રાજકોટમાં TAT-HS પરીક્ષામાં ૧૧.૮૫ ટકા ઉમેદવારો ગેરહાજર
૨૫,૭૮૬ ઉમેદવારો પૈકીના ૮૮.૮૫ ટકાએ શિક્ષક બનવા પરીક્ષા આપી
અગ્ર ગુજરાત, અમદાવાદ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) યોજવામાં આવી હતી. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1.65 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 1.47 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા અને 17 હજારથી વધુ ગેરહાજર રહ્યા હતા. આમ, એકંદરે 89.39 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજ્યની સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડે TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતા સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 1,65,024 ઉમેદવારો નોંધાયા હતા. આ તમામ ઉમેદવારોની પરીક્ષા રવિવારે લેવામાં આવી હતી. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર સહિત છ જિલ્લામાં યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરમાં 166 કેન્દ્રો પર 31,170 ઉમેદવારો, અમદાવાદ ગ્રામ્યમાં 99 કેન્દ્રો પર 18,094 ઉમેદવારો, ગાંધીનગરમાં 89 કેન્દ્રો પર 16,618 ઉમેદવારો, રાજકોટના 141 કેન્દ્રો પર 25,786 ઉમેદવારો, સુરતના 207 કેન્દ્રો પર 40,663 ઉમેદવારો અને વડોદરાના 160 કેન્દ્રો પર 32,693 ઉમેદવારો નોંધાયા હતા. 3 માધ્યમોના કુલ 41 વિષયો માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં ગુજરાતી માધ્યમના 21 વિષય, અંગ્રેજી માધ્યમના 14 વિષય અને હિન્દી માધ્યમના 6 વિષયોનો સમાવેશ થાય છે.
પરીક્ષામાં નોંધાયેલા કુલ 1,65,024 ઉમેદવારો પૈકી 1,47,520 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 17,504 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. હાજરીની ટકાવારી જોઈએ તો સુરત જિલ્લામાં સૌથી વધુ 91.31 ટકા નોંધાઈ હતી, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં સૌથી ઓછી 87.95 ટકા હાજરી રહી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 88.23 ટકા, ગાંધીનગરમાં 88.48 ટકા, રાજકોટમાં 88.85 ટકા અને વડોદરામાં 89.80 ટકા હાજરી નોંધાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આન્સર કી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થશે.


