યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા!
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમઃ!!
જગદંબાની ઉપાસના સમસ્ત ભારતમાં વ્યાપક જ છે. ભિન્ન ભિન્ન સ્થાનોમાં પોતપોતાની રુચિ પ્રમાણે એનાં સ્વરૂપોની આરાધના થાય છે. હૃદયની શુદ્ધ ભાવનાથી, અનન્ય ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ભક્તો શક્તિસ્વરૂપા જગદંબાની આરાધના કરે છે. પ્રાતઃ સ્મરણમાં આદિ શંકરાચાર્યે જે પાંચ દેવોનો ઉલ્લેખ કરેલો છે તેમાં શક્તિનું પણ સ્થાન છે. શક્તિપૂજા ભારતમાં અત્યંત પ્રાચીન છે. વેદમાં અદિતિની સર્વ દેવોની માતા તરીકે સ્તુતિ કરવામાં આવી છે. લક્ષ્મી સંપત્તિની દેવી, સરસ્વતી વિદ્યાની દેવી અને કાલિકા શક્તિની દેવી તરીકે પરંપરામાં પૂજાય છે.
નવરાત્રિમાં કરો મા અંબાની આરાધના ઘટ (કળશ) સ્થાપન
નવરાત્રિમાં ઘટસ્થાપન માટે સૌપ્રથમ મંગલકારી શુભ મુહૂર્તમાં ઘરના દેવાલય કે અનુકૂળતા મુજબ જ્યાં ઘટ સ્થાપન કરવાનું છે તે જગ્યાએ ગંગાજળ છાંટી સફેદ માટી અને ગાયના છાણથી લીંપણ કરીને પવિત્ર કરો. તે જગ્યા પર બાજઠ ઢાળી બાજઠને લાલ કે લીલા રેશમી વસ્ત્રથી (સ્થાપનથી) આચ્છાદિત કરી અક્ષત એટલે આખા ચોખા, ખંડિત ન હોય તે પાથરી તેના સ્થાપન ઉપર અષ્ટદલ કરી તેમાં કુળદેવી કે મા જગદંબાની મૂર્તિને પંચામૃત સ્નાન કરાવીને સ્થાપિત કરાય છે. જો મૂર્તિ ન હોય તો નવાણ મંત્રયુક્ત યંત્ર સ્થાપવું અને પીઠ પૂજા માટે પાંચ પલ્લવથી યુક્ત કરેલા જળ ભરેલા કળશ ઘડાનું પૂજન-અર્ચન કરીને સ્થાપન કરવું. એક શ્રીફળ છોલ્યા વગરનું લાલ કોરા વસ્ત્રમાં લપેટીને માતાજીની જમણી બાજુએ રાખવું. ઘડામાં પૂજનઅર્થે કંકુ, ચોખા, ફૂલ, અબીલ-ગુલાલ, સિંદૂર, હળદર, સોપારી, લીલી ધરો અને સવા રૂપિયો પધરાવી અખિલ બ્રહ્માંડમાં જડ અને ચેતન સર્વ પરિબળો સમન્વિત સમગ્ર વિશ્વ આપણું કલ્યાણ કરે, રક્ષણ કરે તે માટે બે હાથ જોડીને કુળદેવીનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી.
