- રાજકોટમાં જર્જરિત ઈમારતોને મનપાની નોટિસ
- 10 દિવસમાં જગ્યા છોડી દેવા તાકીદ
- 500થી વધુ મિલકતોને અપાઈ નોટિસ
રાજકોટમાં મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી જર્જરીત ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી છે. શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરની જર્જરીત થઈ ગયેલી 500થી વધુ મિલકતોને નોટિસ આપવામાં આવી છે.
42 દુકાનો સહિત બેંકને આપવામાં આવી નોટિસ
ઉલ્લેખનીય છે કે શહેરમાં કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને જુના રાજકોટમાં 4 બિલ્ડિંગો ભયગ્રસ્ત છે તે અને ભુતખાના ચોક, ઢેબર રોડ, ઢેબરચોક વિસ્તારમાં જર્જરિત ઈમારતોને 10 દિવસમાં જગ્યા છોડવા તાકીદ કરવામાં આવી છે અને આ સાથે 42 દુકાનો સહિત બેન્કને પણ નોટિસ આપવામાં આવી છે.
રાજકોટ શહેરમાં જાહેરમાં ગંદકી કરતી ચા અને પાનની દુકાનોને સીલ મારવામાં આવ્યા
રાજકોટ શહેરમાં જાહેરમાં ગંદકી કરતી ચા અને પાનની દુકાનોને સીલ મારવામાં આવ્યા અને તેના કારણે વેપારીઓમાં મોટો ફફડાટ ફેલાયો છે. વેપારીઓને અગાઉ પણ ગંદકી નહી કરવાને લઈ નોટિસ આપી હતી તેમ છત્તા વેપારીઓ ના સુધરતા આજે કોર્પોરેશને બે દુકાનોમાં સીલ માર્યુ હતુ અને દંડ ફટકાર્યો હતો. રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ, રાજકોટ ખાતે આવેલ પ્યાસા પાન અને જય દ્રારકાધીશ પાન એન્ડ ચા પાર્લર એમ કુલ ૨ દુકાન દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોવાથી આ બાબતે નોટિસ આપી હતી.
AMCનો આરોગ્ય વિભાગ પણ હરકતમાં
ગઈકાલે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અચાનક હરકતમાં આવ્યો હતો અને AMCના આરોગ્ય વિભાગે શહેરમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. મચ્છરના બ્રિડિંગને લઈને કન્સ્ટ્રક્શન સાઈટો પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતુ અને કેટલીક સાઈટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ નજીક આવેલી શ્યામ હાઈટ્સ નામની સાઈટ્સને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી. આ કન્સ્ટ્રક્શન સાઈટ્સ પરથી મચ્છરનું બ્રિડિંગ મળી આવ્યુ હતું અને ત્યારબાદ આ કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં વરસાદ બાદ પાણી ભરાઈ રહેતા મચ્છરના બ્રિડિંગ ત્યાં થાય છે.


