રાજકુમાર કોલેજમાં આંતરરાષ્ટ્રીય રાઉન્ડ સ્કવેર પરિષદનું ઉદઘાટન
ભારત, થાઇલેન્ડ, દુબઇ, ઓસ્ટ્રેલિયાના ૨3૬ વિદ્યાર્થી પ્રતિનિધિઓ અને શિક્ષકોની ઉપસ્થિતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સ્થિત ધ રાજકુમાર કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય રાઉન્ડ સ્ક્વેર પરિષદ–2026નું ઔપચારિક અને ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત કોઈ શાળા દ્વારા આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિરૂપ છે.
આ ઉદ્ઘાટન સમારંભ ઐતિહાસિક ભાવસિંહજી હોલ ખાતે યોજાયો હતો, જેમાં ભારત તેમજ વિદેશના દુબઈ, ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડ સહિત કુલ 25 અગ્રણી શાળાઓના 236 વિદ્યાર્થી પ્રતિનિધિઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
પરિષદનું મુખ્ય વિષય “Maned Warriors Beyond Frontiers” રાખવામાં આવ્યું છે, જે એશિયાઈ સિંહથી પ્રેરિત છે. એશિયાઈ સિંહ સાહસ, સહઅસ્તિત્વ તથા પ્રાકૃતિક સંરક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. આ વિષય અંતર્ગત પ્રતિનિધિઓને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન, ખાતે પ્રાયોગિક અને અનુભવ આધારિત શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર આપવામાં આવશે.
ઉદ્ઘાટન સમારંભ દરમિયાન પરંપરાગત સ્વાગતવિધિ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મુખ્ય વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇતિહાસકાર, પર્યાવરણવિદ તથા રાજકુમાર કોલેજના ગૌરવશાળી પૂર્વ વિદ્યાર્થી ડૉ. દિવ્યભાનુસિંહજીએ પોતાના સંબોધનમાં યુવા પેઢીની પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર વિશેષ ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને જવાબદાર વૈશ્વિક નાગરિક તરીકે કાર્ય કરવા પ્રેરિત કર્યા હતાં.
આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ યશ સક્સેનાએ જણાવ્યું હતું કે, “આ પરિષદ માત્ર આંતરરાષ્ટ્રીય મિત્રતાનો ઉત્સવ નથી, પરંતુ યુવા પેઢીમાં સાહસ, કરુણા તથા સંરક્ષણ પ્રત્યેની જવાબદારી વિકસાવવા માટેનું એક સશક્ત મંચ છે.”
સમારંભનો અંત સત્તાવાર સમૂહ ફોટોગ્રાફ સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓલ ઈન્ડિયા IPSC ચેમ્પિયન આર.કે.સી. ઓલ ગર્લ્સ બેન્ડ ટીમ દ્વારા શાળાના ક્વાડ્રેંગલમાં ભવ્ય અને શિસ્તબદ્ધ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું. ભારત ગેટ તથા નેવી ડે પર રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરી ચૂકેલી આ ટીમના પ્રભાવશાળી કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ગૌરવની લાગણીથી ઓતપ્રોત થઈ ગયું હતું.
ઉદ્ઘાટન સમારંભ બાદ પરિષદના વાસ્તવિક અનુભવ આધારિત કાર્યક્રમ માટે તમામ પ્રતિનિધિઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરફ રવાના થયા હતા. આગામી બે દિવસ દરમિયાન પ્રતિનિધિઓ પ્રકૃતિનું નજીકથી અવલોકન, માર્ગદર્શિત અભ્યાસ અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લેશે, જેના દ્વારા રાઉન્ડ સ્ક્વેરની થીમને જીવંત રીતે સમજવાની તક મળશે.


