રામપર બેટી પાસે વીજશોકથી યુવાનનું કરૂણ મોત
ડમ્પરનું ટાયર બદલતી વેળાએ ટ્રોલી વીજ તારને અડતાં અકસ્માત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના રામપર બેટી ગામ નજીક વહેલી સવારના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરમાં માટી ભરવાના કામ દરમિયાન થયેલા વીજશોકમાં એક યુવાનનું કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, કુવાડવા વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની અર્જુનભાઈ ભૂરાલાલભાઈ બાબેરીયા આજે વહેલી સવારના રામપર બેટી તરફથી રાજકોટ તરફ ડમ્પરમાં માટી ખાલી કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રામપર બેટી નજીક તેમના ડમ્પરના એક ટાયરમાં અચાનક પંચર પડ્યું હતું. પંચર થતા તેમણે તરત જ પોતાના શેઠને જાણ કરી હતી, જેના પગલે અન્ય ડમ્પર મારફતે ટાયર મોકલવામાં આવ્યો હતો.
નવું ટાયર નીચે ઉતારવા માટે જ્યારે ડમ્પરની ટ્રોલી ઊંચી કરવામાં આવી, ત્યારે ટ્રોલી ઉપરથી પસાર થતી વીજ લાઇનને અડી ગઈ હતી. તે સમયે બાજુમાં ઊભેલા અર્જુનભાઈનો હાથ ડમ્પરની ટ્રોલીને અડતાં તેમને જોરદાર વીજશોક લાગ્યો હતો. વીજશોક એટલો પ્રચંડ હતો કે તેઓ ત્યાં જ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યા હતા.
આ બનાવ જોઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં અર્જુનભાઈને સારવાર માટે નજીકની કુવાડવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર શરૂ થાય તે પહેલાં જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ મળતાં એરપોર્ટ પોલીસ મથકના એએસઆઈ પરેશભાઈ સાંગાણી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે મૃતક અર્જુનભાઈ ડ્રાઇવિંગ અને ડમ્પર સંચાલનનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અચાનક અવસાનથી ત્રણ સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે. શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં આ દુર્ઘટનાએ હચમચાટ પેદા કર્યો છે.


