ખોડિયાર મા સાક્ષાત્ જગદંબા ભવાની છે. જોગમાયા ખોડિયારના ભક્તોમાં મોટા મોટા શાસકોથી લઈને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. ખોડિયાર મા પોતાના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે. આજે ગુજરાતના ખૂણેખૂણામાં ખોડિયાર મા પૂજાય છે. મહા સુદ આઠમ એ ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિવસ છે
શ્રીખોડિયાર માની પ્રાગટ્યકથા જાણીએ. 9થી 11મી સદીની આસપાસના સમયની આ વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તે વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમનાં પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળાં હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દૂઝણાંને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર કોઈ ન હતું, તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા ચારણ અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો.
રાજપરાવાળી તાતણિયા ધરાવાળી મા ખોડિયારને ઘણી ખમ્મા
તેસમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શીલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા. જે દિવસ તે દરબારમાં ન હોય તે દિવસે રાજાને દરબારમાં કંઈક ખૂટતું હોય તેમ લાગતું. દુનિયામાં ઈર્ષ્યાળુઓની કોઈ જ કમી નથી. આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષ્યાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયાની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામડિયો નિ:સંતાન છે. તેનું મોં જોવાથી અપશુકન થાય છે. તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય તેવું બની શકે. રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતમાં આવી ગયા.
એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા. રાજાએ મામડિયાને કહ્યું કે, `હવે આપણી મિત્રતા પૂરી થાય છે.’ એમ કહીને ચાલ્યા ગયા. તેનું કારણ જાણીને મામડિયાને ખૂબ જ દુ:ખ થયું. લોકો પણ તેમને વાંઝિયામહેણાં મારવા લાગ્યા. મામડિયા દુ:ખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે. મામડિયાને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી. તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે. ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતાં હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે.
મામડિયા ખુશ થઈને ઘેર ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી. તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણાં રાખ્યાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. મામડિયાને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું.
પ્રસિદ્ધ પ્રાચીન ખોડિયાર ધામો રાજપરા
ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામમાં આવેલું ખોડિયાર મંદિર ખૂબ જ પ્રચલિત છે. આ ખોડિયાર ધામ ભાવનગરથી 15 કિમી. તથા શિહોરથી 4 કિમી.ના અંતરે આવેલું છે. માતાજીના મંદિરની સામે જ તાતણિયો ધરો આવેલો છે. તેને કારણે જ આ મંદિર તાતણિયા ધરાવાળાં ખોડિયાર તરીકે પ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં. ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માને પૂજે છે.
આ મંદિરની સ્થાપનાની કથા ખૂબ જ રસપ્રદ છે. ભાવનગરના ગોહિલ વંશના રાજવી પોતાના વંશનાં કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાની રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા, તેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યાં. માતાજી પ્રસન્ન થઈને તેમની સાથે આવવા તૈયાર તો થયાં, પરંતુ એવી શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ, પણ તારે પાછું વળીને હું આવું છું કે નહીં તે જોવાનું નહીં. રાજાએ શરત સ્વીકારી અને તેઓ આગળ તથા માતાજી તેમની પાછળ ચાલવા લાગ્યાં. રાજા ભાવનગર તરફ ચાલ્યે જતાં હતા. રસ્તામાં જ્યારે વરતેજ જ આવ્યું ત્યારે રાજાના મનમાં શંકા થઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? શંકાના સમાધાન માટે રાજાએ પાછું વળીને જોયું. બસ, શરતનો ભંગ થયો અને માતાજી ત્યાં જ અટકી ગયાં અને ધરતીમાં સમાઈ ગયાં. આ સ્થળ માતાજીનું સ્થાનક થયું. તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર તરીકે પ્રખ્યાત છે.
માતાજીનું પ્રાગટ્ય સ્થાન રાજપરા આજે ખોડિયાર માતાજીનું મોટું તીર્થધામ બન્યું છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયાં તે સ્થાનક છે. અહીં ખોડિયાર માને સુખડીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. ભાદરવી અમાસ અને ખોડિયાર જયંતીના દિવસે અહીં લાખ્ખોની સંખ્યામાં માનવમહેરામણ ઊમટી પડે છે. આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસટીની સેવાથી જોડાયેલું છે.
