંકી ગઇ છે. અત્યાર સુધી પીએમ નરેન્દ્ર મોદી સહિત બીજેપીના નેતાઓ અને સર્વેના પ્રમાણે 2024માં ભગવો લહેરાવાની સંભાવના છે, પરંતુ હવે કોંગ્રેસીઓ પણ એવું જ માની રહ્યા છે. દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે સ્વીકાર્યું છે કે 2024માં પવન ભાજપની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે ત્રણ રાજ્યોના પરિણામો અમારા માટે ચિંતાજનક અને આશ્ચર્યજનક છે. એટલું જ નહીં, તેમણે ભાજપની તાકાત અને તેની વ્યૂહાત્મક કુશળતાના વખાણ પણ કર્યા. ચિદમ્બરમે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ભાજપ દરેક ચૂંટણી એવી રીતે લડે છે જાણે કે તે તેના માટે છેલ્લી લડાઈ હોય. વિરોધ પક્ષોએ આ વાત સમજવી પડશે.
ભાજપ નવા મતદારોને આકર્ષવામાં સફળ- ચિદમ્બરમ
ચિદમ્બરમે કહ્યું કે 3 રાજ્યોમાં બીજેપીની જીતે તેને 2024ની સામાન્ય ચૂંટણી પહેલા મોટી તાકાત આપી છે. છત્તીસગઢ અને રાજસ્થાનની હાર કોંગ્રેસ માટે અણધારી હતી. આ પરિણામો અમારા માટે ચિંતાજનક છે અને મને લાગે છે કે પાર્ટી નેતૃત્વ આને સમજશે અને નબળાઈ દૂર કરશે. તેમણે એમ પણ કહ્યું કે ચાર મોટા રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ 40 ટકા વોટ મળ્યા છે. આ દર્શાવે છે કે કોંગ્રેસના મતો તેની સાથે જોડાયેલા છે, પરંતુ ભાજપ પણ નવા મતદારોને પોતાના તરફ લાવવામાં સફળ રહી છે.
ભાજપને કલ્યાણકારી યોજનાઓ ફળી- ચિદમ્બરમ
વધુમાં પી.ચિદમ્બરમે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે કે કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં 45 ટકા વોટ મેળવી શકે છે. તેમણે કહ્યું કે આ માટે કોંગ્રેસે જોરદાર પ્રચાર કરવો પડશે. બૂથ મેનેજમેન્ટમાં સુધારો કરવો પડશે અને મતદારોને મતદાન મથકો સુધી લાવવા પડશે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદે કહ્યું કે ભાજપ મુસ્લિમ વિરોધી, ખ્રિસ્તી વિરોધી પ્રચાર અને અતિ રાષ્ટ્રવાદને કારણે વાતાવરણ બનાવે છે. તેમણે કહ્યું કે ભાજપે આ ત્રણ બાબતોને મિશ્રિત કરી છે. આ ઉપરાંત કલ્યાણકારી યોજનાઓ પણ તેમને લાભ આપી રહી છે.
ચૂંટણીમાં મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો મુખ્ય
તેમણે કહ્યું કે ચૂંટણીમાં મારા મતે બેરોજગારી અને મોંઘવારી મહત્વના મુદ્દા હશે. દરેક સર્વેમાં સામે આવ્યું છે કે આ બે મુદ્દા લોકોને અસર કરે છે. તેમનું એમ પણ માનવું હતું કે જો ભાજપ સરકાર ચૂંટણી પહેલા NRC અને CAA પર ભાર મૂકશે તો તેની અસર પણ જોવા મળશે.


