AAPને અંદરથી ખોખલી કરી રહ્યા છે નેતાઓ
રાજકોટમાં રાજુ કરપડાનો બળવો, ઈટાલિયા–સોરઠીયાને ગણાવ્યા ભાજપની ‘B ટીમ’
જેલવાસ, જામીન અને વકીલ મુદ્દે ગંભીર આક્ષેપો : અમે જેલમાં જ રહીએ તેવા પ્રયાસ થયા : AAPને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો, ખેડૂત રાજકારણમાં નવો વળાંક
અગ્ર ગુજરાત, રાજકોટ
આમ આદમી પાર્ટી (AAP) માટે સૌરાષ્ટ્રમાં સાવ નવો અને ભારે રાજકીય ભૂકંપ સર્જાયો છે. પાર્ટીના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ ખુલ્લા મંચ પરથી પાર્ટીના જ મુખ્ય નેતાઓ સામે સીધો અને તીખો હુમલો કરતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. રાજકોટમાં 12 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ કહ્યું કે, “ગોપાલ ઈટાલિયા છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે.” આ સાથે જ તેમણે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયાને ભાજપની ‘B ટીમ’ ગણાવી દેતા રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
રાજુ કરપડાએ આક્ષેપ કર્યો કે, પાર્ટીની અંદર એક-બે એવા લોકો છે, જે આમ આદમી પાર્ટીને મજબૂત બનવા દેવા જ માંગતા નથી. ખેડૂત આંદોલન દરમિયાન જેલવાસ ભોગવતા નેતાઓને કાનૂની સહાય અને ન્યાયિક લડતમાં પણ ઉદાસીનતા દાખવવામાં આવી હોવાનો ગંભીર આરોપ તેમણે મૂક્યો. “અમને જેલમાંથી બહાર ન આવીએ તેવા પ્રયાસ થયા,” એમ કહી રાજુ કરપડાએ પાર્ટીના આંતરિક વિસંગતીઓ પર પ્રકાશ ફેંક્યો. પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ પોતાના રાજકીય અને ખેડૂત આંદોલનના પ્રવાસ વિશે વિગતે વાત કરતાં જણાવ્યું કે, તેઓ વર્ષ 2017-18થી ખેડૂતોના પ્રશ્નો માટે સતત લડત ચલાવી રહ્યા છે. પાક વીમા, જમીન માપણી, વીજલાઈન, પાણી અને ‘કડદો પ્રથા’ જેવા મુદ્દાઓ પર તેમણે અનેક આંદોલનો કર્યા છે. “2021માં હું આમ આદમી પાર્ટીમાં જોડાયો, કારણ કે મને લાગ્યું કે આ પાર્ટી ખેડૂતોના અવાજને સાચી રીતે ઉઠાવશે. પાર્ટીમાં જોડાતાં સમયે મારી એક જ શરત હતી કે હું ખેડૂતો માટે લડીશ અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતો રહીશ,” એમ તેમણે કહ્યું. રાજુ કરપડાએ કડદાપ્રથા વિરુદ્ધ થયેલા આંદોલનને પોતાના જીવનની સૌથી કઠિન પરંતુ ગૌરવપૂર્ણ લડત ગણાવી. તેમણે કહ્યું કે, “કડદો નાબૂદ કરવા માટે કરેલા આંદોલનમાં 68 ખેડૂતો સાથે અમે પોણા ચાર મહિના જેલમાં રહ્યા. અમારે પર IPC 307 જેવી ગંભીર કલમો લગાવવામાં આવી. મને ત્રણ મહિના નહીં, ત્રણ વર્ષ જેલમાં રહેવું પડે તો પણ ડર ન હતો, પરંતુ જે ખેડૂતોએ ક્યારેય પોલીસ સ્ટેશનનું પગથિયું પણ નથી ચડ્યું, તેમને જેલમાં રહેવું પડ્યું, એ દુઃખ સૌથી મોટું છે.”
જેલવાસ દરમિયાન દિવાળી જેવા પવિત્ર તહેવારો પણ ખેડૂતોને જેલમાં પસાર કરવા પડ્યા હોવાની વાત કરતાં રાજુ કરપડાની ભાષામાં વ્યથા અને રોષ બંને સ્પષ્ટ દેખાતા હતા. તેમણે કહ્યું કે, ખેડૂતો માટે અવાજ ઉઠાવવાના પરિણામે અમને જેલમાં રહેવું પડ્યું, પરંતુ સૌથી વધારે દુઃખ એ વાતનું છે કે પાર્ટી તરફથી અમને જે સહારો મળવો જોઈએ હતો, તે મળ્યો નહીં. રાજુ કરપડાએ સૌથી ગંભીર આક્ષેપ જામીન અને વકીલ મુદ્દે કર્યા. તેમણે જણાવ્યું કે, હાઇકોર્ટના સારામાં સારા વકીલ રાખીને અમને જામીન અપાવવામાં આવશે એવી વાતો કરવામાં આવી હતી. 27 ઓક્ટોબરે અમારી પ્રથમ મુદત હતી. તે દિવસે ખેડૂતોને મેં આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલે જામીન મળી જશે. પરંતુ તે દિવસે માત્ર એક જ નાના વકીલ હાજર રહ્યા. કોઈ મોટા કે અનુભવી વકીલ આવ્યા નહીં, પરિણામે જામીન ન મળ્યા.
