- જર્જરિત ઈમારતના સરવેની કામગીરી શરૂ કરાઈ
- રથયાત્રા રૂટ પરની જર્જરિત ઇમારતના સરવેની કામગીરી
- 1 વોર્ડ ઇન્સ્પેક્ટરને 4 થી 5 મકાનની સોંપાશે જવાબદારી
લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં દેશમાં નરેન્દ્ર મોદીની નવી સરકાર બનવા જઈ રહી છે. ત્યારે, છેલ્લા દોઢ મહિનાથી ચૂંટણીની કામગીરીમાં લાગેલો પોલીસ વિભાગ અને AMC તંત્ર હવે આગામી આવી રહેલી અમદાવાદની પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે.
ચૂંટણી પૂર્ણ થતાં AMC લાગ્યું રથયાત્રાની તૈયારીમાં લાગી ગયું છે અને રથયાત્રા રૂટ પર આવેલી જર્જરિત ઇમારતનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે ટૂંક સમયમાં જર્જરિત ઇમારતોનો સર્વે પૂર્ણ કરવામાં આવશે અને સર્વે બાદ વોર્ડ ઇન્સ્પેકટરને જવાબદારીઓ સોંપવામાં આવશે.

મહત્વનું છે કે ગત વર્ષે રથયાત્રા દરમિયાન એક જર્જરિત ઇમારત તૂટી પડતાં જાનહાનિ સર્જાઇ હતી. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રથયાત્રા રૂટ પર આવેલ જર્જરિત ઇમારતો અને મકાનોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રૂટ પર 1 વોર્ડ ઇન્સ્પેકટરને 4 થી 5 મકાનોની જવાબદારી સોંપવામાં આવશે. રથયાત્રા દરમિયાન જો કોઈ જર્જરિત ઇમારત કે મકાન સાથે દુર્ઘટના સર્જાય તો તેમ જાનહાનિ ન થાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે AMC દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જર્જરિત મકાન પર ખાનગી સિક્યુરિટી ગોઠવવા માટે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ, હવે વોર્ડ ઇન્સ્પેકટરને આ જવાબદારી સોંપવામાં આવશે.


