- સિંહાસનનું હાલ રાજસ્થાન ખાતે નિર્માણ, 15 ડિસેમ્બર સુધીમાં પહોંચશે
- રામલલાનું આરસપહાણથી નિર્મિત સિંહાસન આઠ ફૂટ ઊંચું, ચાર ફૂટ પહોળું રહેશે
- શ્રી રામજન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી
અયોધ્યા ખાતે નિર્માણાધીન અને કરોડો હિન્દુ શ્રાદ્ધાળુઓના આસ્થાના પ્રતીક સમાન રામમંદિરને લગતી એક મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. અયોધ્યા ખાતે નિર્મિત રામમંદિરમાં ભગવાન રામલલાની દિવ્ય પ્રતિમાને આરસપહાણથી નિર્મિત આઠ ફૂટ ઊંચા અને સ્વર્ણજડિત સિંહાસન પર વિરાજમાન કરવામાં આવશે. શ્રી રામજન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવાન રામના સિંહાસનનું હાલ રાજસ્થાનના કુશળ કારીગરો દ્વારા નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે અને તે આગામી 15 ડિસેમ્બર સુધીમાં અયોધ્યા ખાતે આવી પહોંચશે. ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે આ સિંહાસનને રામમંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરાવવામાં આવશે.
પહેલા માળના 17 સ્તંભ સ્થાપિત
મિશ્રાએ પહેલા માળના બાંધકામની સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે પહેલા માળના 17 સ્તંભો પહેલા જ સ્થાપિત થઇ ગયા છે અને હવે માત્ર બે સ્તંભો લગાવવાના બાકી રહ્યા છે અને અપેક્ષા છે કે પહેલા માળની છતનું કામકાજ પણ 15 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. મંદિરની પરિક્રમા માર્ગનું ફ્લોરિંગનું કામકાજ પણ પૂર્ણ થઇ ગયું છે અને હાલ ગૃહ મંડપની ફરશ પર આરસ લગાવવાનું કામ ચાલી રહ્યું છે.
પેસેન્જર કન્વિનિયન્સ સેન્ટરની છત તૈયાર
મિશ્રાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પેસેન્જર કન્વિનિયન્સ સેન્ટરના ત્રણેય માળની છતનું નિર્માણ સંપન્ન થઇ ગયું છે જ્યારે રામમંદિરની બહારના પ્રવેશ દ્વારનું કામકાજ હાલ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.