- ન્યાય માટેની લડાઈમાં પ્રશાસન સામે હું તમારી સાથે છું
- પીડિતોએ કહ્યું ‘કોઈ નેતા અમારા ખબર પૂછવા આવ્યા નથી
- રાહુલ ગાંધી સમક્ષ પીડિતોએ જણાવ્યું કે ગેમિંગ ઝોન કાંડ વખતે આ ગેરકાયદે એકમમાં પેટ્રોલનો મોટો જથ્થો હતો
રાજકોટમાં 27 નિર્દોષોનો ભોગ લેનાર ટીઆરપી ગેમિંગ ઝોન કાંડમાં મૃતકોના સ્વજનો સાથે રાહુલ ગાંધીએ ઓનલાઈન સંવાદ કરી તેમના દુઃખ, દર્દ સાંભળી જો તેઓ ઈચ્છશે તો આ મુદો સંસદમાં ઉઠાવવા તૈયારી દર્શાવી હતી.
રાહુલ ગાંધી સમક્ષ પીડિતોએ જણાવ્યું કે ગેમિંગ ઝોન કાંડ વખતે આ ગેરકાયદે એકમમાં પેટ્રોલનો મોટો જથ્થો હતો, જેનાથી ધડાકો થયો અને અમારા સ્વજનોએ જાન ગૂમાવ્યા, ફાયર બ્રિગેડ પણ એક કલાક પછી પહોચ્યું હતું. એક મહિલાએ કહ્યું કે દુર્ઘટના બાદ કોઈ નેતા અમારા ખબર અંતર પૂછવા આવ્યા નથી. રાહુલ ગાંધીએ આ ઓનલાઈન સંવાદમાં સાથે જોડાયેલા પ્રદેશના નેતાઓને આ મામલામાં પીડિતોને ન્યાય અપાવવા સંપૂર્ણ સાથ આપવા સાથે પીડીતોને કહ્યું હતું કે હું તમારી આ લડાઈમાં સાથે જ છું તમે ઇચ્છશો તો ગેમિંગ ઝોનનો મુદો સંસદના આગામી સત્રમાં ઉઠાવવામાં આવશે. આ સંવાદમાં જોડાયેલા જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કારણે આ ગેમિંગ ઝોન ગેરકાયદે હોવા છતાં ધમધમતો હતો, જેમાં અધિકારીઓ-પદાધિકારીઓ સામેલ છે.
રાહુલે પૂછયું : કોંગ્રેસે ન્યાય અપાવવા શું કર્યું ?
પીડિતો સાથેન સંવાદમાં જોડાયેલા પ્રદેશ નેતાઓને રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે કોંગ્રેસ પક્ષે પીડિતોને ન્યાય અપાવવા શું કર્યું ? કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે કેન્ડલ રેલી, પ્રતિક ધરણા થયા છે, હવે તા.25મીએ બંધનું એલાન આપ્યું છે.


