- વિરમગામ અંધાપાકાંડની સુનાવણીમાં સરકારે HC માં જાહેરાત કરી
- ડૉક્ટરોએ કોર્પોરેટ કલ્ચર મુજબ પૈસા જોઈતા હોય તો એ નિષ્ઠા દાખવવી પડે : HC
- હાલની જોગવાઈ નખ વગરના વાઘ જેવી : કોર્ટ મિત્ર
વિરમગામમાં ગઇકાલે મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોની દ્રષ્ટિ જતી રહેતાં તેમ જ આંખે જોવામાં ઝાંખપ સર્જાવાના અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં રાજ્ય સરકારે આજે સોગંદનામું રજૂ કરી મહત્ત્વની જાહેરાત કરી હતી કે, હવેથી રાજયભરમાં રાજયભરના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રાજય સરકાર દ્વારા કલીનીકલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અને રૂલ્સમાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. તેને લઇને હવે ટૂંક સમયમાં જ આ નવી જોગવાઇઓ લાગુ બનશે. દરમ્યાન કોર્ટ સહાયકે અંધાપાકાંડ જેવા કિસ્સાઓમાં ડોકટરો જવાબદારીમાંથી બચી જવા હોવા સહિતના મુદ્દે ધ્યાને દોરતાં હાઇકોર્ટે રાજ્યના તબીબી આલમને બહુ માર્મિક ટકોર કરી હતી કે, જો ડોકટરોએ કોર્પોરેટ કલ્ચર પ્રમાણે પૈસા જોઇએ છે તો એ પ્રમાણે તેમણે નિષ્ઠાથી કામ પણ કરવું જોઇએ., જે આપણે કરતા નથી.
ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, કોર્પોરેટ હોસ્પિટલો અને કલ્ચરમાં સતત ચોવીસ કલાક કામ કરવી પ્રથા છે અને તેમાં કોઇ રાત-દિવસ જોવાતા હોતા નથી. રાજય સરકારના સોગંદનામાને રેકર્ડ પર લઇ હાઇકોર્ટે આવા કિસ્સાઓ ભવિષ્યમાં ના બને તે માટે મહત્તમ રીતે શું સારું થઇ શકે તેમ છે તે દિશામાં પગલાં સાથે આવવા રાજ્ય સરકારને અને કોર્ટ સહાયકને સૂચન સાથે નિર્દેશ કર્યો હતો.
આ કેસની સુનાવણીમાં આજે રાજય સરકારે સોંગદનામું રજૂ કરી જણાવ્યું કે, સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટમાં સુધારો કરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરી છે અને તે અંગે જરૂરી વાંધા સૂચનો મંગાવાયા છે તે પહેલા જ વિરમગામમાં અંધાપાકાંડની આ ઘટના સામે આવી ગઇ. અગાઉ 50 બેડથી વધુ હોસ્પિટલ હોય તો રજિસ્ટ્રેશન ફરજિયાત હતુ પરંતુ હવેથી ભલે એક કે બે બેડનું ક્લિનિક કે હોસ્પિટલ હશે તો પણ તેનું રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત રહેશે.
હાલની જોગવાઈ નખ વગરના વાઘ જેવી : કોર્ટ મિત્ર
સરકારપક્ષ તરફ્થી આ કેમ્પ અને ટ્રસ્ટના આયોજનોને પણ રજિસ્ટ્રેશનના દાયરા હેઠળ વિચારણાની હૈયાધારણ દર્શાવાઇ હતી. ખાસ કરીને આવા કિસ્સાઓમાં ડોકટર્સની જવાબદારી નક્કી કરવી લગભગ અશકય હોય છે અને તેથી તેમના માથે કોઇ જવાબદારી આવતી નથી. હાલના કાયદાની જોગવાઇ અને નિયમો નખ વગરના વાઘ જેવા છે, તેથી તે માત્ર કાગળ પરના અને નિરર્થક બની રહે છે. પરંતુ તેના બદલે જો સબક સમાન દંડ અને સજાની જોગવાઇ લાગુ કરે તો આ ઘટનાઓ પર રોક લાગી શકે. કોઇપણ ક્લિનિકલ કે હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન અને કાયદાની મર્યાદામાં હોવું જોઇએ. કોર્ટ સહાયકે વધુમાં ઉમેર્યું કે, આજના સમયમાં જેની પાસે વધારે પૈસા હોય તે ક્લિનિક કે હોસ્પિટલ ઊભી કરી દે છે, તે ડોકટરો લાવે છે અને સર્જરી સહિતની તબીબી સુવિધા ઉપલબ્ધ બનાવી દેવાય છે. ડોકટરો પર ક્રિમીનલ લાયબેલિટી (ગુનાહિત જવાબદારી) મૂકવી અઘરી છે.