કોઈ પણ રાષ્ટ્રની ઉન્નતિ માટે લક્ષ્મી એટલે સાધન-સંપત્તિ, સરસ્વતી એટલે વિદ્યા, જ્ઞાન અને ટેક્નોલોજી અને કાલિકા એટલે શક્તિ લશ્કર વગેરે આ ત્રિદેવીની પૂજાનું રહસ્ય છે. `શ’ એ ઐશ્વર્યનું વચન છે અને `ક્તિ’ એ પરાક્રમ છે. ઐશ્વર્ય અને પરાક્રમ આપનાર હોવાથી તેને શક્તિ કહેવામાં આવે છે. આમ, માતા સ્વયં ઐશ્વર્ય સંપન્ન છે અને પરાક્રમી પણ છે. તેમણે અનેક રાક્ષસોનો નાશ કર્યો છે અને તેના પરમ ભક્તોને ઐશ્વર્ય અને પરાક્રમ બંને આપવા સમર્થ હોવાથી તેને `શક્તિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મા જગદંબામાં કઠોર અને કોમળ એમ બંને ભાવો ભારોભાર ભરેલા છે. અસુરોને સંહારતાં માએ રૌદ્ર ભાવ પ્રકટ કર્યો છે. ત્યારે એ જ જગદંબા અતિ કોમળ બનીને સમગ્ર સૃષ્ટિ માટે હિતકર્તા અને શક્તિદાતા પણ બની રહે છે. જળમાં શીતળતા, અગ્નિમાં ઉષ્ણતા અને સૂર્યમાં તેજ તેમજ ચંદ્રમામાં ચાંદની રૂપે મા બિરાજમાન છે. દેવોની આરાધનાથી અને સંકલ્પબળથી પ્રગટેલાં માની આરાધનાનાં ત્રણ સ્વરૂપો મુખ્ય છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. તે ઉપરાંત જગતમાં ઉદ્ભવેલી અન્ય માતૃકાઓ પણ વિવિધ નામો સાથે શક્તિ સ્વરૂપે જ પૂજાય છે. આમ, શક્તિપૂજા એ આપણી સંસ્કૃતિની પરંપરા રહી છે. નવરાત્રિના નવલા પર્વમાં શક્તિ સ્વરૂપા મા જગદંબા પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિ ભાવવિભોર બની માની આરાધનામાં સહભાગી બને છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, ચૈત્ર, અષાઢ અને મહા એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. તેમાં `આસો નવરાત્રિ’નું મહત્ત્વ અધિક છે.
શ્રીમદ્ દેવી ભાગવતમાં પણ કહેવાયું છે કે આ નવરાત્ર વ્રતનો મહિમા અનન્ય છે. આ વ્રત એક અમોઘ શસ્ત્ર છે અને શક્તિ પ્રાપ્ત કરવા માટેનું એક દિવ્ય વિધિવિધાન છે. આ એક પરમ કલ્યાણકારી વ્રત છે. નવરાત્રિના દિવસો દરમિયાન ભાવિક નર-નારીઓ નવરાત્ર વ્રત-વિધિ, શક્તિની આરાધના કે ઉપાસના કરે છે અને તે પાછળનો હેતુ રિદ્ધિ- સિદ્ધિ પ્રાપ્ત કરવાનો કે પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવાનો હોય છે. વિશ્વંભરીના ચરણે-શરણે જવા માટે આ વ્રત એક સોપાન સમાન છે. જેના પ્રભાવથી સર્વ પાપ નાશ પામે છે. તેના શત્રુઓનો ધ્વંસ થાય છે અને આધિ-વ્યાધિ-ઉપાધિ ટળી જતાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.
જવારા રોપણ
માતાજીના ભક્તો આસો સુદ એકમના દિવસે ધન અને ધાન્યની અભિવૃદ્ધિના ભાવ સાથે જવારાઓનું રોપણ કરે છે. માટીના એક મોટા કોડિયામાં કાળી માટી નાખીને નવ ધાન્યને વેરી દો અને તેને માતાજી સમક્ષ મૂકી દો. ત્યારબાદ જળ છાંટીને તેની પંચોપચારથી પૂજા કરો તથા રોજ નવેનવ દિવસ સુધી તેની ઉપર પાણી છાંટીને જતન કરવું. જવારાઓ કે જવ માંગલિક અને વર્ધનશીલ હોય છે. જવારા-કુંભ સહિત માતાજીની મૂર્તિ કે યંત્રની દરરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યથાશક્તિ પૂજા કરી નવ દિવસ સુધી ચંડીપાઠ કરવો.
