અઢી લાખ વાહન ચાલકો ધૂળની ડમરી-ખાડાઓ વચ્ચેથી
રાજકોટ-જેતપુર સિકસલેનમાં ૧૨૦૪ કરોડનો ધૂમાડો છતાં કામગીરી અડધે, ટોલની ઉઘરાણી ચાલુ
કોન્ટ્રાકટરને નોટીસ અને ૨૫ લાખની પેનલ્ટી છતાં કામગીરી ધીમી ગતિએ
અધૂરા રસ્તા પર અકસ્માતનું જોખમ : ટોલટેકસમાં માત્ર ૨૫ ટકાની રાહત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ અને ઔદ્યોગિક નગરી જેતપુરને જોડતા ૬૭ કિલોમીટર લાંબા નેશનલ હાઈવેનું કામ વાહનચાલકો માટે સુવિધાને બદલે ‘દુવિધા’ સમાન બની ગયું છે. ૧,૨૦૪ કરોડના જંગી ખર્ચે બની રહેલા સિક્સલેન હાઈવે પ્રોજેક્ટમાં રીતસરના ‘ધાંધિયા’ ચાલી રહ્યા છે. જે કામ જૂન ૨૦૨૪માં પૂર્ણ થવાનું હતું, તે હવે જાન્યુઆરી ૨૦૨૬ સુધી લંબાયું છે. નવાઈની વાત એ છે કે, રોડ અધૂરો છે, ડાયવર્ઝન જોખમી છે, છતાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું નેટવર્ક ચાલુ છે.
ઓગસ્ટ ૨૦૨૨માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં માત્ર ૫૨ ટકા જ કામ પૂર્ણ થયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટરને અનેક નોટિસ ફટકારવામાં આવી છે અને જૂન-જુલાઈ ૨૦૨૫ દરમિયાન ૨૫ લાખની પેનલ્ટી પણ કરવામાં આવી છે, તેમ છતાં કામગીરીમાં કોઈ વેગ આવ્યો નથી. હાલની સ્થિતિએ રોજના ૨.૫૦ લાખ વાહનચાલકો ધૂળની ડમરીઓ અને ખાડાઓ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે.
સૌથી મોટો સવાલ ટોલ ટેક્સને લઈને છે. નિયમ મુજબ સુવિધા મળે તો જ ટેક્સ લેવો જોઈએ. પરંતુ અહીં વાહનચાલકો જીવના જોખમે ડ્રાઈવિંગ કરે છે અને સામે ટોલ પણ ચૂકવે છે. તંત્ર એવો દાવો કરે છે કે હાલ ટોલ ટેક્સમાં ૨૫ ટકા રાહત આપવામાં આવી છે. પરંતુ જાગૃત નાગરિકો અને સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી હાઈવેનું ૧૦૦ ટકા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ. અધૂરા ડાયવર્ઝન, અપૂરતા સાઈન બોર્ડ અને બિસ્માર રસ્તાને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે.


