- સિનિયર સિટિઝનો સહિત દિવ્યાંગ, થેલેસેમિયા ગ્રસ્ત લોકો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે
- સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર માટે રૂપિયા 12 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર માટે નવી ગાડી ખરીદવા ઠરાવ
રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટિઝનોને સિટી અને બીઆરટીએસ બસમાં ફ્રીમાં મુસાફરી કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આ સિવાય દિવ્યાંગ લોકો અને થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ પણ સીટી બસ અને બીઆરટીએસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. જેના કારણે મોટા પ્રમાણમાં સિનિયર સિટિઝન, દિવ્યાંગ અને થેલેસેમિયા ગ્રસ્ત લોકોને ફાયદો થશે.
દિવ્યાંગ અને થેલેસેમિયા ગ્રસ્ત લોકો પણ સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે
તમને જણાવી દઈએ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીટી બસ અને બીઆરટીએસમાં દિવ્યાંગ સિનિયર સિટીઝન જુવે નાઈલ ડાયાબિટીસ અને થેલેસેમિયા માઈનોર દર્દીઓ માટે નિશુલ્ક મુસાફરી યોજના બનાવવામાં આવી હતી. જેની અમલવારી લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે થઈ શકી ન હતી, હવે આચારસંહિતા હટી જતા મહા નગરપાલિકા દ્વારા નવા નિયમો લાગુ કરીને ઉપરોક્ત કેટેગરીમાં નિશુલ્ક મુસાફરી યોજના લાગુ કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા પ્રમાણે જરૂરી પ્રમાણપત્રોના આધારે ઉપરોક્ત કેટેગરીમાં નિશુલ્ક મુસાફરી માટે પાસ કાઢી આપવામાં આવશે. આ પાસને આધારે નિશુલ્ક મુસાફરી થઈ શકશે, દિવ્યાંગો માટે 21 કેટેગરી નક્કી કરવામાં આવી છે, મહાનગર પાલિકા દ્વારા ચાલતી દરેક રૂટની બસો પર નિશુલ્ક મુસાફરીની યોજનાનો અમલ થશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર માટે નવી ગાડી ખરીદવા ઠરાવ
આ સિવાય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર માટે રૂપિયા 12 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં કર્મચારીઓના પે સ્કેલ મુદ્દે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. આજે બેઠકમાં 47 દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, આ પૈકી 18 દરખાસ્ત મેડિકલ સહાય અંગેની હતી, જેને મંજૂર કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર માટે નવી ગાડી ખરીદવા ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.
કર્મચારીઓના પે સ્કેલ મુદ્દે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી
ઉલ્લેખનીય છે કે ચેરમેનની ગાડીના કિલોમીટર પૂરા થઈ ગયા હોય તેમાં રીપેરીંગ ખર્ચ વધારે આવતો હોવાથી અમે નવી ગાડી ખરીદવા ઠરાવ કર્યો છે, 25 લાખના ખર્ચે હાઈબ્રીડ કાર ખરીદવામાં આવશે. આ સિવાય મહાનગર પાલિકા દ્વારા અધિકારીઓને સાતમું પગાર પંચ આપવા પણ ઠરાવ મુકાયો હતો, જેને હાલ મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત ખરીદીના અન્ય કામોને પણ મંજૂરી આપવામાં આવી છે.