નવરાત્રિમાં અખંડ દીપકની આરાધના
નવરાત્રિમાં અખંડ દીપસાધનાનું ખૂબ મહત્ત્વ છે. દીવાને માતાજીની આગળ શુદ્ધ ઘી અથવા તેલના મોટા દીવડામાં રૂની મોટી વાટ બનાવીને સુરક્ષિત સ્થાને મૂકી દો. પછી તેનું પંચોપચાર પૂજન કરો. અખંડ દીપસાધના ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડિતતાનું પ્રતીક છે. નવરાત્રિ આત્મસંયમ અને શક્તિસંયમનું પર્વ બની રહે છે.
ગરબામાં પ્રકટાવેલા દીપકને આપણે અખંડ રાખીએ છીએ. આ દીપકની આરાધના એટલે આત્માની આરાધના છે. એક વખત મન આત્મા સાથે જોડાઇ જાય પછી કોઇ વિકાર ઉદ્ભવી શકે નહીં. આમ, નવરાત્રિ આત્મસંયમનું પર્વ અને શક્તિસંચયનું પર્વ બની રહે છે. દુર્ભાગ્યે આપણું નવરાત્રિ પર્વ માત્ર દાંડિયારાસ અને ગરબાઓની હુંસાતુંસી વચ્ચે જ્યારે અટવાઈ પડ્યું છે ત્યારે ફરીથી આ દુર્ગા સપ્તશતીનું પારાયણ આપણા દૈનિક જીવનની દોડધામમાંથી શાંતિ, સુલેહ, સંપ, સ્વસ્થતા અને ઉત્કૃષ્ટ જીવનની લહાણી કરે છે. બધું ન સમજાય કે ન વંચાય તો પણ કવચ, અર્ગલા અને કીલક ઉપરાંત શ્રી સુક્તનો પાઠ જો દરરોજ કરવામાં આવે તો ભગવતી દુર્ગાદેવીની મહત્તમ કૃપાની અનુભૂતિ કરી શકાય છે. આ કવચ એટલે કપાટ–કમાડ કે દરવાજો. અર્ગલા એટલે આગડિયો અને કીલક એટલે તાળું. કવચ, અર્ગલા અને કીલકનો નિત્યપાઠ આપણા જીવનમાંથી દુર્ગુણોનું ઉન્મૂલન કરી અને સદ્ગુણોનું ઉપાર્જન કરે છે. શ્રદ્ધાપૂર્વક દરરોજ નિયમિતપણે પ્રમાદ વગર ભક્તિપૂર્વક શ્રી સુક્તમ્ સાથે કરાયેલી આ ભગવતીની આરાધનાના ચાર અધ્યાય આપણા જીવનની કથાનું આલેખન એક નવા આલોક, નવા પ્રકાશ, નૂતન પ્રેરણા અને નવીન ઉલ્લાસભેર જીવનની લહાણ કરે છે.
નવરાત્રિ પૂજન-આરાધના
નવરાત્રિનું પૂજન કરતાં પહેલાં સાધકે ગણપતિજીનું સ્મરણ કરીને પૂજાનો આરંભ કરવો. જવારા, કુંભ સહિત માતાજીની મૂર્તિ કે યંત્રની દરરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્વયં અથવા અધિકારી આચાર્ય પાસે યથાશક્તિ પૂજા કરવી-કરાવવી, પ્રતિદિન ચંડીપાઠ કરવો-કરાવવો. નવ દિવસ સુધી શક્ય હોય તો રોજ એક કુમારિકાનું પૂજન કરી, દરરોજ એક કુમારિકા વધારતા જઇ નવદુર્ગાના પ્રતીકસમાન નવ કુમારિકાઓને પૂજી દરેકને વસ્ત્ર, અલંકાર, દક્ષિણા અર્પણ કરી ભોજનથી તૃપ્ત અને પ્રસન્ન કરવી અને શ્રેય માટે પ્રાર્થના કરવી. અંતિમ દિવસે જપાત્મક, હોમાત્મક, `નવચંડી યજ્ઞ’ કે સંક્ષિપ્તમાં દુર્ગાહવન જો શક્ય હોય તો કરવા. અંતિમ ચરણમાં માતાજીનું વિધિવત્ પૂજન-અર્ચન કરી થાળ, આરતી સહિત મંત્ર પુષ્પાંજલિ, ક્ષમાપના અને પ્રદક્ષિણા કરી શુભ મુહૂર્તમાં સકલ મંગલકાર્યનું સમાપન કરવું.
