અષાઢી બીજે પ્રાતઃ મુહૂર્તમાં `ખીચડા’ના નૈવેદ્ય બાદ જગન્નાથજી, બલભદ્રજી તથા સુભદ્રાજી પોતપોતાના રથમાં બિરાજમાન થાય છે. તેને પહન્ડિ કહે છે. બિરાજમાન થયા બાદ ધર્મ-કર્મમાં ગરીબ-અમીરની ભેદરેખાને ભૂંસવાની એક પ્રતીકસમી વિધિ કે જેમાં પુરીના રાજા રથ ઉપર ચંદન, જળ અને ફૂલોના સંચાર કરતાં કરતાં સોનાના ઝાડુ વડે સ્વયં રથયાત્રાનો માર્ગ સાફ કરે છે. ત્યારબાદ ગગનભેદી જયઘોષ સાથે રથને ખેંચવામાં આવે છે. આમ, વાજતે-ગાજતે રથયાત્રાનો ઉલ્લાસભર્યા ભક્તિભાવના વાતાવરણમાં શુભારંભ થાય છે.
પ્રાતઃકાળથી આ રથયાત્રાનો પ્રારંભ થયા બાદ મંથર ગતિએ વિધિવત્ આગળ વધતી રથયાત્રાના ત્રણેય મહારથને ખેંચવા અનેક શ્રદ્ધાળુઓ જોડાય છે અને સમગ્ર પુરીમાં જાણે કે ધન્યતા અને અહોભાવનો મહાસાગર હિલ્લોળા લે છે. દર્શનાર્થીઓ ભાવુક બની જગન્નાથજીને હૃદયપૂર્વક આવકારે છે. દેશ-વિદેશમાંથી આવતા લાખો દર્શનાર્થીઓના હૃદયમાં રથયાત્રા એક અનન્ય ભાવસભર અનુભૂતિનો અનુભવ કરાવી દે છે. આમ, ત્રણેય 2થ સૂર્યાસ્ત સુધી માત્ર ત્રણ કિમી. જેટલું જ અંતર કાપી ગુંડિચાવાડી પહોંચે છે. જ્યાં તે સંપૂર્ણ એક સપ્તાહ સુધી સ્થાયી થાય છે. જ્યાં જગન્નાથજીના માસીના ઘરે રોકાઇને વિશિષ્ટ વાનગીઓ મનભરીને આરોગે છે. અહીં પણ જગન્નાથજીના મંદિરની માફક પૂજા-અર્ચના થાય છે અને જનસમુદાય દર્શનાર્થે પધારે છે.
અષાઢ સુદ દસમના દિવસે અહીંથી પુનઃ રથયાત્રા પાછી વળે છે, પરંતુ આ સમગ્ર માર્ગમાં પૂર્ણ દિવસ વીતી જતાં રાત્રિ તેઓ દ્વાર પાસે રથમાં જ પસાર કરે છે અને પ્રાતઃકાળે અગિયારસે ભવ્ય પૂજાવિધિ બાદ સુવર્ણ વસ્ત્ર પરિધાન કરીને તેઓ મંદિરમાં પ્રવેશે છે. પ્રથમ મોટાભાઇ બલભદ્રજી, બાદમાં સુભદ્રાજી અને અંતે જગન્નાથજીની પધરામણી થાય છે, પરંતુ શ્રી જગન્નાથજી માટે પ્રવેશવું સહેલું નથી, કારણ કે તેઓનાં ધર્મપત્ની લક્ષ્મીજી કોપાયમાન છે, કારણ કે પ્રભુ તેમની નણંદ અને જેઠ સાથે યાત્રાએ નીકળ્યા છે અને સ્વયં લક્ષ્મીજીને ભૂલી ગયા છે. આ એક રસપ્રદ વિધિ છે. યાત્રાની અષાઢી બીજના આરંભ બાદ લક્ષ્મીજી તો ગુસ્સાના કારણે અષાઢી પાંચમે જગન્નાથ મંદિર ત્યજીને ગુંડિચા મંદિર તરફ ગુસ્સાભેર ચાલી જાય છે અને ફરી થોડી નારાજગી સાથે પાછાં પધારે છે.
