તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL 2025)માં એક મેચ દરમિયાન એલબીડબ્લ્યુ આઉટ થયા બાદ આર અશ્વિન અમ્પાયર સાથે દલીલમાં ઉતર્યો હતો. તે એટલો ગુસ્સે થયો કે બહાર નીકળતી વખતે તેણે પોતાનું બેટ તેના પેડ પર જોરથી માર્યું. તેણે પોતાનો ગ્લોવ્સ કાઢીને તેને જોરથી બાઉન્ડ્રી પાર ફેંકી દીધા હતા. જેના પછી તે નિશ્ચિત હતું કે તેની સામે ચોક્કસ કાર્યવાહી થશે. તે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષી સાબિત થયો અને તેને સજા આપવામાં આવી હતી.
અશ્વિનને મળી આ સજા
કેપ્ટન અશ્વિનને મેચ રેફરી અર્જુન કૃપાલ સિંહે બે કેસમાં દોષિત ઠેરાવ્યો હતો. ત્યારબાદ તેને સજા ફટકારવામાં આવી હતી. અશ્વિનને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. તેને અમ્પાયર પ્રત્યે અસંમતિ દર્શાવવા અને ક્રિકેટ સાધનોનો દુરુપયોગ કરવા બદલ સજા ફટકારવામાં આવી હતી. તમિલનાડુ પ્રીમિયર લીગના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે મેચ પછી સુનાવણી યોજાઈ હતી. અમ્પાયરો પ્રત્યે અસંમતિ દર્શાવવા બદલ ફીના 10 ટકા કાપવામાં આવ્યા હતા જ્યારે સાધનોના દુરુપયોગ માટે 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. અશ્વિને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.
અશ્વિનનો અમ્પાયર સાથે ઝઘડો થયો
આર અશ્વિન ડિંડીગુલ ડ્રેગનનો કેપ્ટન છે. તે 8 જૂને કરાઈકુડી કાલાઈ સામેની મેચમાં ઇનિંગ ઓપન કરવા આવ્યો હતો. 11 બોલમાં 18 રન બનાવ્યા બાદ તે LBW આઉટ થયો હતો. જોકે, તે તેના આઉટથી ખુશ નહોતો તેને લાગ્યું કે તે આઉટ નથી. તે મહિલા અમ્પાયર પાસે ગયો અને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. જોકે અમ્પાયરે તેને સાંભળ્યું નહીં. ત્યાર બાદ તે ખૂબ જ રોષે ભરાયો હતો. વીડિયોમાં જોવા મળ્યું કે તે મેદાન છોડતી વખતે ખૂબ ગુસ્સામાં હતો
આ તમિલનાડુ પ્રીમિયર લીગની 5મી મેચ હતી. અશ્વિનના નેતૃત્વ હેઠળની ડિંડીગુલ ડ્રેગન્સ 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતા કરાઈકુડી કાલાઈએ 11.5 ઓવરમાં જીત મેળવી લીધી હતી.