નવદુર્ગાનાં નવ સ્વરૂપનું પૂજન અને ફળ
નવરાત્રિના નવ દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ નવ સ્વરૂપોનું પૂજન આરાધના કરવામાં આવે છે. દેવીના પૂજનથી ખૂબ જ શુભ ફળ મળે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારનાં ફળની ઇચ્છા વગર જ દેવીની ઉપાસના કરવી જોઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્ત હંમેશાં ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સાધકને અનંતકોટિ ફળ મળે છે. ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના રોગ-શોક દૂર થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પાંચમા દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી ભક્તની ઇચ્છાપૂર્તિ તથા શત્રુઓનું શમન થાય છે. છઠ્ઠા દિવસે કાત્યાયિનીની પૂજા કરવાથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે, સાતમા દિવસે કાલરાત્રિનું પૂજન કરવાથી ભક્તના દુશ્મનોનો નાશ તથા તેજમાં વૃદ્ધિ થાય છે. આઠમા દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી પાપોનો નાશ અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા માની અસીમ કૃપા ભક્ત પર વરસે છે.
નવરાત્રિમાં ગરબાનું અનેરું મહત્ત્વ
ગરબો કે ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ કે ગરબદીપ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ગોળાકાર માટલું, જેમાં છિદ્રો હોય છે. કોઈની માનતા કે બાધા પૂરી થાય ત્યારે ગરબો કાઢવામાં આવતો. સામાન્ય રીતે પહેલાં આવી માનતા દીકરાના જન્મની હતી, પરંતુ આજે ઇચ્છિત કાર્ય પાર પડે તેની પણ માનતા માનીને ગરબો કાઢવામાં આવે છે. ગરબા માટીના, તાંબાના કે ચાંદીના હોય છે. જેમાં દીવો મૂકવામાં આવે છે અને સ્ત્રીઓ દ્વારા માથે ઉપાડીને માતાજીને ગોળ ફરતાં-ફરતાં ગરબા રમવામાં આવે છે. કેટલીક જગ્યાએ ફૂલના ગરબા પણ નીકળે છે. તે સ્ત્રી અને પુરુષ બંને માથે લઈને ઘૂમતાં હોય છે. સમગ્ર ગુજરાતમાં કેટલાંક ગામડાંઓ અને શહેર એવાં છે કે જ્યાં નવરાત્રિમાં નહીં, પરંતુ દિવાળીના દિવસથી લઈને લાભપાંચમ સુધી અનેરા ગરબા થાય છે. તેને સામાન્ય રીતે માંડવી કહેવામાં આવે છે. માંડવી એટલે માતાજીનું એક પ્રકારનું મંદિર જેની ગોળ ફરતે ગરબા રમવામાં આવે છે.
માની આરાધનાના મંત્ર
`ઓમ્ ઐ, હ્રીં, ક્લિં ચામુંડાયૈ વિચ્ચૈ’ આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ ક2વાથી પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. `ઓમ્ દું દુર્ગાયૈ નમઃ’ આ મંત્રના સવા લાખ અથવા પાંચ લાખ જાપ પૂર્ણ ક2વાથી મા દુર્ગાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સંપૂર્ણ રક્ષણ મળે છે. `ઓમ્ હ્રીં નમઃ’ આ મંત્રના સવા લાખ કે પાંચ લાખ જાપ પૂર્ણ કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ સાથે તેજસ્વી વ્યક્તિત્વનો વિકાસ થાય છે અને મા ભગવતીની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય છે.
`ઓમ્ શ્રીં, હ્રીં, ક્લીં મહાલક્ષ્યે નમઃ’ આ મંત્રના એક લાખ જાપ કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.
`ઓમ્ હ્રીં, એં હ્રીં ઓમ્ સરસ્વત્યૈ નમઃ’ આ મંત્રના સવા લાખ જાપ પૂર્ણ કરવાથી મા સરસ્વતીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે.