- મૃતકોને ન્યાય અપાવવા કોંગ્રેસ કરશે ધરણા
- કોંગ્રેસ દ્વારા 72 કલાક ધરણાનું કરાયું એલાન
- ધરણા માટે 7થી 10 તારીખ સુધીની માંગી મંજૂરી
રાજકોટના TRP ગેમ ઝોન ખાતે ગત 25 મેના શનિવારના રોજ સર્જાયેલ અગ્નિકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે અને ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટે પણ SITની રચના કરી ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો હવે આ ઘટનાને રાજકીય રંગ પણ મળવા લાગ્યો છે. દુર્ઘટનાના 10 દિવસ થઈ ગયા છે ત્યારે હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને ઘટનાને લઈને મૃતકોને ન્યાય અપાવવાની વાત કરી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડને લઈને હવે કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. અગ્નિકાંડમાં મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં ત્રણ દિવસ ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા પોલીસ વિભાગમાં મંજૂરી પણ માંગવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડના મૃતકોને ન્યાય અપાવવા માટે 3 દિવસના ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આગામી 7 જૂનથી 10 જૂન દરમિયાન રાજકોટ શહેરના ત્રિકોણ બાદ ખાતે સતત 72 કલાક આંદોલન કરવામાં આવશે. જેના માટે રાજકોટ પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી છે.
રાજકોટ કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજપૂતે નિવેદન આપતા આક્ષેપો કર્યા છે કે રાજકોટ અગ્નિકાંડમાં ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠીયાને એક માત્ર વિલન સાબિત કરીને બાકીના ભ્રષ્ટ અધિકારીઓને દૂધે ધોયેલા સાબિત કરવા તપાસ કમિટી નાટક કરી રહી છે. અગ્નિકાંડના મૃતકોને ન્યાય આપવા માટે જવાબદાર જે કોઈ મગરમચ્છ હોય તેને પકડી પાડવા જરૂરી છે. પદાધિકારીઓ કે મોટા અધિકારીઓની ઈચ્છા વગર પાંદડું પણ ન હાલે તો એક બે નાના અધિકારીઓ કાઈ તાકાતથી ગેરકાયદે કામ થવા દે. તેમણે વધુમાં જણાવ્યું કે ન્યાય માટે કોંગ્રેસ છેલ્લે સુધી લડી લેવા તૈયાર છે.