આ ઘટના બાદ જેલમાં રહેલા ખેડૂતો તેમની પાસે જવાબ માંગતા હતા, પરંતુ તેઓ પાસે કોઈ સ્પષ્ટ જવાબ ન હતો. ખેડૂતો, તેમના પરિવારજનો અને અમારા પરિવારને પણ પાર્ટી તરફથી કોઈ યોગ્ય જવાબ મળતો ન હતો, એમ તેમણે ઉમેર્યું. આ મુદ્દે જ્યારે તેમના પિતાએ મનોજ સોરઠીયાને ફોન કર્યો ત્યારે મળેલો જવાબ તેમને અત્યંત દુખદ લાગ્યો હોવાનું રાજુ કરપડાએ જણાવ્યું. અમને કહેવામાં આવ્યું કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ રાજુભાઈને કહો અમારે બીજા પણ કામ હોય છે, માત્ર આ એક કામ નથી. જે પાર્ટીને મેં મારા પરિવાર કરતા વધુ સમય આપ્યો, તે પાર્ટી તરફથી આવો જવાબ મળે, એ દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી,” એમ તેમણે કડક શબ્દોમાં કહ્યું.
ગોપાલ ઈટાલિયા અંગે વાત કરતાં રાજુ કરપડાએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો. ગોપાલ ઈટાલિયાને જીતાડવા માટે અમે રાત-દિવસ એક કર્યા. અમારા લોહી-પાણી રેડી દીધા. પરંતુ ચાર મહિના સુધી તેઓ એક પણ વખત મને મળવા આવ્યા નહીં. પ્રવીણભાઈને જેલમાં મળવા માટે બે મહિના પછી પ્રયાસ થયો, તે પણ નિષ્ફળ રહ્યો. જો મળવા ન દેવામાં આવ્યા હોય તો વાંધો નથી, પરંતુ સારા વકીલને મોકલવાનો પ્રયત્ન તો કરી શકતા હતા ને? આ પ્રયત્ન પણ થયો નહીં,” એમ તેમણે આક્ષેપ કર્યો.
રાજુ કરપડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા આમ આદમી પાર્ટી મજબૂત ન થાય તે માટે કામ કરી રહ્યા છે. આ નિવેદન બાદ AAPની અંદર ફૂટ વધુ સ્પષ્ટ બનતી દેખાઈ રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, આ પ્રકારના જાહેર આક્ષેપોથી પાર્ટીની વિશ્વસનીયતા અને સંગઠનાત્મક મજબૂતી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો થયો છે.
આગામી રાજકીય દિશા અંગે પૂછાયેલા પ્રશ્ન પર રાજુ કરપડાએ જણાવ્યું કે, તેઓ હાલ કોઈ પાર્ટીમાં જોડાવાના નથી. ગઈકાલથી અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે કે હું ભાજપમાં જઈશ કે કોંગ્રેસમાં. પરંતુ હાલમાં હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી. હું ખેડૂત નેતા છું અને ખેડૂત માટે જ લડીશ, એમ તેમણે સ્પષ્ટતા કરી. સાથે જ તેમણે આગામી દિવસોમાં ખેડૂત સંમેલન બોલાવવાની અને ખેડૂતોના પ્રશ્નોને વધુ જોરદાર રીતે ઉઠાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, જે પાર્ટી ખેડૂતોનો સાચો અવાજ બનશે, તેના વખાણ હું જાહેર મંચ પરથી કરીશ અને જરૂર પડશે તો તે પાર્ટીમાં જોડાઈશ. સાથે જ તેમણે સંકેત આપ્યો કે, તેમના રાજીનામા બાદ પાર્ટીના અન્ય નેતાઓ પણ રાજીનામું આપી શકે છે, કારણ કે પાર્ટીમાં રહેલા એક-બે લોકો પાર્ટીને આગળ વધવા દેવા માંગતા નથી. રાજુ કરપડાના રાજીનામાને સૌરાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ માટે મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે. વિસાવદર જીત બાદ અને કડદાપ્રથા સામેના આંદોલન પછી સૌરાષ્ટ્રમાં AAPની પકડ મજબૂત બનતી જઈ રહી હતી. પરંતુ રાજુ કરપડાના અચાનક રાજીનામા અને ખુલ્લા આક્ષેપો બાદ AAPને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખેડૂત આંદોલનો દ્વારા ઓળખ બનાવનાર રાજુ કરપડા લાંબા સમયથી રાજ્યભરમાં સક્રિય રહ્યા છે. હડદડ ગામે ખેડૂત-પોલીસ ઘર્ષણ કેસમાં સાડાત્રણ મહિના જેલવાસ ભોગવ્યા બાદ 1 ફેબ્રુઆરીએ જામીન મળ્યા હતા. આ કેસમાં ખૂનની કોશિશ, ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે મંડળી રચવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. કપાસ અને અન્ય જણસમાં ‘કડદો’ કરીને ખેડૂતોને ઓછા ભાવ આપવાના મુદ્દે ઊભેલા વિવાદે આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજુ કરપડાનું આ બળવાખોર વલણ માત્ર AAP માટે નહીં, પરંતુ ગુજરાતના ખેડૂત રાજકારણ માટે પણ નવી ચર્ચાનો વિષય બન્યું છે. આગામી દિવસોમાં તેઓ કઈ રાજકીય દિશા અપનાવે છે અને AAP આ આંતરિક વિવાદને કેવી રીતે સંભાળે છે, તે પર સૌની નજર રહેશે.
