- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ પહેલા સ્ટેડિયમનું નામ બદલાશે
- રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ બનશે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ
- સ્ટેડિયમના નામકરણ સમયે BCCI સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ(SCA) ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જોકે, આ મેચ પહેલા આ સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. મેચ પહેલાની સાંજે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ ખેલાડી અને વરિષ્ઠ પ્રશાસક નિરંજન શાહના નામ પર રખાશે. આ સ્ટેડિયમ રવિન્દ્ર જાડેજાનું ડોમેસ્ટિક મેદાન પણ છે. મહત્વનું છે કે, રાજકોટમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ લાવવાનો શ્રેય પણ નિરંજન શાહને જાય છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ સુધીની સફરના તેઓ ભાગીદારી રહ્યા હતા.
કયા નામથી ઓળખાશે સ્ટેડિયમ
આગામી 14 ફેબ્રુઆરીના દિવસે રાજકોટના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ થશે. હાલ મળતી વિગતો અનુસાર આ ક્રિકેટ સ્ટેડિયમના નામકરણ સમયે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આગામી 15 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ અગાઉથી જ પ્રેક્ટિસ માટે આ સ્ટેડિયમ પહોંચી જશે.
ક્રિકેટ સ્ટેડિયમ ના નામકરણ સમયે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓને પણ આમંત્રણ આપ્યું હોવાનું સૌરાષ્ટ્ર રીતે એસોસિયેશનના સભ્ય કરણ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે નિરંજન શાહનું ક્રિકેટ ક્ષેત્રે અનોખું યોગદાન રહ્યું છે. તેમના કારણે સૌરાષ્ટ્ર ક્રિકેટને ઘણું બધું મળ્યું છે. ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ક્રિકેટરો પણ ઇન્ટરનેશનલ સુધી રમી શક્યા છે.
નિરંજન શાહ કોણ છે?
નિરંજન શાહ છેલ્લા 60 વર્ષથી ક્રિકેટ ક્ષેત્રે તેમનું યોગદાન આપી ચૂક્યા છે. તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે.. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી રહી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓ BCCIનાં પણ સેક્રેટરી રહી ચૂક્યા છે IPLના વોઇસ ચેરમેન અને નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરના પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ સ્ટેડિયમનું નામ બદલવાનો પ્રસ્તાવ ગયા વર્ષે જ SCAની વાર્ષિક સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો.
75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું
રાજકોટથી 12 કિમી દૂર ખંઢેરીમાં કુલ 75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ 5.50 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. તેમજ સ્ટેડિયમની ડિઝાઈન તેમજ તેની બેઠક વ્યવસ્થા માટે 20 થી વધુ દેશોના સ્ટેડિયમની ડિઝાઈનો જોયા બાદ આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી.
આ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાશે
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ કે જે આગામી સમયથી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાવાનું છે ત્યાં નામકરણ થયા પછીના તરત ના દિવસ એટલે કે 15 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થશે. ભારત અને ઈંગ્લેન્ડ હાલ ચાલી રહેલી આ 5 મેચની સિરીઝમાં 1-1થી બરોબરી પર છે. મેચ શરૂ થાય એ પહેલા જ રાજકોટ શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે હવે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને પણ એક નામ મળવા જઈ રહ્યું છે.


