- સુપ્રીમમાં આવકવેરા વિભાગે આપી ખાતરી, વધુ સુનાવણી 24 જુલાઈએ
- આવકવેરા વિભાગ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર રહ્યા
- આવકવેરા વિભાગ તરફથી મળેલી નોટિસના કેસમાં કોંગ્રેસને થોડાક દિવસ માટે રાહત મળી
આવકવેરા વિભાગ તરફથી મળેલી નોટિસના કેસમાં કોંગ્રેસને થોડાક દિવસ માટે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આવકવેરા વિભાગે ભરોસો અપાવ્યો હતો કે લોકસભા ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, તે સંજોગોમાં આ નાણાંની રિકવરી માટે વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાલમાં નહીં થાય. જસ્ટિસ વી.વી.નાગરત્નાની બનેલી બેન્ચે આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી. આવકવેરા વિભાગ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસમાં હવે પછીની સુનાવણી 24 જુલાઈના રોજ થશે.
તુષાર મહેતાએ કહ્યું હતું કે,’વિભાગે રૂપિયા 1,700 કરોડની નોટિસ મોકલી હતી. પરંતુ લોકસભા ચૂંટણી આવી રહી હોવાથી રિકવરીની દિશામાં કાર્યવાહી નહીં થાય. કેસની સુનાવણી થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. રૂપિયા 135 કરોડની વસૂલાત થયા પછી રૂપિયા 1,700 કરોડની ડિમાન્ડ નોટિસ આપવામાં આવી છે.
લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને આવકવેરા વિભાગ તરફથી નવી નોટિસ મળી હતી. વર્ષ 2014-15થી 2016-17 દરમિયાનના રૂપિયા 1,74૫ કરોડના માગણા માટે તે નોટિસ આપવામાં આવી હતી. કોંગ્રેસને અત્યારસુધીમાં કુલ રૂપિયા 3,567 કરોડના માગણાની રિકવરી માટે નોટિસ મળી ચૂકી છે. છેલ્લી નોટિસ વર્ષ 2014-15 (રૂ. 667 કરોડ), વર્ષ 2015-16 ( રૂ. 664 કરોડ) અને વર્ષ 2016-17 ( રૂપિયા 417 કરોડ)ના બાકી લેણા સંબંધી છે. અધિકારીઓએ રાજકીય પક્ષોને મળતી છૂટછાટ સમાપ્ત કરી છે અને રાજકીય પક્ષો પર કરવેરા વસૂલવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસે અગાઉ કહ્યું હતું કે પક્ષના ખાતામાંથી સીધી રૂપિયા 135 કરોડની વસૂલી કરી લેવાઈ છે.


