- ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવા માટેના નિયમોમાં ફેરફાર
- 1 જુલાઇથી રેલ્વેએ નવા નિર્ણયો લાગુ કર્યા
- વેઇટિંગ ટિકિટ પર રિઝર્વેશન કોચમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ
ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવા માટેના નિયમોમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી લાખો મુસાફરોને અસર થઈ શકે છે. 1 જુલાઇથી રેલ્વેએ નવા નિર્ણયો લાગુ કર્યા છે. જેમાં વેઈટીંગ ટિકિટને લઈને પહેલીવાર કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમનો જે પણ લોકો ભંગ કરશે તો તેને દંડ તો ફટકારવામાં આવશે જ પણ સાથે જ તેને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવશે.
ભીડના કારણે કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને અગવડ
હવે જેમની ટિકિટ વેઇટિંગમાં હોય તેઓ એસી કે સ્લીપર કોચમાં મુસાફરી નહીં કરી શકે, પછી ભલે તેમણે જે-તે સ્ટેશનના કાઉન્ટર પરથી ઓફલાઇન ટિકિટ ખરીદી હોય. વેઇટિંગ ટિકિટ પર રિઝર્વ કોચમાં મુસાફરી કરનારાઓ પાસેથી ટીટી 440 રૂપિયા દંડ વસૂલીને તેમને જનરલ કોચમાં મોકલી શકે છે કે અધવચ્ચે ઉતારી પણ શકે છે. રેલવેને હજારો ફરિયાદ મળી હતી કે રિઝર્વ કોચમાં વેઇટિંગ ટિકિટવાળા મુસાફરોની ભીડના કારણે કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને ઘણી અગવડ પડે છે.
આરક્ષિત કોચમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ
વેઇટિંગ ટિકિટ પર રિઝર્વેશન કોચમાં મુસાફરી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેથી જો તમારી ટિકિટ કન્ફર્મ નથી થઈ તો તમે એસી અથવા સ્લીપર કોચમાં મુસાફરી હવે નહીં કરી શકો. હવે રેલ્વે દ્વારા વેઇટિંગ ટિકિટ પર આરક્ષિત કોચમાં મુસાફરી કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જો કે આ નિર્ણય આરક્ષિત કોચમાં કન્ફર્મ ટિકિટ સાથે મુસાફરી કરનારાઓની સુવિધા માટે લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરતા લાખો મુસાફરો પર તેની મોટી અસર પડશે.
92 ટ્રેનોમાં જનરલ કોચ વધારવાની જાહેરાત
રેલવે મંત્રી સુધી થયેલી અનેક ફરિયાદો બાદ અમદાવાદ સહિત દેશમાં રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતા પેસેન્જરોને કોચમાંથી ઉતારી દેવાનો નિર્ણય લેવાયો હતો. હાલના સંજોગોમાં ટ્રેનોમાં 2 કે 3 જનરલ કોચ હોય છે જે પહેલાથી જ પેસેન્જરોથી ભરાયેલો હોય છે. ત્યારે વેઈટિંગ ટિકિટવાળા પેસેન્જરો આવતાં તેમને જગ્યા મળતી નથી. આ અંગે પણ અનેક રજૂઆતો થતાં હવે રેલવે દ્વારા અમદાવાદ સહિત દેશની 92 ટ્રેનોમાં જનરલ કોચ વધારવાની જાહેરાત કરાઈ છે.


