- નડિયાદમાં આજથી ત્રિદિવસીય મેળાનો પ્રારંભ
- સંતરામ મંદિરમાં તા. 24મીએ દિવ્ય સાકર વર્ષા
- 24 કલાક વહેલો વાહન વ્યવહાર બંધ કરાતાં ચાલકોની મુશ્કેલી વધી
નડિયાદ સંતરામ મંદિરમાં તા. 24મીએ શનિવારે મહા પૂર્ણિમા દિને યોગીરાજ અવધૂત સંતરામ મહારાજનો 193 મો સમાધિ મહોત્સવ નિમિતે દિવ્ય , ભવ્ય સાકરવર્ષા યોજાશે.જેને લઇને મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવ નિમિતે તા. 23 મીથી શુક્રવાર થી ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થશે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં આવતાં દર્શનાર્થીઓ તેમજ મેળામાં ભારે ભીડને લઇને ગુરૂવારથી તા.26મી સોમવાર ફેબ્રુઆરી સુધી સંતરામ મંદિર તરફ જવાના તમામ માર્ગો ઉપરથી વાહન અવર જવર કરવા માટે પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે.
નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો 193 મો સમાધિ મહોત્સવ તા. 24મીએ મંદિરના મહંત રામદાસજી મહારાજના સાંનિધ્યમાં આસ્થાભેર યોજાશે.આ મહોત્સવ પૂર્વે તા.23 મીએ મંદિરમાં સવારે 7 સવારે સંતરામ મહારાજ સમાધિ સ્થાન ખાતે સમૂહમાં ગુરૂપાદુકા પૂજન યોજાશે. તા. 24 મીએ મહાપૂર્ણિમાના દિવસે સાંજે 6 કલાકે મંદિર માં મહાઆરતી અને દિવ્ય સાકરવર્ષા થશે. મહાઆરતી બાદ પૂ.રામદાસજી મહારાજ દ્વારા સૌ પ્રથમ સાકર વર્ષા કર્યા બાદ શાખા મંદિરના સંતો તથા અન્ય સંતો તથા 150 થીવધુ સ્વયં સેવકો દ્વારા મંદિરમાં ઠેર ઠેર બનાવેલા પ્લેટફોર્મ પરથી સાકરવર્ષા કરવામાં આવશે. 1500 કિલો ઉપરાંત સાકર સાથે 500 કિલો ઉપરાંત કોપરૂ મિશ્રાની વર્ષા કરવામાં આવશે. આ પ્રસંગે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ મહોત્સવ અંતર્ગત શુક્રવાર થી ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક લોકમેળાનો પ્રારંભ થશે . નગરના સંતરામ મંદિરના ચોગાન, ઇપ્કોવાલા ગ્રાઉન્ડ, ચેતક ગ્રાઉન્ડમાં નાનામોટા ચગડોળ, ટોરાટોરા સહિત અન્ય મનોરંજન અંગેના સાધનો , ઘરવખરી, ખાણીપીણીના સ્ટોલ, હાટડીઓ તેમજ દરેક ચીજ વસ્તુઓના 200 થી વધુ નાના મોટા સ્ટોલ છે. યોજાનાર મેળાના કારણે સંતરામ મંદિર વિસ્તારના રોડ ઉપર ગુરૂવાર થી 26 ફેબ્રુઆરી સોમવાર સુધી વાહનોની અવર જવર માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો પરથી વાહન લઇને અવર જવર કરવાની રહેશે. તેમજ ધાર્મિક મેળાને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
24 કલાક વહેલો વાહન વ્યવહાર બંધ કરાતાં ચાલકોની મુશ્કેલી વધી
સંતરામ મંદિર વિસ્તારમાં ધાર્મિક મેળાને લઇને મંદિર તરફ જવાના તમામ માર્ગો ઉપર 24કલાક વહેલા માર્ગો ઉપર આડશો મૂકીને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જેમાં આ રોડ પરના દુકાનદારો ગુરૂવારે સવારે દુકાનો પર વાહનો લઇને આવતાં રસ્તા બંધ હોવાથી મોટાભાગના દુકાનદારોએ આડસો હટાવીને વાહન પોતાના દુકાન પાસે પાર્ક કર્યા હતા.જાહેરનામાને લઇને બુધવાર મધ્યરાત્રિ બાદ મંદિર તરફના માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. ગુરૂવારે સવારે સંતરામ રોડના વેપારીઓ વાહન લઇ આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.


