- શ્રદ્ધાળુઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
- ભગવાનના સ્વાગત માટે લોકો ડીજે-ઢોલ અને નગારા વગાડી રહ્યા છે
- ભજનમંડળીઓએ કરી એક અલગ જ જમાવટ
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી છે. ત્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા અને રથયાત્રા જોવા માટે લોકો દુર-દુરથી આવી પહોંચ્યા છે. હાલમાં ત્રણેય રથ કાલુપુર પહોંચ્યા છે. શ્રદ્ધાળુઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભગવાન વર્ષમાં એક વખત સામે ચાલીને શહેરીજનોના હાલ પુછવા માટે આવે છે, ત્યારે ભક્તો પણ ભગવાનનું સ્વાગત અવનવી રીતે કરી રહ્યા છે અને આર્શીવાદ મેળવી રહ્યા છે.
ડીજે-ઢોલના નાદથી ગુંજી ઉઠી શેરીઓ
ભગવાનના સ્વાગત માટે લોકો ડીજે-ઢોલ અને નગારા વગાડી રહ્યા છે અને તેના નાદથી શહેરના તમામ રસ્તા, શેરીઓ અને પોળ ગુંજી ઉઠી છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે નગર અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળે છે. રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના નેતાઓએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા હતા.
ભજનમંડળીઓ કરી જમાવટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.
અમદાવાદમાં વર્ષ 1878માં નિકળી રથયાત્રા
અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર શરૂઆત વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભિક વર્ષો દરમિયાન બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી. આના માટે ભરૂચના ખલાસીઓએ અમદાવાદની રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોવા છતાં રથનું વજન 300 કિલો જેટલું હોવાનું કહેવાય છે.