માટેલ
રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયાર માનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ ધામ વાંકાનેરથી આશરે 17 કિમી. દૂર આવેલું છે. ઊંચી ભેખડો ઉપર માતાજીનું મંદિર આવેલું છે. અહીં માતાજીનું એ જૂનું સ્થાનક છે, તેમાં ચાર મૂર્તિઓ છે. જે આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. આ મંદિરની બાજુમાં જ નવું મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં ખોડિયાર માની આરસમાંથી બનાવેલી સુંદર મૂર્તિ છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. જેની નીચે ખોડિયાર માનાં બહેન જોગડ, તોગડ અને સાંસાઈના પાળિયા છે. આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ધરો આવેલો છે, જે માટેલિયા ધરા તરીકે ઓળખાય છે. અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભક્તો પગપાળા માતાજીનાં દર્શને આવે છે. આ તીર્થસ્થળે આવવા એસટી તથા ખાનગી વાહનોની વ્યવસ્થા છે. વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે. આ સ્થળે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા છે.
ગળધરા મંદિર
અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિમીના અંતરે શેત્રુંજી નદીના કાંઠે ખોડિયાર માનું મંદિર આવેલું છે. અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે, તેને ગળધરો કહેવાય છે. ત્યાં ધરાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે. હાલમાં નદીના કિનારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. જૂનાગઢના રાજા રા’નવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી. એવું કહેવાય છે કે તેમના આશીર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. રા’નવઘણ ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. જ્યારે રા’નવઘણ તેની માનેલી બહેન જાસલની વારે ચઢ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માએ તેની રક્ષા કરી હતી. ગળધરા આવવા માટે ધારીથી એસટી અને ખાનગી વાહનો મળી રહે છે. ખોડિયાર ડેમ અહીં જ આવેલો છે.
ખોડિયાર નામ કેવી રીતે પડ્યું?
એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે દંશ દીધો હતો. તેનો જીવ જોખમમાં હતો. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલાં લાવવામાં આવે તો જ મેરખિયાનો જીવ બચી શકે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાનાં એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયાં. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતાં હતાં ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ, તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની સવારી કરી. ત્યારથી મગર તેમનું વાહન બન્યો. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યાં ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાને કારણે ખોડાતાં ખોડાતાં ચાલવા લાગ્યાં. તેમને જોઈને બધાં કહેવા લાગ્યાં કે ખોડિ આવી, ખોડિ આવી. ત્યારથી તેઓ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યાં.
શ્રી ખોડિયાર માની સ્તુતિ
જય ખોડિયાર મા દિનદયાળી,
તારું સ્મરણ મારે સાચું રે,
સંકટ સમયે સહાય થાજો, પ્રાર્થના કરી મા યાચું રે.
ભવસાગરમાં ભૂલો પડ્યો મા, ભમીભમીને મન થાક્યું રે,
સ્મરણ કર્યું ના સહેજ તમારું, માયામાં ચિત્ત રાખ્યું રે.
દોષ જરા ના જોશો માડી, ક્ષમા કરી ઉર લેજો રે,
ચરણકમળમાં શીશ નમાવું મા, દાસને દર્શન દેજો રે.
મહિમા તારો શી રીતે ગાઉં, નથી શબ્દ કે વાણી રે,
ખમ્મા ખમ્મા મારી માત ખોડિયાર,
તું તો આદ્ય ભવાની રે.
કોઈ નથી આ જગતમાં મારું, જૂઠા સંબંધો સઘળા રે,
રૂઠ્યા ગ્રહો ને રૂઠી વિધાતા, ભાગ્ય લેખ પણ નબળા રે.
ધન-દોલત ન માગું માડી, માગું ન હીરા મોતી રે,
સાદ કરું ત્યાં પ્રગટ થાજો મા, વિનવું હું કર જોડી રે.
વેદ, શાસ્ત્ર કે મંત્ર-તંત્ર, વળી ધર્મકર્મ ન જાણું રે,
એક ચિંતનથી સ્મરણ કરીને, તારાં દર્શનનું સુખ માણું રે.
ત્રણે ભુવનની તું રખવાળી, ભક્તજનોએ વખાણી રે,
ખમ્મા ખમ્મા મારી માત ખોડિયાર,
તું તો આદ્ય ભવાની રે.
ઘણાં કર્યાં અપરાધ માવડી, નામસ્મરણ ના કીધું રે,
અહંકારનું ઝેર અમે તો, ઘૂંટી ઘૂંટી પીધું રે.
પતિતપાવની હે જગદંબા, ભક્તની વ્હારે આવો રે,
પાપ અમારાં ખાખ કરીને, પુણ્ય તેજ પ્રગટાવો રે.
ભક્તજનોનાં દુ:ખ હરનારી, તું દાતા ને દાની રે,
ખમ્મા ખમ્મા મારી માત ખોડિયાર,
તું તો આદ્ય ભવાની રે.
છંદ રચ્યો આ ખોડિયાર માનો, જે કોઈ ભાવે ગાશે રે,
મનની આશા પૂરી થાશે ને માતાનાં દર્શન થાશે રે.