જેલવાસે ખોલી નાખી પાર્ટીની અંદરની હકીકત
ખેડૂત આંદોલન દરમિયાન જેલવાસ ભોગવ્યા બાદ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી અંગે જે અનુભવ વ્યક્ત કર્યો છે, તે પાર્ટીની આંતરિક વ્યવસ્થાને કટઘરામાં ઉભી કરે છે. તેમણે જણાવ્યું કે, હડદડ ગામના ઘર્ષણ કેસ બાદ 68 ખેડૂતો સાથે તેઓ પોણા ચાર મહિના સુધી જેલમાં રહ્યા, જેમાં ખૂનની કોશિશ જેવી ગંભીર કલમો લાગુ કરવામાં આવી હતી. ખેડૂતોએ, જેમણે ક્યારેય પોલીસ સ્ટેશનનું પગથિયું પણ નહોતું ચડ્યું, તેમને દિવાળી જેવા તહેવાર જેલમાં પસાર કરવા પડ્યા. આ સમયગાળા દરમિયાન પાર્ટી તરફથી શ્રેષ્ઠ કાનૂની સહાય આપવાના વચનો આપવામાં આવ્યા, પરંતુ વાસ્તવમાં તે માત્ર આશ્વાસન પૂરતા જ રહ્યાં. રાજુ કરપડાના જણાવ્યા મુજબ, મોટા વકીલ રાખવાની વાતો છતાં કોર્ટમાં સામાન્ય વકીલ હાજર રહ્યા, જેના કારણે જામીન મળવામાં વિલંબ થયો. આ સમગ્ર ઘટનાએ પાર્ટી પ્રત્યેના તેમના વિશ્વાસને ઘેરો આઘાત પહોંચાડ્યો હોવાનું તેમણે કહ્યું.
ઈટાલિયા–સોરઠીયા સામે ખુલ્લો બળવો
રાજુ કરપડાએ રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા સામે ખુલ્લા શબ્દોમાં ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, આ બંને નેતાઓ આમ આદમી પાર્ટી મજબૂત ન બને તે માટે પરોક્ષ રીતે કામ કરી રહ્યા છે. તેમણે અહીં સુધી કહી દીધું કે, ગોપાલ ઈટાલિયા છે ત્યાં સુધી પાર્ટી આગળ નહીં આવે. કરપડાના જણાવ્યા અનુસાર, ઈટાલિયાને જીતાડવા માટે તેમણે અને તેમની ટીમે રાત-દિવસ એક કર્યા, પરંતુ મુશ્કેલીના સમયમાં આ નેતાઓએ તેમની તરફ જોયું પણ નહીં. ચાર મહિના દરમિયાન એક પણ વખત જેલમાં મુલાકાત ન લેવી અને યોગ્ય વકીલ સુધીની વ્યવસ્થા ન કરવી – આ બધું પાર્ટીના કાર્યકરો માટે નિરાશાજનક રહ્યું. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીની અંદર આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં AAP માટે ચેતવણીનો સંકેત
રાજુ કરપડાના રાજીનામાને માત્ર વ્યક્તિગત નિર્ણય તરીકે નહીં પરંતુ સૌરાષ્ટ્રની રાજકીય દિશા બદલનારી ઘટના તરીકે જોવામાં આવી રહી છે. કડદાપ્રથા સામેના આંદોલન બાદ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પ્રત્યે ખેડૂતોમાં વિશ્વાસ વધતો જઈ રહ્યો હતો. ખાસ કરીને વિસાવદર જીત બાદ AAPની પકડ મજબૂત બનતી દેખાતી હતી. જોકે રાજુ કરપડા જેવા સક્રિય ખેડૂત નેતાના અચાનક રાજીનામાથી આ વિશ્વાસને મોટો ઝટકો લાગ્યો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, જો પાર્ટી આ આંતરિક અસંતોષને ઝડપથી સંભાળી નહીં શકે તો આવનારા સમયમાં સૌરાષ્ટ્રમાં AAPની સ્થિતિ કમજોર પડી શકે છે. બીજી તરફ રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ પાર્ટીમાં જોડાવા પહેલા ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપશે, જે આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો રચી શકે છે.


