- ગેમઝોન કાંડમાં ભાજપના નેતાના નામ બહાર કઢાવવામાં નિષ્ફ્ળ
- નાર્કોટેસ્ટ થશે તો જ ભાજપના નેતાઓ અને સાગઠિયાની ‘કાર્ટેલ’ના નામો બહાર આવશે
- કોંગ્રેસે દેકારો કરતા મેં તો ગુનો દાખલ કરવા ઓર્ડર કરેલો : સીપી
27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ગેમઝોન દુર્ઘટનામાં ભ્રષ્ટ અધિકારીઓની આખ્ખી *કાર્ટેલ* ઉઘાડી પડી છે.આ સમયે અમલદારો પ્રજા સાથે માનવીય અભિગમ અપનાવી દોષિતોને કડક સજા કરે તેવી પ્રબળ માંગ વચ્ચે આજે રાજકોટ પોલીસે આરોપીઓ ઉપર પસ્તાળ પાડવાને બદલે વિપક્ષ અને મિડીયા ઉપર પસ્તાળ પાડી સી.પી. કચેરીમાં પ્રવેશબંધીના નિયમો બનાવતા ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
આજે વિપક્ષ કોંગ્રેસના નેતાઓ ગેમઝોન કાંડના સૂત્રધાર ટી.પી.ઓ. સાગઠીયાના નાર્કોટેસ્ટની માંગ સાથે સી.પી.સમક્ષ ગયા ત્યારે પાંચ જ લોકો રજૂઆત કરવા આવે તેવું ફરમાન થયું અને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો તો સી.પી.એ તેમણે ગેટઆઉટ કહી દીધું…પોલીસે 5 કોંગી નેતાઓને ડીટેઈન કર્યા અને મિડીયા ઉપર પણ નિયંત્રણ લાદતા એમ કહ્યું કે કચેરીમાં ટોળામાં પ્રવેશ નહિ અપાય.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે સીપી સાથે ટેલીફેનીક વાતચીત કરી મનપાના પૂર્વ ટીપીઓ એમ ડી સાગઠીયાનો નાર્કોટેસ્ટ કરાવવાની માંગ સાથે અમે રજૂઆત કરવા આવવાના છીએ તેવી મૌખિક મંજુરી લીધી હતી આજે સવારે પહોચ્યા ત્યારે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ માત્ર 5 આગેવાનો જ મળવા આવે તેવું કહી અન્ય આગેવાનોને પ્રવેશ નહી આપતા ફરજ પર રહેલ પોલીસે પૂર્વ વિપક્ષી નેતા સહીત બેને અટકાવ્યા હતા તેમને છોડવાનું જણાવતા અમને ગેટઆઉટ કહી દેતા સીપી કચેરીમાં પોલીસ કમિશ્નર હાય હાયના નારા લગાવતા પોલીસે અતુલ રાજાણી, જસવંતસિહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, વશરામ સાગઠીયા અને અશોક્સીહ વાઘેલાને ડીટેઈન કર્યા હતા.
કોંગ્રેસે દેકારો કરતા મેં તો ગુનો દાખલ કરવા ઓર્ડર કરેલો : સીપી
મેં કોંગ્રેસના નેતાઓનેશાંતિથી સાંભળવા હા પાડેલી પરંતુ તેમણે દેકારો શરુ કરતા મેં તો ગૂનો નોંધવા જ ઓર્ડર કરેલો પરંતુ બાદમાં ભલામણો આવતા ડીટેઈન કર્યા. કોંગ્રેસ દરેક વખતે આવું જ કરે છે. સી.પી. કચેરીમાં આ બાબતે એક સિસ્ટમ બનાવાઈ રહી છે હું અરજદારને પણ શાંતિથી બેસાડીને સાંભળું છું, કોંગ્રેસ આગેવાનોને પણ સામે છ ખુરશી છે તો છ લોકો બેસો, પાણી પીવો પછી શાંતિથી તમારી રજૂઆત કરો તેવું કહ્યું હતું પરંતુ તે માત્ર હોબાળો કરવામાં જ માને છે.