પરંતુ જ્યારે ખુદ તેઓના પતિ પરમેશ્વર અહીં યાત્રાની પૂર્ણાહુતિ કરીને પ્રવેશે છે તો નારાજ થયેલાં લક્ષ્મીજી તેઓ માટે મુખ્ય સિંહદ્વાર ખોલતાં નથી અને રિસાઇને બેસી જાય છે ત્યારે સ્વયં જગન્નાથજી પત્નીને મનાવવા માટે કેટકેટલી ભેટ-સોગાદો અને મીઠાં વચનો બોલીને કાલાવાલા કરે છે ત્યારે લક્ષ્મીજી માની જાય છે અને ગુસ્સો ત્યજીને હૃદયપૂર્વક આવકારીને મંદિરમાં પ્રવેશવા કહે છે. આમ, બારસે પ્રભુને `અધ2પણા’ ભોગ ધરાવવામાં આવે છે અને તેરસે પ્રભુ નિજમંદિરમાં પ્રવેશ કરે છે. આમ સમગ્ર રથયાત્રાની અહીં પૂર્ણાહુતિ થાય છે.
શ્રદ્ધા અને ભક્તિનાં વિરાટ
પૈડાં પર નીકળતી અમદાવાદની રથયાત્રા
2થયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે, કારણ કે આ યાત્રા જગન્નાથજીની માનવ કલ્યાણાર્થે રંગેચંગે નીકળતી યાત્રા છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભક્ત સમુદાયને ઉમળકાભેર મળવા વાજતે-ગાજતે નગરના રસ્તે નીકળી પડે છે અને સહુ તેને જય રણછોડ, માખણ ચોરના નાદથી વધાવતા રહે છે. 147 વર્ષ પુરાણી આ રથયાત્રાની પરંપરા પણ હવે તો અમદાવાદની એક આગવી ઓળખ બની ગઇ છે. તેના દર્શનાર્થે શ્રદ્ધાસભર લાખો લોકો જોડાય છે અને સમગ્ર અમદાવાદ જાણે અહોભાવનો મહાસાગર બને છે. જગદીશ મંદિરના મહંત નરસિંહદાસજીના નેતૃત્વમાં ઈ. સ. 1878ની અષાઢી બીજની વહેલી સવારે રથયાત્રાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થયો, જે આજ દિન સુધી પણ કોઇ પણ પ્રકારના વિઘ્ન વિના અવિરતપણે વહેતી રહીને વર્ષોવર્ષ તેનું માહાત્મ્ય અને મહત્ત્વ અધિકાધિત વધારતી રહી છે.
ઇ.સ. 1878માં સૌપ્રથમ નીકળેલી રથયાત્રામાં સાધુ-સંતો, ભજનમંડળીઓ, નિશાન, ગજરાજો, ધજા-પતાકા, ઢોલ નગારાં અને બેન્ડવાજાં સામેલ હતાં, પરંતુ સમયના પરિવર્તને પાછળથી આ રથયાત્રામાં અખાડાઓ, ટ્રકો, ઊંટગાડીઓ, ઘોડેસવાર પોલીસ પણ જોડાઇ. ટ્રકોમાંથી ઠંડું પાણી, મગ, જાંબુ, કાકડી ને ચોકલેટો વહેંચવામાં આવતાં હતાં, જે આજે પણ વહેંચાય છે. ગુલાલની છોળ ઉડાડતી ભજનમંડળીઓની સાથે કાનઘેલી સાહેલીઓ રાસ રમતી માથે મટુકી મૂકીને તરહ-તરહનાં નાચગાન કરે છે. અખાડાની સાથે અંગ કસરતનાં કરતબો દર્શાવતી મોટી ફોજ રથયાત્રાની છડી પોકારતી આજે પણ આગળ ધપે છે.
વર્ષોવર્ષથી પરંપરાગત નીકળતી રથયાત્રામાં કેસરી ઉપરણાં અને ફણગાવેલા મગ અને જાંબુના પ્રસાદના વિતરણનો અનોખો મહિમા જોવા મળે છે. જેની પાછળ પણ વિશેષ મહત્ત્વ સમાયેલું છે. કૌરવો પાંડવોની દ્યૂતક્રીડાને લીધે જ્યારે દ્રૌપદીનાં ચી2 હરાયાં હતાં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીની લાજ રાખવા 999 ચીર પૂર્યાં હતાં તેમ નારીનાં સન્માન અને ગૌરવની ગાથા જાળવવા માટે કેસરી ઉપરણાનો પ્રસાદ વહેંચવામાં આવે છે. તો વળી ધાર્મિક ગ્રંથોમાં સચોટ ઉલ્લેખ છે કે વૃંદાવનમાં રાસલીલા પછી ઠાકુરજી પોતે ગોપીઓને માલપુઆનો પ્રસાદ આપતા અને પોતે રાધાજી સાથે માલપુઆ આરોગતા. આથી જ પુરીના અને અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં ભગવાનને કાંસાના વાસણમાં `સંપુટ’ ભોગ ધરાવવામાં આવે છે, જે આજે પણ શ્રદ્ધાળુઓ રથયાત્રાના પાવન પ્રસંગે `સંપુટ’ ભોગ ધરાવે છે.
ભારતમાં બ્રિટિશ સલ્તનત સામે ચાલતા આઝાદીના સંગ્રામની સીધી અસર પણ રથયાત્રામાં જોવા મળતી હતી. ઇ.સ. 19૩0માં કોલકાતામાં 2થો 52 ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ જોઇ અંગ્રેજ સરકારના દેશી સિપાઇઓએ રથયાત્રીઓને રથો પરથી ત્રિરંગો ઉતારવાનો આદેશ આપ્યો, પરંતુ રથયાત્રીઓએ ત્રિરંગાની શાન જાળવવા ત્રિરંગો ઉતારવાને બદલે રથો ઊભા રાખીને માર્ગ પર બેસી ધરણાં કર્યાં અને સરકારને પીછેહઠ કરવાની ફરજ પાડી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રથયાત્રાના સ્વાગત માટે તોરણોની સાથે સાથે અનેક સ્થળોએ અંગ્રેજ સરકારથી ડર્યા વગર ત્રિરંગો લહેરાવવામાં આવતો હતો.
રથયાત્રાના દિવસે વહેલી પરોઢે ઓમ જય જગદીશ હરેના ગગનભેદી જયનાદ અને ધંટનાદ સાથે આરતીનો શુભારંભ થાય છે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ ખીચડી, દહીં, કોળા-ગવારફળીના શાકના મંગલભોગ બાદ જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને પોતપોતાના રથમાં વિધિવત્ બિરાજમાન કરવામાં આવે છે. ત્યારબાદ ત્રણેય રથને હાથના હાકોટાથી અને દોરડાની મદદથી ખેંચીને ખલાસ ભાઈઓ મંદિરના પટાંગણની બહાર લાવે છે. માનવ મહેરામણ રથના આગમનને ઉમંગ અને ઉલ્લાસથી વધાવી લે છે. ત્યારબાદ અહીં કેટલીક ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી સોનાની સાવરણી વડે સ્વયં રથયાત્રાનો માર્ગ સાફ કરીને વિધિવત્ રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ત્યારબાદ જય રણછોડ, માખણચોરના ગગનભેદી જયઘોષ સાથે જગન્નાથજીના રથને ખેંચવામાં આવે છે. આમ, રથયાત્રાનો ભક્તિસભર વાતાવરણમાં શુભારંભ થાય છે.
આ રીતે શરૂ થયેલી રથયાત્રા સવારના સાત વાગ્યે જમાલપુરના જગન્નાથ મંદિરેથી નીકળી ખમાસા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, આંબેડકર હોલ સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયાં ભાવતાં ભોજનિયાં જમી થોડોક વિરામ લીધા બાદ તાજા થયેલા રથયાત્રીઓ આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુરથી કાલુપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર રંગીલા ચોકી, આર. સી. હાઇસ્કૂલ, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, માણેકચોક, દાણાપીઠ ગોળલીમડા, ખમાસા થઇને નિજમંદિરમાં ભગવાનના રથ પરત ફરે છે.
રથયાત્રા અંગે વિવિધ રસપ્રદ કથાઓ
પવિત્ર નૈમિષારણ્યમાં શૌનક ૠષિએ સુતજીને તીર્થક્ષેત્રના વિષયમાં જે પ્રશ્નો પૂછ્યા તેના વળતા ઉત્તરમાં સુતજી જગન્નાથ ક્ષેત્ર વિશે જણાવતા હતા. જેમાં છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યા મુજબ બ્રહ્માજીએ વૈશાખ સુદ આઠમે કાષ્ઠમય મૂર્તિની સ્થાપના ગુરુવારે શુભ નક્ષત્રમાં કરી, એ સમયે પ્રભુ જગન્નાથજીએ રાજા ઇન્દ્રધુમ્નને પ્રસન્નતાપૂર્વક કહ્યું, `હું અહીં બ્રહ્માના બે પરાર્ધ સુધી આ તીર્થક્ષેત્રમાં વાસ કરીશ. હે રાજા, જેઠ સુદ પૂનમે મારો જન્મ ઉત્સવ ઊજવવો અને એ જ દિવસથી પંદર દિવસ સુધી મંદિર બંધ રાખી અષાઢ સુદ બીજના દિવસે રથોત્સવ ઊજવવો.’ આ ઉક્તિ મુજબ ભક્તો અષાઢી બીજે ભગવાનનો રથઉત્સવ ઊજવે છે.
બીજી માન્યતા એવી છે કે દ્વારિકાપુરીમાં યાદવોનાં છપ્પન કુળ વસતાં હતાં. યાદવો વ્યભિચારી બન્યા. અંતમાં યાદવ કુળનો નાશ થયો. ભગવાન શ્રીકૃષ્ણને અસહ્ય લાગી આવતાં તે ગામ બહાર વૃક્ષ નીચે બેઠા. એ સમયે પારધીના બાણે વીંધાઇ ગયા. કૃષ્ણની ચિતા ખડકાઇ. બલભદ્ર-સુભદ્રાએ પણ તેમાં ઝંપલાવ્યું. એ સમયે મૂશળધાર વર્ષા થઇ. ત્રણેય દેહ તણાઇને પુરીના દરિયાકિનારે આવ્યા. ત્યાંના રાજાએ ત્રણેય દિવ્ય દેહને પાટાપિંડી કરીને સુસજ્જ કરી નગરજનોના દર્શનાર્થે રથમાં બિરાજમાન કરી રથયાત્રા કાઢી. આ દિવસ અષાઢ સુદ બીજનો હતો. ત્યારથી શ્રદ્ધાળુઓ ત્રણેય મૂર્તિને રથમાં બિરાજમાન કરી રથોત્સવ ઊજવે છે.
ત્રીજી માન્યતા એવી પણ છે કે ભગવાનને આંખનો રોગ થયેલો (કંજક્ટિવાઇટિસ). આ દરમિયાન ભક્તોને દર્શન ન આપી શક્યા. આંખનો રોગ મટી જતાં પોતે મોટાભાઇ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઇને નગરજનોને-ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા અને પોતાના મોસાળ જનકપુર (ગુંડિચા) આરામ કરવા માટે પધાર્યા. આની યાદમાં અષાઢી બીજે રથયાત્રા નીકળે છે. એવું પણ કહે છે કે, ભગવાન શ્રીકૃષ્ણને મામા કંસનું મથુરા પધારવા આમંત્રણ મળે છે. એ સમયે શ્રીકૃષ્ણ ભાઇ-બહેન સાથે રથમાં સવાર થઇને મથુરા પધારે છે. એ પ્રસંગની યાદમાં પણ રથયાત્રા ઉજવાય છે.
ચોથી માન્યતા એવી છે કે કૃષ્ણની રાણીઓ માતા રોહિણી પાસેથી શ્રીકૃષ્ણની રાસલીલાની કહાની સાંભળવા ઇચ્છા વ્યક્ત કરે છે. એ વખતે માતા રોહિણીને એવું લાગે છે કે કનૈયાની રાસલીલા, ગોપીલીલા, બહેન સુભદ્રા ન સાંભળે તો સારું. માટે માતા રોહિણી બહેન સુભદ્રાને બંને ભાઇઓની સાથે રથમાં બેસાડીને મોકલી આપે છે. એ સમયે ત્યાં નારદજી પ્રકટ થયા અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે આપ ત્રણેય ભાઇ-બહેન આ જ રીતે દર વર્ષે રથયાત્રાના સ્વરૂપમાં પ્રયાણ કરી ભક્તોને દર્શન આપી તેઓને ધન્ય કરો અને મોક્ષના અધિકારી બનાવો. આમ, રથયાત્રા નિમિત્તે વિવિધ કથાઓ પ્રચલિત છે.